Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ઉમરેઠ તાલુકા નજીક નહેરમાંથી યુવાનની લાશ મળી આવી:અકસ્માતે મોતનો ગુનો નોંધાતા તપાસ શરૂ

ઉમરેઠ:તાલુકાના સૈયદપુરા ગામની સીમમાંથી પસાર થતી નહેરમાંથી આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે દાગજીપુરાના યુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. અંગે ભાલેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર દાગજીપુરા ગામે રહેતો મહેશભાઈ પ્રભાતભાઈ ભોઈ (ઉ. વ. ૨૩)ગઈકાલે સાંજના સુમારે પોતાનું બાઈક લઈને ચલાલી ખાતે રહેતા સાળી-સાઢુભાઈને મળવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ તે મોડીરાત સુધી ઘરે પરત ફર્યો નહોતો. જેથી ઘરના સભ્યોએ તપાસ કરતાં તેનું બાઈક સૈયદપુરા નહેરની પાળ પરથી મળી આવ્યું હતુ. જેથી તેણે નહેરમાં ઝંપલાવ્યું હોવાનું માનીને આણંદ ફાયરબ્રીગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રીગેડના જવાનોએ સવારથી નહેરમાં તપાસ કરી હતી પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોય કોઈ ભાળ મળી નહોતી. જેથી પ્રવાહ ઓછો કરાવીને તપાસ કરતાં બપોરના ત્રણેક વાગ્યે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકના દાંત તૂટેલા હતા જેને લઈને કોઈએ મોઢાના ભાગે બોથડ પદાર્થનો ફટકો મારીને હત્યા કરી હોય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જો કે આવતીકાલે કરમસદની મેડિકલ કોલેજમાં પીએમ કરવામા આવશે જેમાં મોતનું સાચુ કારણ બહાર આવી જશે તેમ પોલીસ દ્વારા કહેવાઈ રહ્યું છે.

(5:53 pm IST)