Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમદાવાદમાં નાતાલ - થર્સ્ટી ફર્સ્ટની રાત્રી પાર્ટી કે ઉજવણી નહિ કરી શકાય : ડીસીપીનો આદેશ

રાત્રી પાર્ટી કે ઉજવણી કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે

અમદાવાદ: રથયાત્રા, ઈદ, દેવ દિવાળી બાદ હવે નાતાલ અને 31 ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી અને ઉજવણીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. રાત્રી પાર્ટી અને ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો છે. કંટ્રોલ DCP હર્ષદ પટેલે રાત્રી પાર્ટી કે ઉજવણી કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.

કોરોના મહામારીનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકારે રાત્રી કરફ્યૂ લંબાવ્યો હતો. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પહેલા 15 દિવસ બાદ ફરી 8 ડિસેમ્બરે નવો હુકમ ના આવે ત્યાં સુધી રાત્રીના 9 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂની જાહેરાત કરી હતી

DCP કંટ્રોલ હર્ષદ પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે, નાતાલ અને 31 ડિસેમ્બરે ન્યુ યરની ઉજવણી રાત્રે 9 પછી નહીં થઈ શકે. જ્યારે દિવસ દરમિયાન કોરોના ગાઈડલાઈન  મુજબ લોકો ન્યૂ યર અને નાતાલની ઉજવણી કરી શકશે. નિયમનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી થશે.

અમદાવાદીઓમાં 31 ડિસેમ્બર ન્યૂ યરની રાત્રી ઉજવણી કરવાનો ભારે ક્રેઝ છે. પોલીસ તરફથી દિવસ દરમિયાન ડાન્સ પાર્ટી કે પાર્ટી માટે મંજૂરી આપવામાં આવશે કે કેમ? તે હજુ નક્કી નથી.

DCP પટેલે જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન લોકો કોરોના ગાઈડલાઈન  મુજબ નાતાલ અને ન્યૂ યરની ઉજવણી કરી શકે છે. ક્લબોમાં દિવસ દરમિયાન ડાન્સ પાર્ટી કે પાર્ટી માટે પરમિશન આપવી કે નહીં? તે અંગે હજુ નિર્ણય લેવાયો નથી પણ સ્પેશયલ બ્રાન્ચ આ અંગે નિર્ણય લેશે

(10:31 am IST)