Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વિવિધ પ્રકલ્પોનું ખાતમૂહૂર્ત કરાયું

ઔદ્યોગિક વિકાસમાં એમએસએમઈનું યોગદાન ઔદ્યોગિક પ્રદૂષણને નાથવા ૬૫ કરોડના ખર્ચે નિર્માણ થનારા ત્રણ પ્રકલ્પોનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ખાતમુહુર્ત

અમદાવાદ,તા.૧૪ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજયના ઔદ્યોગિક વિકાસમાં એમએસએમઈ ક્ષેત્રનું મોટું યોગદાન છે. એમએસએમઈ ક્ષેત્ર  ઉધોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા સાથે રોજગાર સર્જનમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજયમાં એમએસએમઈ એકમોને સ્થાપના માટે જરૂરી મંજૂરીઓ લેવામાંથી છૂટછાટ આપવામાં આવી છે એટલું જ નહીં ત્રણ વર્ષ સુધી આવી પરવાનગીઓ લેવામાંથી મુકિત આપવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક વસાહતોના જળ પ્રદુષણને નાથવા અંદાજે ૬૫ કરોડના ખર્ચે એમએસએમઈ એકમો માટે ૧૦ એમ.એલ.ડીના કોમન એફલુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પર્યાવરણ રાજયમંત્રી જયદ્રથસિંહ પરમાર, સહકાર રાજય મંત્રી ઇશ્વરસિંહ પટેલ, જીઆઇડીસીના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં કર્યું હતું. 

યબ મુખ્યમંત્રીએ એમએસએમઈ ઉધોગો માટે એકચેન્જ કન્વેયન્સ પાઇપલાઇન, વેસ્ટ એકચેન્જ સેન્ટરનું પણ ખાતમુહુર્ત  કર્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ૧.૨૫ કરોડના ખર્ચે નિર્માણ થયેલ સીનીયર સીટીઝન એકટીવીટી સેન્ટરનું "સુષ્મા શાંતિ" સીનીયર સીટીઝન એકટીવીટી સેન્ટર નામકરણ કર્યું હતું. આ સેન્ટરમાં જરૂરી સુવિધાઓ ઉભી કરવા માટે મે. સજજન ઇન્ડીયા લી. ધ્વારા ૫૧ લાખનો માતબર આર્થિક સહયોગ સાંપડયો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગામી એક વર્ષમાં આ પ્રોજેકટ કાર્યાન્વિત થતાં ઔદ્યોગિક મુડી રોકાણ વધવા સાથે  રોજગારીની વિપુલ તકો સર્જાશે.    નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજયમાં એમએસએમઈ ક્ષેત્રે મહત્તમ રોકાણો આવે તે માટે રાજય સરકારે નવીન પ્રોત્સાહક પગલાં લીધાં છે. દેશના નાણાંમંત્રીએ નવીન રોકાણ માટે કોર્પોરેટ ટેક્ષ ૩૧ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરી ઔદ્યોગિક રોકાણ ક્ષેત્રે નવીન તકો ઉભી કરી છે જેને પરિણામે રાજયમાં મોટા પાયે ઔદ્યોગિક ક્ષેત્રે રોકાણો થવાના છે જેનો લાભ અંકલેશ્વર વિસ્તારને પણ મળશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના મુજબ દેશની ઇકોનોમીને પાંચ ટ્રીલીયન સુધી લઇ જવા પર્યાવરણ, આરોગ્યના જતન સંવર્ધન સાથે રાજયમાં ધોલેરા- દહેજ - હજીરા - અંકલેશ્વર - વાપી ઔદ્યોગિક વસાહતોમાં ગ્રીન ટ્રીબ્યુનલની ગાઇડ લાઇન મુજબ નવા ઔદ્યોગિક એકમો આવી રહયા છે. પટેલે ઉમેર્યું કે અંકલેશ્વર એ કેમીકલ અને સંલગ્ન ઉધોગોનું હબ બન્યું છે ત્યારે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના સમુચિત વિકાસ માટે રાજય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે. પટેલે જણાવ્યું કે અમદાવાદ - વડોદરા અને જેતપુરના સાડી ઉધોગના ગંદા પાણીના શુધ્ધિકરણ માટે રાજય સરકારે ૨૩૦૦ કરોડની યોજનાને મંજૂરી આપી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં ૪૪૦૦ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજના સાકાર થશે જે અંગેના ટેન્ડરો પણ બહાર પાડવામાં આવ્યા છે. ભાડભૂત યોજના આગામી સમયમાં સાકાર થતાં ઉધોગોને જરૂરી પાણી મળી રહેશે એટલું જ નહિ દરિયાની ખારાશ અટકશે અને જમીન ફળદ્રુપ થશે જેને પરિણામે ભરૂચ જિલ્લો વધુ હરિયાળો બનશે. પટેલે ઉમેર્યું કે ભરૂચમાં આગામી વર્ષથી પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલથી નવીન મેડીકલ કોલેજ શરૂ કરવામાં આવશે.

(10:28 pm IST)