Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

ભરતી માટે બેઠક વધારી હોવા છતાં બંને પક્ષો હજુય અસંતુષ્ટ

એલઆરડીની મહિલા બેઠકો ૨૧૫૦ વધારી : સંખ્યા વધીને ૫૨૨૭ : બેઠકોના દોર વચ્ચે જુના પરિપત્રને ધ્યાનમાં નહીં લેવા માટે તથા ૬૨.૫ ટકા માર્ક મેળવનારની ભરતી કરવા નીતિન પટેલની જાહેરાત છતાં છેલ્લે અસંતોષ

અમદાવાદ,તા. ૧૬ : અનામતના મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકાર તરફથી ફોર્મ્યુલા તૈયાર કરીને રજૂ કરી હોવા છતાં બિનઅનામત વર્ગ અને અનામત વર્ગ તરફથી હાલ આંદોલન જારી રાખવાના સંકેત આપ્યા છે. મોડી સાંજે સરકારે બેઠકોમાં વધારો કર્યો હોવા છતાં બંને વર્ગો સંતુષ્ટ દેખાયા હતા. એલઆરડીની ભરતીમાં પહેલી ઓગસ્ટ ૨૦૧૮ના ઠરાવ મામલે અનામત અને બિનઅનામત વર્ગ દ્વારા ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે ગુજરાત સરકારે સાનુકુળ ઉકેલ શોધી કાઢવાનો પ્રયાસ કર્યો હતો જેના ભાગરુપે આજે રવિવારના દિવસે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવાસ પર બેઠક યોજાઈ હતી. લાંબી અને વિસ્તૃત બેઠક યોજાયા બાદ ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો હતો જેના ભાગરુપે સરકારે એવો નિર્ણય લીધો છે કે, પહેલી ઓગસ્ટ ૨૦૧૮ના પરિપત્રને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એલઆરડીની ભરતીની બેઠકોમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

     બેઠક બાદ પરિપત્ર રદ કરવા મામલે અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને મોડેથી વિગતવાર માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું , જુના પરિપત્રને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જે ઉમેદવારે ૬૨. ટકા માર્ક મેળવ્યા છે તેમની ભરતી કરવામાં આવશે. બક્ષીપંચની બહેનોની ૧૮૩૪ના બદલે ૩૨૪૮ની ભરતી કરવામાં આવશે. આવી રીતે જનરલ કેટેગરીના ૮૮૩ અને એસટીના ૪૭૬ના બદલે ૫૧૧ ઉમેદવારની ભરતી કરવામાં આવશે. નીતિન પટેલ દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. એલઆરડીની પહેલા ૯૭૧૩ બેઠકોમાં મહિલાની ૩૦૭૭ બેઠકો હતી જેમાં સરકારે ૨૧૫૦ બેઠકોનો વધારો કરીને ૫૨૨૭ બેઠકો કરી છે. છેલ્લા પાંચ દિવસ બિનઅનામત વર્ગની સેંકડો મહિલાઓએ આંદોલન શરૂ કર્યા હતા.

     બીજી બાજુ બિનઅનામત વર્ગ તરફથી સરકારની ફોર્મ્યુલાને લઇને આજે મોડી સાંજે પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેના ભાગરુપે બિનઅનામત વર્ગ તરફથી દિનેશ બાંભણિયાએ નિવેદન કરતા મોડી સાંજે કહ્યું હતું કે, નફા-નુકસાનને લઇને હજુ ગણતરી કરવામાં આવશે. સંબંધિતો સાથે અને સમાજના અન્યો સાથે વાતચીત કરીને કોઇ નિર્ણય લેવામાં આવશે. બીજી બાજુ અનામત વર્ગ તરફથી પણ મક્કમ વલણ અપનાવીને કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી પરિપત્ર રદ કરવામાં આવસે નહીં ત્યાં સુધી આંદોલન જારી રહેશે. આનો મતલબ થયો કે, સરકાર દ્વારા વિવાદનો ઉકેલ લાવવા ફોર્મ્યુલા રજૂ કરી હોવા છતાં બને વર્ગના પ્રતિનિધિઓ હજુ સુધી આંદોલન જારી રાખવાના મૂડમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલી રહ્યો હતો.

        બિન અનામત વર્ગની માંગણીઓ મામલે તેમના આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાયા બાદ તેના અનુસંધાનમાં રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી. બિન અનામત વર્ગના આગેવાનોની રજૂઆત અને અન્ય કાયદાકીય તેમ બંધારણીય મુદ્દાઓ ઉપરાંત સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદાઓ સહિત તમામ મુદ્દે તેમને વાકેફ કર્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનો વિગતવાર ચિતાર આપ્યો હતો. પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મામલે મળ્યા હતા અને તમામ પાસાઓ પર સંવેદનશીલ મુદ્દા પરત્વે ચર્ચા વિચારણા કરી હતી.

      બેઠકોના દોર બાદ પહેલી ઓગસ્ટ ૨૦૧૮ના પરિપત્રને ધ્યાનમાં લેવાશે નહીં તેવી જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હોવા છતાં અનામત સમુદાયની બહેનો સંતુષ્ટ દેખાઈ હતી. તેમનું આંદોલન હજુ પણ જારી રહ્યું છે. તેમની માંગણી હજુપણ યથાવત રહેલી છે. અનામત વર્ગની બહેનો છેલ્લા ૬૮ દિવસથી આંદોલનના માર્ગે અડગ બેઠી છે. અનામત વર્ગ તરફથી આંદોલન કરી રહેલા લોકોનું કહેવું છે કે, પરિપત્ર પરત ખેંચાશેનહીં ત્યાં સુધી આંદોલન ચાલશે.

સરકારની ફોર્મ્યુલા.....

અમદાવાદ, તા. ૧૬ : છેલ્લા પાંચ દિવસથી બિનઅનામત વર્ગની મહિલા દ્વારા કરવામાં આવી રહેલા આંદોલન વચ્ચે સરકારે સમાધાનકારી ફોર્મ્યુલા આજે રજૂ કરી હતી અને મોટો નિર્ણય કર્યો હતો જેના ભાગરુપે ભરતીની બેઠકો વધારી હતી. ભરતીની બેઠકો વધારીને જે કરવામાં આવી છે તે નીચે મુજબ છે.

સમુદાય

 ભરતીની બેઠકો

જનરલ કેટેગરી

૮૮૩

બક્ષીપંચ

૩૨૪૮ (૧૮૩૪)

એસટી

૫૧૧ (૪૭૬)

 

નોંધ : કૌંસમાં આપેલા આંકડા જુની ભરતીની સંખ્યાના છે.

(9:55 pm IST)