Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

અમદાવાદને બીજી ઓક્ટોબરે ડસ્ટબીન મુક્ત શહેર જાહેર કરાશેઃ સુકો-ભીનો કચરો અલગ તારવીને ન આપનારા લોકો પાસેથી કોર્પોરેશન કચરો લેવાનું બંધ કરશે

 

અમદાવાદઃ ઘન કચરાના નિકાલ માટે 2016માં નિશ્ચિત થયેલા નિયમો મુજબ ભીનો કચરો, સૂકો કચરો અને જોખમી કચરો એમ ત્રણ કચરા અલગ તારવવાની જવાબદારી કચરો આપનારની બને છે. પરંતુ આજ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કામ કરવું પડતુ હોવાથી તેમને ત્રણ પ્રકારનો કચરો જુદો તારવવામાં મુશ્કેલી પડી રહી છે. પિરાણામાં દરરોજ 3900 મેટ્રિક ટન કચરો ઠલવાય છે જેમાંથી માત્ર 500 મેટ્રિક ટન રિસાઈકલ કરાય છે. વર્ષની શરૂઆતમાં AMC પાઈલોટ પ્રોજેક્ટ રૂપે નારણપુરા અને બોડકદેવ એમ બે વિસ્તારમાં કચરો અલગ અલગ તારવીને ભેગો કરવાની શરૂઆત કરી હતી. પરંતુ હવે કોર્પોરેશન પ્રોજેક્ટને 2જી ઓક્ટોબરથી બીજા વોર્ડ્સમાં પણ શરૂ કરવા માંગે છે અને કચરો અલગ તારવીને આપવા અંગે શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માંગે છે.

શહેરમાં ઉકરડાનો સંપૂર્ણ નિકાલ કરીને કોર્પોરેશન 2જી ઓક્ટોબરે શહેરને ડસ્ટબિન મુક્ત શહેર ઘોષિત કરશે. પર્યાવરણપ્રેમીઓએ કોર્પોરેશનને ચેતાવણી આપી દીધી છે કે આખા શહેરમાં આડેધડ જોખમી કચરો નંખાતો હોવાને કારણે જમીનમાં પાણીનું સ્તર નીચે ઉતરી રહ્યું છે અને જમીનની ગુણવત્તા પણ કથળી રહી છે. શહેરીજનોએ કોર્પોરેશનને જાહેરમાં મૂકાતી કચરાપેટીને કારણે ફેલાતા રોગચાળા અંગે અનેક ફરિયાદો કરી છે. જાહેર કચરાપેટીમાં સામાન્ય રીતે કચરો કોઈપણ જાતની ટ્રીટમેન્ટ વિના ફેંકી દેવાય છે. તેમાં શૌચાલયનો કચરો અને રસોડામાંથી નીકળતો કચરો એક જગ્યાએ નાંખી દેવાય છે.

ભૂતપૂર્વ મેયર ગૌતમ શાહે જણાવ્યું, “અમે નારણપુરા વોર્ડમાં પ્રોજેક્ટ શરૂ કરવાનું નક્કી કરેલુ પરંતુ હજુ સુધી પ્રોજેક્ટ શરૂ થઈ શક્યો નથી. રહેવાસીઓ ઘરે બે કચરાપેટી રાખવા તૈયાર નથી. ઘણા લોકોને કચરો જુદો જુદો તારવવો અઘરો પડે છે.” અન્ય કાઉન્સેલર જયેશ પટેલે જણાવ્યું, “અમે સોસાયટીના સભ્યો સાથે મીટીંગ યોજી પરંતુ તેમની એવી અપેક્ષા છે કે કોર્પોરેશન તેમને કચરાપેટી સપ્લાય કરે.” બોડકદેવના કાઉન્સિલર દેવાંગ દાણીએ જણાવ્યું, “અમે ગજુ આખા વોર્ડમાં કચરો અલગ તારવવાનું શરૂ નથી કર્યું પરંતુ 20 જેટલી સોસાયટીમાં મોબિટ્રેશ રસોડાના કચરાને ખાતરમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે.” પરંતુ કિચન વેસ્ટમાંથી પણ 20 ટકા જેટલો કચરો પ્લાસ્ટિક અને અન્ય મટિરિયલનો હોય છે.

2 ઓક્ટોબરથી કોર્પોરેશન સ્વચ્છતા અંગે મોટે પાયે જાગૃતિ અભિયાન શરૂ કરવાનું વિચારી રહી છે. જો કે રહેવાસીઓને 2 ડસ્ટબિન આપવાનો કોર્પોરેશનનો કોઈ આશય નથી. ભવિષ્યમાં કચરો અલગ તારવીને આપનારા લોકો પાસેથી કોર્પોરેશન કચરો લેવાનું બંધ કરી દેશે. ઉપરાંત આવા લોકોને દંડ કરવાનું પણ કોર્પોરેશને વિચાર્યું છે.

(4:57 pm IST)