Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

આને કહેવાય સર્જિકલ સ્ટ્રાઇકઃ અમદાવાદની ઝાયડસ અને મુંબઇની મેકલોડ્સ ફાર્માના ૨ કર્મચારીઓઅે રાષ્‍ટ્રવિરોધી ટિપ્પણી કરતા સસ્‍પેન્ડ

અમદાવાદ: જમ્મૂ કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ દ્વારા કાયરતા પૂર્વક હુમલો કરતા સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા છે. આ આતંકી કૃત્યના કારણે શહીદ થયેલા જવાનોને સમગ્ર દેશવાસીઓ રોષે ભરાયા છે અને પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદની ઝાયડ્સ અને મુંબઇની મેકલોડ્સ ફાર્માના બે કર્મચારીઓને રાષ્ટ્ર વિરોધી ટીપ્પણી કરતા નોટિસ ફટકારવામાં આવી છે તેમજ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પુલવામામાં આતંકવાદી હુમલામાં શહીદોની શહાદતને લઇ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષાદળોને કાર્યવાહી કરવા માટે સમય, જગ્યા અને સ્વરૂપ પસંદ કરવાની ખુલ્લી છૂટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદની ઝાયડસના ઇકલાબ હુસેન અને મુંબઇની મેકલોડ્સ ફાર્મા કંપની રિયાઝ અહેમદે પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને ટિપ્પણી કરતા કહ્યું કે, ‘આને કહેવાય સર્જિકલ સ્ટ્રાઇક’.

આ ઘટનાને પગેલ ઝાયડ્સ અને મેકલોડ્સ ફાર્મા કંપની દ્વારા આ બંને કર્મચારીઓને રાષ્ટ્ર વિરોધી ટીપ્પણી કરતા તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને તેમને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગઇકાલે નવજોત સિંહ સિદ્ધુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, આ ખુબજ દુ:ખદ ઘટના છે. જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. તેમણે તેમની કાયરતાનો પરિચય આપ્યો છે. પરંતુ વાતચીત દ્વારા આ સમસ્યાનું સમાધાન લાવવું જોઇએ.

નવજોત સિંહ સિદ્ધુના તેમનું નિવેદન આપતા એવું પણ કહ્યું હતું કે, આપણે સંયમથી કામ લેવું જોઇએ અને જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે, તેમને સજા મળવી જોઇએ. નવજોત સિંહ સિદ્ધુના આ નિવેદન બાદ ભારતીય જનતા રોષ વ્યક્ત કર્યો હતો અને તેની ટીકા કરતા નવજોત સિંહ સિદ્ધુને ‘ધ કપિલ શર્મા શો’થી બહાર કાઢી મુકવાની વાત કરી રહ્યાં છે.

(5:33 pm IST)