Gujarati News

Gujarati News

News of Sunday, 15th September 2019

અમદાવાદ : તળાવોમાં ગટરના પાણી છોડાતા પ્રદૂષણ વધી ગયું

ગંદગી અને પ્રદૂષણથી રોગચાળાનો ખતરો : તળાવ તેમજ તેની આસપાસ કાદવ કિચડ, ગંદકીની પણ વ્યાપક ફરિયાદો : લોકોની ફરિયાદ છતાંય તંત્ર ઉદાસીન

અમદાવાદ, તા.૧૫ : અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવો અને નાળા-સરોવરમાં ભારે ગંદકી, ગટરોના પાણી, અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણનું સામ્રાજય છવાયેલુ છે. એકબાજુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સ્વચ્છતા અભિયાનના મોટા બણગાં ફુંકી જાહેરાતો કરી રહ્યા છે જયારે બીજીબાજુ, શહેરના વિવિધ વિસ્તારોના જાહેર તળાવો ગંદકી અને ગટરોના પાણીથી તરબોળ બની રહ્યા છે અને જે તે વિસ્તારના સ્થાનિક લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે તેમ છતાં અમ્યુકો સત્તાધીશો ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે. શહેરના આર.સી.ટેકનીકલ કોલેજ રોડ પર આવેલું તળાવ, વસ્ત્રાપુર તળાવ, મેમનગર વિસ્તારમાં આવેલ તળાવ, થલતેજનું તળાવ, શીલજ સહિતના જુદા જુદા તળાવો ગંદકીના સામ્રાજયથી ખદબદી રહ્યા છે.

          સ્થાનિક નાગરિકો દ્વારા અમ્યુકો તંત્ર સહિતના સત્તાધીશોને વારંવાર ફરિયાદો કરવા છતાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારના સફાઇ કે આરોગ્યવિષયક પગલાં લેવાતા નથી તે ભારે કરૂણતા અને શરમજનક વાત કહી શકાય. અમ્યુકો તંત્રના આ નઘરોળ અને બેદરકારીભર્યા વલણને લઇ સ્થાનિક નાગરિકોમાં ભારોભાર આક્રોશની લાગણી ફેલાઇ છે. તળાવોના આ ગંદકીના સામ્રાજય અને તીવ્ર દુર્ગંધ મારતાં વાતાવરણને લઇ સ્થાનિક વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવ અને તેના કારણે મચ્છરજન્ય રોગો તેમ જ બિનઆરોગ્યપ્રદ સ્થિતિની દહેશત પ્રવર્તી રહી છે. ખાસ કરીને તળાવ કિનારે ફરવા આવતાં મહિલાઓ, બાળકો, વૃધ્ધોની હાલત ભારે કફોડી બની રહી છે અને તેઓ ભયંકર બિનરોગ્યપ્રદન વાતાવરણનો ભોગ બનવા જાણે કે મજબૂર બન્યા છે.

         શહેરના આર.સી.ટેકનીકલ કોલેજ રોડ પર આવેલું તળાવ, વસ્ત્રાપુર તળાવ, મેમનગર વિસ્તારમાં આવેલ તળાવ, થલતેજનું તળાવ, શીલજ સહિતના જુદા જુદા તળાવો ગંદકીના સામ્રાજયથી ખદબદી રહ્યા છે. આર.સી.ટેકનીકલ કોલેજ રોડ પર આવેલા તળાવમાં તો વરસાદી પાણી સાથે તળાવમાં ગટરોના પાણી પણ ભળી ગયા છે. આવી જ ગંદકીભરી હાલત અન્ય તળાવોની પણ છે. અમ્યુકો તંત્ર અને ખુદ ભાજપ શાસકો દ્વારા અગાઉ શહેરના તળાવોને ચોખ્ખા અને વરસાદી પાણીથી ભરી શહેરની સુંદરતા અને શોભામાં અભિવૃધ્ધિ કરવાના મસમોટા દાવા કરવામાં આવ્યા હતા, તે આ વખતના ચોમાસામાં આખરે પોકળ સાબિત થયા છે અને શહેરના મોટાભાગના તળાવો ગંદકીના સામ્રાજયથી ખદબદી રહ્યા છે, જે બહુ ગંભીર અને શરમજનક વાત કહી શકાય.

(9:37 pm IST)