Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પૂર્વ પ્રેમિકાની આત્મા હેરાન કરતી હતી : ચિઠ્ઠીમાં ખુલાસો

નરોડાના સામૂહિક આત્મહત્યા કેસમાં ઘટસ્ફોટ : વેપારીની પત્નિ કવિતાએ મરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારી હકીકતો સામે આવતાં ભારે ચકચાર

અમદાવાદ,તા. ૧૩ : નરોડામાં કોસ્મેટિકના વેપારી કૃણાલ ત્રિવેદીએ પત્ની કવિતા અને દીકરી શ્રીન સાથે આપઘાત કરવાની ઘટનાને પગલે શહેરભરમાં ભારે ચકચાર મચી ગઇ છે ત્યારે આ કેસમાં ગઇકાલે વેપારી કૃણાલ ત્રિવેદીની ત્રણ પાનાની સ્યુસાઇડ નોટમાં કાળીવિદ્યાનું કારણ સામે આવ્યું હતું, જેને લઇ પોલીસે તપાસ આરંભી હતી ત્યાં આજે કૃણાલની પત્ની કવિતાએ પણ મરતાં પહેલાં લખેલી સ્યુસાઇડ નોટ પણ પોલીસના હાથે લાગી હતી, જેમાં તેની પત્નીએ એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો કે, કૃણાલની પૂર્વ પ્રેમિકાનો આત્મા હેરાન કરતી હતી. આમ આ સામૂહિક આત્મહત્યા કેસમાં આજે નવો વળાંક આવતાં હજુ  આ કેસમાં રહસ્યના અનેક તાણાવાણાં સર્જાયેલા છે. આ મામલે કૃણાલના સંબંધીઓએ પોલીસને જણાવ્યા મુજબ, લગ્ન પહેલા કૃણાલ એક યુવતીના પ્રેમમાં હતો, પરંતુ પારીવારિક કારણોસર તેમના લગ્ન થઈ શક્યા નહોતા. ત્યાર બાદ તેની પૂર્વ પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા તેની આત્મા કૃણાલના પરિવારને હેરાન કરતી હોવાની આશંકા હતી. કવિતા સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મા-બાપુ, પ્રણામ-બાપુ-મા આજ સુધીની તકલીફો માટે મને માફ કરી દેજો. મા અમે એક કરોડમાં મકાન વેચી દીધું, તમામને પૈસા ચૂકવ્યા બાદ જે પૈસા બચ્યા તે મેં અને કૃણાલે વહેંચી લીધા. હું મારા પુરા પૈસા તમને આપીને જઈ રહી છું. આજ સુધી મેં જે કંઈ બચાવ્યું તે મારા અને શ્રીન માટે બચાવ્યું હતું. આજે હું શ્રીનનો હિસ્સો તમને આપવા માગું છું. આત્માના હેરાન કરવા અંગે કવિતાએ આગળ લખ્યું હતું કે, ના તો તે મારવા માગતી હતી કે ના તો જીવવા દેવા માગતી હતી. આથી ખૂબ વિચાર્યા બાદ આ પગલું ભરી રહ્યા છીએ. તમે ક્યારેય એવું ના વિચારતા કે શું માણસને આટલી તકલીફ આવી શકે છે, કે દર બે-ચાર દિવસમાં એક નવી વાત સાંભળવા મળે છે અને તે અમને શાંતિથી જીવવા દેવા માગતી નથી. દુનિયા આ વાતને સમજશે નહીં અને ઉલટા પાગલ કહેશે. આથી અમે બધા સાથે જઈ રહ્યા છીએ, કૃણાલ તરથી કોઈ જબરદસ્તી નથી. મેં ખૂબ જ વિચાર્યા બાદ આ નિર્ણય કર્યો છે કે, કારણ કે કૃણાલ વિના જીવવું ખૂબ મુશ્કેલ છે. આ દુનિયા અમને મા-દીકરીને જીવવા દેશે નહીં. હું જલ્દીમાં છું, ભૂલો માફ કરશો. શ્રીનને હું સાથે લઈ જઈ રહી છું. આ પૈસાથી આ ઘર સારું બનાવી લેજો, અને જે કંઈ દાન-પૂણ્ય કરવું હોય તે કરી લેજો. તેમાંથી સાત બાળકોને જે કંઈ મારા તરફથી લાગે તે તમે આપી દેજો. આ પૈસામાંથી ૧૦,૦૦૦ સરિતા અને ૧૦,૦૦૦ નીતુને આપી દેજો, કારણ કે આ પૈસા મને આપ્યા હતા. મા આ પૈસાથી તારું થોડું કામ તો ચાલી જશે, કારણ કે હવે હું ઉપર બાધાઓથી પરેશાન થઈ ગઈ છું. કવિતા પોતાની સુસાઈડ નોટના અંતિમ પેજ પર કૃણાલની પ્રેમિકા અંગે લખે છે કે,મારી સાસુ આ તમામ વાતો જાણે છે. કારણ કે તે જીવનની તમામ તકલીફોનું કારણ તે જ રહી, કારણ કે કોઈ યુવતી કૃણાલને ચાહતી હતી અને તેણે આ લોકોને કહ્યું હતું અને કૃણાલ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા માગતો હતો. પરંતુ તે યુવતીએ બાદમાં આત્મહત્યા કરી લીધી, અને તેના કારણે જ આ તમામ મુશ્કેલીઓ આવી રહી હતી. તે કૃણાલને લઈ જવા માટે વારંવાર પ્રયાસ કરી રહી હતી અને કોઈને કોઈ ખોટું કામ કરાવી રહી હતી. તેના કારણે પરેશાનીઓ વધી રહી હતી. હવે અસહનીય થઈ ગયું હતું કારણ કે તે શ્રીન પર પણ હુમલો કરવા લાગી હતી. આમ કૃણાલની પત્નીની સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયેલી ચોંકાવનારી હકીકતો બાદ હવે કેસમાં નવો જ વળાંક આવ્યો છે, તેથી પોલીસે હવે આ દિશામાં પણ તપાસનો નવો દોર ચલાવ્યો છે.

(7:17 pm IST)