Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ગાંધીનગર નજીક પેથાપુરમાં રિક્ષાચાલકે વૃદ્ધને હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં રહેતું વૃધ્ધ દંપતિ ગઈકાલે હોટલમાં જમીને ઘરે જઈ રહયું હતું તે દરમ્યાન પેથાપુર ચાર રસ્તા નજીક રીક્ષાચાલકે વૃધ્ધને અડફેટે લેતાં શરીરે ઈજાઓ પહોંચી હતી અને ગાંધીનગરથી અમદાવાદ સિવીલ લઈ જવાયા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે વૃધ્ધની પત્નિની ફરીયાદના આધારે પેથાપુર પોલીસે રીક્ષાચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.  

આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પેથાપુર મહાલક્ષ્મી મંદિર પાસે રહેતાં શરીફાબેન ઉસ્માનભાઈ મુલતાનીએ ફરીયાદ નોંધાવી હતી કે તેમના પતિ ઉસ્માનભાઈ મુલતાની સાથે રહે છે અને ગાદલા પીલવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે શરીફાબેન અને તેમના પતિ ઉસ્માનભાઈ પેથાપુર ખાતે ઓમકાર રેસીડેન્સીમાં ગાદલા પીલવા ગયા હતા અને ત્યાંથી કામ પતાવીને પેથાપુર ચાર રસ્તા નજીક હોટલમાં જમીને પરત ઘરે જઈ રહયા હતા તે દરમ્યાન તેઓ રસ્તો ઓળંગી રહયા હતા તે દરમ્યાન પાછળ આવતાં તેમના પતિ ઉસ્માનભાઈને ગાંધીનગર તરફથી આવતી રીક્ષા નં.જીજે-૧૮-એવાય-૬૭૯૯ના ચાલકે અડફેટે લીધા હતા અને ઉસ્માનભાઈ રોડ ઉપર પટકાતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને આજ રીક્ષામાં બેસાડીને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા અને જયાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. જેના પગલે પેથાપુર પોલીસે રીક્ષાચાલક મદીના હાઈટસ પેથાપુર ખાતે રહેતા તૌફીક ગફુરભાઈ મનસુરી સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. 

(5:51 pm IST)