Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

આદિજાતિ ધરતીપુત્રો પ્રત્યે વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલતા: પંચમહાલના આદિજાતિ વિસ્તારના ૮પ ગામોના ખેડૂતોને ઉદવહન સિંચાઇ-લીફટ ઇરીગેશનનો લાભ આપવા ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજના મંજૂર કરતા મુખ્યમંત્રીશ્રી

પૂર્વપટ્ટીના સિંચાઇથી વંચિત ગામોને ઉદવહન સિંચાઇથી પાણી આપવા ૧૮પ મીટર લેવલે ટેકરી પર ચઢાવી અંડરગ્રાઉન્ડ ડીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનથી સિંચાઇ માટે પાણી વહેવડાવાશે: ત્રણ-ત્રણ જળાશયો-સુજલામ સુફલામ કેનાલ વચ્ચે હોવા છતાં ભૌગોલિક વિષમ સ્થિતીને કારણે લાંબાગાળાથી સિંચાઇ વંચિત પૂર્વપટ્ટીના ગામોને ઇજનેરી કૌશલ્યથી મળતી થશે સિંચાઇ સુવિધા

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પંચમહાલ જિલ્લાના પાનમ ડેમ આધારિત ઉદવહન સિંચાઇ લિફટ ઇરીગેશનથી વંચિત પૂર્વપટ્ટીના વિસ્તારોને સિંચાઇ સુવિધા પૂરી પાડવા ર૪૯.૬૧ કરોડ રૂપિયાની યોજના મંજૂરી કરી છે.

આ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાના પૂર્વપટ્ટીના ગામોને સિંચાઇનો લાભ આ યોજનાથી મળતો થશે.

ભાદર, કડાણા અને પાનમ જેવા મોટા જળાશયો અને સુજલામ સુફલામ કેનાલની વચ્ચે હોવા છતાં વિષમ પડકારરૂપ ભૌગોલિક પરિસ્થિતીને કારણે લાંબાગાળાથી સિંચાઇ વંચિત રહેલા પૂર્વપટ્ટીના આ ગામોમાં ઇજનેરી કૌશલ્યથી સિંચાઇ સુવિધા પહોચાડવા મુખ્યમંત્રીશ્રીની દ્રઢ ઇચ્છાશકિતને પરિણામે આ મહત્વાકાંક્ષી યોજનાને તેમણે મંજૂરી આપી છે.

સમગ્રતયા પંચમહાલ જિલ્લાના ૮પ ગામોના ૧ર૮ તળાવો ઉપરાંત નાની સિંચાઇના ૧૧ સિંચાઇ તળાવો મળીને ૩પ૦૦ હેકટર જમીનને આના પરિણામે સિંચાઇ સુવિધા મળતી થવાની છે.

આ યોજના અંતર્ગત આવરી લેવાયેલા વિસ્તારો માટે પાનમ ડેમમાંથી પાણીનું ઉદવહન કરી ૧૮પ મીટરના લેવલ પર આવેલી ટેકરી પર ચઢાવીને અંડરગ્રાઉન્ડ ડ્રીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનો દ્વારા પાણી સિંચાઇના હેતુ માટે વહેવડાવવામાં આવશે.

શ્રી વિજયભાઇ રૂપાણીના આ આદિજાતિ કિસાન હિતકારી અભિગમને પરિણામે આદિજાતિ વિસ્તારના ધરતીપુત્રો ખરીફ અને રવિ ઋતુમાં પાક લઇ શકશે અને તેમનું જીવનધોરણ ઊંચું આવશે તેમજ રોજગારીની તકો પણ વધશે.

(5:22 pm IST)