Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમદાવાદના બાપુનગરમાં ગેલેરીની છત પડતા 4 વર્ષના બાળક સહિત બે વ્‍યકિતના મોતઃ મકાન માલિક સહિત 3 શખ્‍સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ: અમદાવાદમાં બાપુનગરના સત્યમનગર ખાતે મકાનના બાથરૂમના સમારકામ દરમિયાન રવિવારે ગેલેરીની છત પડતા 4 વર્ષના બાળક સહિત 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા. બાપુનગર પોલીસે બનાવ અંગે મૃતક કારીગરના ભાઈની ફરિયાદ આધારે મકાન માલિક સહિત 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કૃષ્ણનગરના ઠક્કરનગરમાં ભરવાડ વાસ ખાતે રહેતા ગોવિંદભાઇ સિંધાભાઈ ભરવાડ (ઉં,39) એ બાપુનગર પોલીસ સ્ટેશનમાં સોમવારે રાત્રે 10 વાગ્યે આરોપી વિનુભાઈ છનાભાઈ પરમાર, શૈલેષ નટવર ડાભી અને રાજેશ બાબુ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ કરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત રવિવારે ગોવિંદભાઈના મોટા ભાઈ લાલજીભાઈ (ઉં,40) બાપુનગરના સત્યમનગરમાં રહેતા વિનુભાઇ છનાભાઈ પરમારના મકાન પર બાથરૂમનું રિનોવેશન કામ કરવા ગયા હતા.

આ દરમિયાન ગેલેરીની છત પડતા લાલજીભાઈ તેમજ ત્યાં રહેતા 4 વર્ષના બાળક દેવમ નયન બારોટને ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન લાલજીભાઈ અને દેવમનું મોત થયું હતું.

પોલીસ તપાસમાં વિનુભાઇ છનાભાઈના મકાનના રીનોવેશનનું કામ શૈલેષ ડાભી અને રાજેશ વાઘેલાએ રાખ્યું હતું. જેના પગલે પોલીસે મકાન માલિક છનાભાઈ અને કામ રાખનાર બન્ને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(5:17 pm IST)