Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો, લાખો લોકો ઉમટશે : દર્શનના સમયમાં વધારો

મેળાને અનુલક્ષીને વહીવટી તંત્રના વિવિધ પગલા : કલેકટર સુધીર પટેલ

ગાંધીનગર, તા. ૧૬ : ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ રણછોડરાયજી મંદિર ડાકોર ખાતે તા.૧૯-૨૦ ના રોજ ફાગણી પૂનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફાગણી પૂનમના મેળામાં અંદાજે ૧૫ લાખ જેટલા શ્રધ્ધાળુઓ રણછોડરાયજીના દર્શનાર્થે આવતા હોય છે. યાત્રીકો સુવિધા અને સુરક્ષા માટે જિલ્લા પ્રશાસન દ્ઘારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું કલેકટર સુધીર પટેલે પત્રકાર પરિસદમાં જણાવ્યું હતું.

કલેકટરેે જણાવ્યું કે, તા.૧૭મી માર્ચથી મેળાના સુવ્યવસ્થિત સંચાલન અને દેખરેખ માટે આઠ રૂટ ઉપર ૬૪ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ૪૪ જેટલા નાયબ મામલતદારોની એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ડાકોરમાં વિવિધ આઠ સ્થળોએ ૮ મોબાઇલ, ટોઇલેટ વાન, ૧૩ પે એન્ડ યુઝ શૌચાલય, અને પાંચ સ્થળોએ ફાયર ફાઇટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગોમતી તળાવમાં ત્રણ નૈાકા વિહારના સંચાલન તથા ૧૬ તરવૈયા સહિત એન.ડી.આર.એફ.ની ટીમ લાઇફ સેવીંગ જેકેટ-બોટ સાથે તૈનાત રહેશે. ગળતેશ્વર ખાતે તા.૧૭-૦૩-૧૯ થી તા.૨૧-૦૩-૧૯ સુધી ૧૭ કર્મચારીઓને મહિસાગર નદી કિનારે ફરજ સોંપવામાં આવી છે. મહિસાગર નદી કિનારે આઠ જેટલા તરવૈયાઓ સહિત એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરવામાં આવી છે.

કલેકટરે જણાવ્યું કે, એસ.ટી. દ્ઘારા વિવિધ ૧૧ ડેપોની ૩૦૦ કરતા વધુ બસો મેળા માટે ફાળવવામાં આવી છે. અમદાવાદના યાત્રિકો માટે ગુર્જરી ખાતે હંગામી બસ સ્ટેન્ડ ઉભુ કરવા સાથે ભવન્સ કોલેજના મેદાનમાં હંગામી પાર્કીંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે.

ડાકોર ટેમ્પલ કમિટી દ્ઘારા હોળી-પૂનમના તહેવાર નિમિતે તા.૧૯-૦૩-૨૦૧૯ થી તા.૨૧-૦૩-૨૦૧૯ સુધી મંદિરના દર્શન માટેનો સમય પણ વધારવામાં આવ્યો છે. ડાકોર મંદિરમાં પદયાત્રીઓને દર્શન માટે ૬ એલ.ઇ.ડી., ૬ પ્રોજેકટ સ્ક્રીન, ૧૮ માઇક પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ડાકોરમાં ૧૬ અગ્નિશામક યંત્રની વ્યવસ્થા કરવા સાથે ૩૫ સ્થળોએ દર્શનના સમય દર્શાવતા બેનર્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ડાકોરમાં રાધાકુંડ અને વાડાફાર્મમાં મંદિર તરફથી વિસામો બનાવવામાં આવ્યો છે. તેમ શ્રી સુધીર પટેલે જણાવ્યું છે.

આ પત્રકાર પરિસદમાં નિવાસી અધિક કલેકટર શ્રી રમેશ મેરજા, આસી.કલેકટર સુશ્રી અર્પિત સાગર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.જે. રાઠોડ હાજર રહયા હતા.

(4:00 pm IST)