Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

બોડકદેવ : બંગલામાંથી ૧૨ લાખની મતાની ચોરી કરાઈ

બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર : સિંધુ ભવન રોડ પર વ્હાઇટ હાઉસ બંગલામાં ચોરી થઈ શહેરના પશ્ચિમ વિસ્તારમાં તસ્કરોનો આતંક વધી ગયો

અમદાવાદ,તા. ૧૫ : શહેરના બોડકદેવ વિસ્તારમાં પોશ એરિયામાં ગણના પામતા સિંધુ ભવન રોડ પર આવેલા વ્હાઇટ હાઉસ નામનાં બંગલામાં તસ્કરોએ ત્રાટકી રૂ.૧ર લાખની માલમતાની ચોરી કરી ફરાર થઇ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી ગુનો દાખલ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. વસ્ત્રાપુર, સેટેલાઇટ, ઘાટલોડિયા, નવરંગપુરા, ચાંદખેડા, સાબરમતી, નારણપુરા જેવા વિસ્તારોમાં છેલ્લા બે મહિનામાં રૂ.૧૦ લાખથી વધુ મતાની ચોરીના બનાવો બની ચૂક્યા છે જ્યારે રૂ.પાંચ લાખથી નીચેની મતાના પણ અનેક બનાવો બન્યા છે. શહેર પોલીસ અત્યારે ટ્રાફિક ડ્રાઇવ અને બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી તસ્કરોએ શહેરની મોબાઇલ શોપ અને બંધ મકાનોને નિશાન બનાવવાનાં શરૂ કર્યા છે. શુક્રવારે મોડી રાત્રે નવરંગપુરા-આશ્રમરોડ પર આવેલ સેલ્સ ઇન્ડિયાના શો-રૂમમાંથી તસ્કરો રૂ.ર૦ લાખના મોબાઇલની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના તાજી છે ત્યારે શહેરના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર આવેલા વ્હાઇટ હાઉસ નામનાં બંગલામાં તસ્કરો ત્રાટકી રૂ.૧ર લાખની માલમતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પોલીસને જાણ કરાતાં વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી છે.  આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સિંધુ ભવન રોડ પર મારુતિનંદન રેસ્ટોરન્ટ પાછળ આવેલા વ્હાઇટ હાઉસ નામના બંગલામાં દેવેન્દ્ર પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ શેરબજારનો વ્યવસાય કરે છે. ત્રણ દિવસ પહેલાં તેમના મિત્રએ કાર લીધી હોવાથી તેઓ પરિવાર સાથે રાજસ્થાન-ઉદયપુર ગયા હતા. દરમ્યાનમાં બંધ મકાનનો લાભ ઉઠાવી તસ્કરો મકાનનાં પાછળનાં ભાગે બનાવેલા શેડ પર આવ્યાં હતાં. શેડમાં કાણું પાડી બંગલાની પ્રિમાઇસીસમાં પ્રવેશ કર્યો હતો. પાછળના ભાગે આવેલા બેડરૂમની બારીના સળિયા તોડી તસ્કરો બંગલામાં પ્રવેશ્યા હતાં. તસ્કરોએ ઘરમાંથી રોકડ રૂપિયા તેમજ સોના-ચાંદીનાં દાગીના સહિતની માલમતાની ચોરી કરી હતી. આશરે રૂ.૧ર લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયાં હતાં. ગઇ કાલે રાત્રે દેવેન્દ્રભાઇ અને તેમનો પરિવાર ઘેર પરત ફરતાં તેમને ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. ઘટનાની જાણ વસ્ત્રાપુર પોલીસને કરાતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે, બનાવને પગલે સમગ્ર વિસ્તામરાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:05 pm IST)