Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

આગામી ૧૩ ડિસેમ્બર સુધી લગ્નના ૧૩ મુહૂર્ત

આજથી લગ્નસરા : આગામી એક મહિના સુધી અમદાવાદના ૭૦% પાર્ટી પ્લોટ, હોલ હાઉસફૂલ

કોવિડ ગાઇડલાઇન્સમાં છૂટછાટ અપાતાં બે વર્ષથી લગ્નરાની ખોવાયેલી રોનક પરત ફરશે

અમદાવાદ,તા. ૧૫ : દેવ ઉઠી એકાદશી સાથે જ આવતીકાલથી લગ્નસરાનો પણ પ્રારંભ થશે. આગામી ૧૪ ડિસેમ્બરે કમૂર્તા બેસશે ત્યાં સુધી લગ્ન માટેના કુલ ૧૩ મુહૂર્ત છે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં આ વખતે લગ્ન સમારોહમાં ૪૦૦ને પરવાનગી આપવામાં આવી છે. કોરોનાએ પગપેસારો કર્યા બાદ લગ્ન સમારોહમાં આટલી મોટી સંખ્યામાં અતિથિ ઉપસ્થિત રહે તેવું પ્રથમવાર બનશે. જેના કારણે આગામી એક મહિના સુધી અમદાવાદના ૭૦% પાર્ટીપ્લોટ, હોલ હાઉસફૂલ થઇ ગયા છે.

દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીના સમયગાળા દરમિયાન લગ્ન આયોજન પર બ્રેક લાગી જતી હોય છે. આ ચાર મહિનાના સમયગાળાને હિંદુ ચાતુર્માસ પણ કહેવામાં આવે છે. હિંદુ ચાતુર્માસ પૂર્ણ થતાં લગ્નનું સૌપ્રથમ શુભ મુહૂર્ત ૧૫ નવેમ્બરના છે. કોરોનાકાળને લીધે છેલ્લા બે વર્ષથી લગ્નસમારોહ ધામધૂમથી યોજી શકાતા નહોતા. મર્યાદિત અતિથિઓની ઉપસ્થિતિમાં ડીજે વિના જ લગ્ન યોજવા પડતા હતા. પરંતુ હવે કોરોનાના દ્યટતા કેસ અને વેકિસનેશન વધતા લગ્ન સમારોહ યોજવામાં વિવિધ છૂટછાટ આપવામાં આવી છે. જેના પગલે યજમાનો ઉત્સાહપૂર્વક લગ્નપ્રસંગ યોજવા અને અતિથિઓ તેમાં ઉપસ્થિત રહેવા માટે થનગની રહ્યા છે.

લગ્ન સમારોહ માટે કોવિડ ગાઇડલાઇન્સમાં કેટલીક છૂટછાટ આપવામાં આવતા પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ડીજે, હોટેલ સહિતના વિવિધ વ્યવસાયમાં બે વર્ષથી ખોવાયેલી રોનક પરત ફરી છે. પાર્ટી પ્લોટ-બેન્કવેટ હોલના માલિકોના મતે કોરોનાના કેસને પગલે જુલાઇ સુધી અમારી પાસે બૂકિંગનું પ્રમાણ ખૂબ જ સાધારણ હતું. પરંતુ ઓગસ્ટ મહિનાથી જ ઈન્કવાયરીમાં સતત વધારો થવા લાગ્યો અને હવે સ્થિતિ એ છે કે જાન્યુઆરી સુધીના બૂકિંગ થઇ ગયા છે. ફેબુ્રઆરીમાં જેમના લગ્ન છે તેઓ હજુ ડિસેમ્બર સુધી કોરોનાના કેસની સ્થિતિને આધારે નિર્ણય લેશે. પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલમાં ઠેકઠેકાણે સેનિટાઇઝર પોઇન્ટ સહિતની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે.

કોરોના કાળમાં ડીજે, બેન્ડવાજાના વ્યવસાયને પણ મોટો ફટકો પડયો હતો. પરંતુ હવે તેમના બૂકિંગ પણ આગામી એક મહિના સુધી પેક થઇ ગયા છે. અમદાવાદની અનેક હોટેલના મોટાભાગના રૂમ પણ આગામી ૧૫ ડિસેમ્બર સુધી બૂક થઇ ગયા છે. આમ, લગ્નસરા સાથે જ હોેટેલ બિઝનેસમાં પણ તેજીનો વાયરો ફૂંકાયો છે.

લગ્નની કંકોત્રી લખવી તે દરેક પરિવાર માટે પણ એક વિશેષ પ્રસંગ હોય છે. જોકે, કોરોનાકાળમાં મોટાભાગના લોકો શકન પૂરતી જ કંકોત્રી છપાવી રહ્યા છે. જેના સ્થાને હવે ઈ-મેઇલ, વોટ્સ એપ દ્વારા ઈ કાર્ડ મોકલવાના ચલણમાં વધારો થયો છે. અનેક યજમાનો લગ્ન માટે આમંત્રણ આપતા હોય તેવો ખાસ વિડિયો પણ બનાવી રહ્યા છે. આ નવું વલણ જોતાં કંકોત્રી આપવા જવી તે આવનારા સમયમાં ભૂતકાળ જ બની જાય તો નવાઇ નહીં.

(10:08 am IST)