Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

૨૫-૨૬ ઓકટોબર દરમિયાન કર્મચારીઓને પગાર મળશે રાજ્‍યનાં કર્મચારીઓને દિવાળી ભેટ : પગાર વહેલો થશે

અમદાવાદ,તા. ૧૫: આગામી ચાર તારીખે દિવાળીના તહેવારને લઈને સૌ લોકોમાં ભારે ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને આ વખતે કોરોનાનાં કેસો પણ ઓછા હોવાને કારણે દિવાળી ઉજવવા માટે લોકો થનગની રહ્યા છે. આ વચ્‍ચે જ રાજયના સરકારી કર્મચારીઓ અને પેન્‍શનરો માટે સારા સમાચાર સામે આવ્‍યા છે. દિવાળી પર્વને લઈને રાજય સરકારે નવેમ્‍બર મહિનાનો પગાર ઓક્‍ટોબરના અંતિમ અઠવાડિયામાં કરી દેવાનો નિર્ણય કર્યો છે.
રાજય સરકારે દિવાળી પર્વ નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટ આપી ખુશખબર આપી છે. વહેલો પગાર આપવા મામલે રાજય સરકાર દ્વારા ઠરાવ જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. ઠરાવમાં જણાવ્‍યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર ૪-૧૧-૨૦૨૧દ્ગક્ર રોજ હોઈ, કર્મચારીઓ અને પેન્‍શનરો આનંદ અને ઉત્‍સાહપુર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્‍યાનમાં રાખીને રાજય સરકારે ઓક્‍ટોબર ૨૦૨૧ માસના પગાર ભથ્‍થા તથા પેન્‍શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત ઠરાવમાં જણાવવામાં આવ્‍યું છે કે, ઓક્‍ટોબર ૨૦૨૧ માસના રાજય સરકારના સરકારી કર્મચારીઓ/પેન્‍શનરોના પગાર ભથ્‍થા/પેન્‍શનની ચૂકવણી તા. ૧૩-૧૦-૧૯૯૩ના ઠરાવમાં જણાવ્‍યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે, વંચાણમાં લીધેલ તારીખ ૨૦-૪-૧૯૯૩ના ઠરાવમાં છૂટછાટ મુકીને ૨૫-૧૦-૨૦૨૧ તથા ૨૬-૧૦-૨૦૨૧ દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવવામાં આવે છે.
આ ઉપરાંત કરાર આધારિત કર્મચારીઓના પગાર પણ સરકાર વહેલો કરશે. ઠરાવમાં જણાવ્‍યા અનુસાર શૈક્ષણિક સંસ્‍થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.

 

(10:27 am IST)