Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ધનંવતરી રથના ડ્રાઇવરે ગુજરાતમાં સૌથી પહેલી વેક્‍સીન લઇ કહ્યુ ‘મને ગર્વ થયો'

રાજકોટ: ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે. જેમને ગુજરાતની સૌથી પહેલી રસી આપવામાં આવતા તેણે ખુશી વ્યક્ત કરી. સાથે જ તેમણે લોકોને અપીલ કરી કે, તેઓ રસી લે. રસીથી ડરે નહીં. સાથે જ અશોકભાઈને પ્રથમ રસી મળતા તેઓએ તંત્રનો આભાર માન્યો હતો. તેમજ અન્ય લોકોને કોઇ અફવામાં ધ્યાન ન દેવા અને સરકારની ગાઇડલાઈન પાલન કરવા અપીલ કરી હતી.

પ્રથમ વેક્સીન લેવાનો મને ગર્વ છે

રાજકોટમાં પ્રથમ વેક્સીન લગાવનાર નાગરિક અશોક ગોંડલિયાએ કહ્યું કે, આપણા દેશે વેક્સીન બનાવી તે ગર્વની વાત છે. પ્રથમ વેક્સીન લેનાર વ્યક્તિ બનવાનો મને ગર્વ છે. વેક્સીન ભલે આવી ગઈ, પણ હજી તકેદારી રાખવાની જરૂરી છે. બીજા દેશોની સરખામણીમાં આપણો દેશ 99 ટકા કોરોનામુક્ત થઈ ગયો છે. પરંતુ હજી ઘણુ સાચવવાનું છે. 

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ સિવિલમાં રસીકરણીની શરૂઆત સમયે હાજર રહ્યા. સાથે જ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ હતા. અમદાવાદ સિવિલમાં રસી લેનાર ડૉ. નવીન ઠાકર અને ડૉ. કેતન દેસાઈ સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા. રસી સંપૂર્ણ સુરક્ષિત હોવાનું મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું. વડોદરામાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીમાં રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો. તો સુરતમાં રસીકરણ સમયે સાંસદ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ હાજર રહ્યા. સાથે જ પાટનગર ગાંધીનગરમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. નિયતિ લાખાણી પહેલી રસી લીધી. ગાંધીનગરમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર રસીકરણનો પ્રારંભ કરાવ્યો અને સૌને રસી લેવા માટે અપીલ કરી.

દેશભરમાં આજથી રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થઈ ગયો છે. દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાના 11 મહિના અને 14 દિવસ જેટલા સમય બાદ રસીકરણ શરૂ થયું છે. કોરોના નામની બીમારીએ લોકોને ઘરમાં બંધ રહેવા માટે મંજૂર કર્યા. એક કરોડથી વધુ લોકોને દેશમાં કોરોનાનો ચેપ લાગ્યો. લાખો લોકોના મૃત્યુ થયા. પરંતુ આજથી તેની સામે સંજીવની મળી ચૂકી છે. પ્રધાનમંત્રી મોદીએ ખુદ આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતે વિશ્વને સાબિત કરી દીધું કે તે સક્ષમ છે. સાથે જ દેશવાસીઓને શીખ આપી કે ભલે રસી આવી ગઈ પરંતુ કોરોનાના નિયમોને ભૂલવાના નથી. ગુજરાતમાં પણ 161 સેન્ટર પર 16 હજાર સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવામાં આવી. દિલ્હીમાં એઈમ્સના ડાયરેક્ટ રણદીપ ગુલેરિયાએ ખુદ રસી લીધી. દેશવાસીઓમાં રસી મામલે જે ભ્રમણાઓ છે તેને દૂર કરવા માટે ડૉ. ગુલેરિયાએ ખુદ રસી લીધી અને દેશવાસીઓને રસી લેવાનો સંદેશ આપ્યો.

વેક્સીન લીધા બાદ શું થશે

સરકારનું કહેવું છે કે આ બંન્ને વેક્સિનની કોઈ પણ ગંભીર સાઇડ ઇફેક્ટ સામે આવી નથી. તેનાથી હળવો તાવ, માથાનો દુખાવો કે શરીરમાં દુખાવો થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું કહેવુ છે કે આવા સામાન્ય લક્ષણ કોઈપણ વેક્સિન લગાવવા પર થઈ શકે છે, તેથી ડરવાની જરૂર નથી. કંપની તરફથી જારી ફેક્ટશીટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે 10 ટકા લોકોને આવી મુશ્કેલી આવી શકે છે જે સામાન્ય છે. વેક્સિન લગાવ્યા બાદ 30 મિનિટ સેન્ટર પર રહેવું પડશે. કોઈપણ પ્રકારની સાઇડ ઇફેક્ટથી બચવા માટે અલગથી સેન્ટર બનાવવામાં આવ્યા છે. પ્રતિકૂળ પ્રભાવ હોય તો 1800 1200124 (24x7) નંબર પર ફોન કરી શકો છો.

ત્રણ રૂમમાં વેક્સીનેશનની પ્રોસેસ

વેક્સીન આપવા માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ દરેક સેન્ટર પર વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વેઈટિંગ રૂમ, વેક્સીનેશન રૂમ અને ઓર્બ્ઝર્વેશન રૂમ બનાવવામાં આવ્યો છે. રસી લીધા બાદ ૩૦ મિનિટ સુધી વ્યક્તિને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

(4:54 pm IST)