Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

શ્રીમાળી બ્રાહ્મણના ગરબામાં પ્રાચીનભાતીગળ સંસ્કૃતિ રજૂ

તાલીમ પામેલા વિદ્યાર્થીઓએ ભારે જમાવટ કરી શ્રી મહાલક્ષ્મી આશ્રિત શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળના શરદપૂર્ણિમા રાસ-ગરબામાં ૧૦૦૦થી વધુ ભૂદેવ જોડાયા

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદ શહેરમાં આવેલી શ્રી મહાલક્ષ્મી આશ્રિત શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળની વાડી ખાતે શરદપૂર્ણિમા નિમિત્તે ભાતીગળ સાંસ્કૃતિક રાસ-ગરબા મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સરસ્વતી સંગીત કલાસ, અર્જુન ટાવર ઘાટલોડિયાના તાલીમ પામેલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.

શ્રી મહાલક્ષ્મી આશ્રિત શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળની વાડીમાં યોજાયેલા શરદપૂર્ણિમાના રાસ-ગરબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રીમાળી બ્રાહ્મણના જ્ઞાતિજનો તેમજ ખેલૈયાઓ પારંપરિક વેશભૂષામાં હાજર રહ્યા હતાં. શ્રી મહાલક્ષ્મી આશ્રિત શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળની વાડીમાં યોજાયેલા શરદપૂર્ણિમાના રાસગરબામાં સરસ્વતી સંગીત કલાસમાં ભારતીય શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને લોકગીતોની તાલીમ પામેલા શનિ શાહ, પ્રિયાંશ રાજપૂત, કરણ નાયક, હેલી શુકલ અને જ્હાનવી રામાવતે વૈવિધ્યસભર ભાતીગળ સાંસ્કૃતિક અને પ્રાચીન રાસ-ગરબા તેમજ લોકગીતોની રમઝટ બોલાવી હતી. જેના તાલે શ્રીમાળી બ્રાહ્મણના જ્ઞાતિજનો અબાલ વૃધ્ધ તેમજ યુવા ખેલૈયાઓ મનભરી ઝૂમ્યા હતા. શ્રી મહાલક્ષ્મી આશ્રિત શ્રીમાળી બ્રાહ્મણ કેળવણી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કવિન્દ્રભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, દરવર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલા શરદપૂર્ણિમાના રાસ-ગરબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રીમાળી બ્રાહ્મણના જ્ઞાતિજનો તેમજ ખેલૈયાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ અમે ટ્રસ્ટી મંડળ સૌ જ્ઞાતિજનોનો આભાર માનીએ છીએ. સમાજ દ્વારા સમાજપયોગી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સૌ જ્ઞાતિજનો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સમગ્ર કાર્યક્રમમાં એક હજારથી વધુ ભૂદેવોએ ભાગ લીધો હતો.

(10:36 pm IST)