Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

લક્ષચંડી યજ્ઞમાં ચાર મઠના શંકરાચાર્યજી ઉપસ્થિત રહેશે : નરેન્દ્રભાઇ-અમિતભાઇ સહિતના મહાનુભાવો આવશેઃ મહાભારતના અશ્વમેઘ પછીના સૌથી મોટા યજ્ઞનું આયોજન

૧૨૪ દેશોમાંથી પોણો કરોડ ભાવિકો આવશેઃ ઉંઝા ખાતે તૈયારીનો જબરો ધમધમાટ ચાલુ

રાજકોટઃ ઉ.ગુજરાતના સુપ્રસિધ્ધ ઊંઝામાં આગામી ડિસેમ્બરમાં ૮૦૦ વીઘા જમીનમાં૧૮મી શતાબ્દિ બાદ પ્રથમવાર યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગૃહપ્રધાન અમીતભાઇ શાહની સાથે સાથે દેશના ચાર ક્ષેત્રોમાં આવેલા ચાર મઠના જગદ્ગુરુ શંકરાચાર્ય પૈકી સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી અને નંદેશ્વર સરસ્વતીજી સહિત ત્રણ શંકરાચાર્યજી ખાસ ઉપસ્થિત રહેનાર હોવાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

 વિશ્વમાં ૧૮મી શતાબ્દિ બાદ સૌ   પ્રથમવાર યોજાનાર લક્ષચંડી મહાયજ્ઞ મહાભારતમાં થયેલા અશ્વમેધ યજ્ઞ બાદ સૌથી મોટો યજ્ઞ છે.

૫૧ શકિત પીઠના પ્રતિક મંદિરો સાથે ૮૧ ફુટ ઉંચાઇની યજ્ઞ શાળા સાથે ૩૫૦૦ લોકો બેસી શકે તેવો  વિશાળ મંડપ બનશે.ઉમિયા માતાજી સંસ્થાનનું ભવ્ય આયોજનઃ  ૧૧૦૦ પ્રકાંડ બ્રાહ્મણો દ્વારા યજ્ઞ પૂર્વે ૧૬ દિવસ સુધી ૧૦ હજાર ચંડીપાઠની આહુતી અપાશેઃ  ૭૫ હજાર કિલો કાષ્ઠ, ૩૨૦૦ કિલો ઘી, ૧૫ ટન અડાયા છાણા, હજારો કિલો તલ-ડાંગર-દ્વવ્યો હોમાશેઃ શ્રી ઉમિયા  માતાજી સંસ્થાન દ્વારા આયોજીત મહાયજ્ઞમાં ૧૦૮ યજ્ઞકુંડ તેમજ ૧૧૦૦ દૈનિક પાટલાના યજમાનો સાથે યજ્ઞની શરૂઆતમાં ઉમિયા માતાજીની જયોતની સાક્ષીએ ઉમિયા  બાગ ખાતે અવિરત ૧૬ દિવસ ૧૧૦૦ જેટલા પ્રકાંડ બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશત્ના ૭૦૦ શ્લોકોથી એક એક લાખ ચંડીપાઠના દશમા ભાગના  દશ હજાર પાઠની શાસ્ત્રોકતવિધિથી  આહુતિ આપવામાં આવનાર છે.

 આ સંદર્ભે કુલ ૫૧ શકિતપીઠના પ્રતિક મંદિર સાથે ૮૧ ફૂટની ઉંચાઈની યજ્ઞ શાળાઓ નીચે ૩૫૦૦ વ્યકિતઓ બેસી શકે તેવો વિશાળ યજ્ઞ મંડપ તૈયાર કરવાનું અદભૂત બીડું ઝડપ્યું છે.

 યજ્ઞશાળામાં ૭૫૦૦૦ કિલો કાષ્ટ, ૩૨૦૦ કિલો ઘી, ૧૫ મેટ્રિક ટન છાણા (અડાયા), હજારો કિલો તલ, ડાંગર અને વિવિધ દિવ્ય દ્રવ્યો અને  ઔષધિઓને યજ્ઞમાં હોમવામાં આવનાર છે. જેની આહુતિ સાથે ચંડીપાઠના સતત ઉચ્ચારણ અને વૈદિક મંત્રોચ્ચારથી ઐેતિહાસિક અને દૈદિપ્યમાન વાતાવરણ ઉભું થનાર છે.

આ મહાયજ્ઞમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ તથા ગહપ્રધાન અમીતભાઇ શાહની સાથે સાથે કેન્દ્ર અને રાજય સરકારનું વહીવટી તત્ર પણ ઉપસ્થિત રહેનાર હોવાથી સલામતી અને સુરક્ષા તેમજ ભારત સહિત ૧૨૪ દેશોમાંથી લગભગ ૮૦ લાખ ઉપરાંત ભકતો શ્રધ્ધાળુઓ માટેની કાયદો વ્યવસ્થા માટે અત્યારથી બેઠકોનો દોર શરૂ થતા ભારે ધમધમાટ ઊંઝા ખાતે ચાલી રહ્યો છે.

(11:46 am IST)