Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

જયાં માણસ તો શું જાનવર પણ મળવા મુશ્કેલ છે તેવી બનાસકાંઠાની નડાબેટ બોર્ડર ઉપર સાડા પાંચ દાયકાઓથી ફરજ બજાવે છે BSFના જવાનો

આજે ૧૫મી ઓગસ્ટ હોવાના કારણે સમગ્ર દેશ દેશભકિતના રંગમાં રંગાયો છે. સમગ્ર દેશના લોકો આઝાદીના પર્વને ધામધૂમથી મનાવી રહ્યા છે. ત્યારે આપણા દેશની સીમાઓની સુરક્ષા કરનાર બીએસએફ (BSF) ના જવાનો ૧૫જ્રાક ઓગસ્ટને કેવી રીતે મનાવી રહ્યા છે, કેવી રીતે પોતાના વતનની સીમાઓની સુરક્ષા કરી રહ્યા છે. બનાસકાંઠાનો રણ વિસ્તાર પાકિસ્તાની સીમાઓ સુધી પથરાયેલો છે. આ અફાટ રણમાં દુરદુર સુધી માણસ તો શું, જાનવર સાથે પણ મુલાકાત થવી મુશ્કેલ છે. ઠંડીમાં ઠંડાગાર રહેતા અને ગરમીમાં તાપથી ઉકળતા આ રણનું હવામાન હરકોઈને માફક આવે તેમ નથી. નડાબેટના રણની આગળ એક અલગ જ દુનિયા છે. જયાં કોઈ જ સુવિધાઓ નથી, છતાં પણ અનેક વિષમ પરિસ્થિતિમાં બીએસએફના જવાનો આકરા તાપ અને ઠંડીની પરવાહ કર્યા વગર રેગિસ્તાનમાં પોતાના વતનની રક્ષા માટે રાત-દિવસ દુશ્મન દેશ સામે છાતી તાણીને બોર્ડર ઉપર તૈનાત છે.

બનાસકાંઠાનો આ અફાટ રણવિસ્તાર પાકિસ્તાની સરહદને અડીને આવેલો છે. ભારત-પાકિસ્તાનની સરહદ ઉપર આવેલ નડાબેટ બોર્ડર પર ૧૯૬૫ના યુદ્ઘ બાદ બીએસએફ તૈનાત કરવામાં આવી હતી. ત્યારથી લઈને આજદિન સુધી બીએસએફના જવાનો ભારત-પાકિસ્તાનની સરહદ ઉપર આપણી માતૃભૂમિની રક્ષા કરી રહ્યા છે. ચિતા જેવી ચાલ, બાજ જેવી નજર, સિંહ જેવું દિલ, ફોલાદ જેવું જીસ્મ, તપતા રેગિસ્તાનથી બરફીલા પહાડ સુધી જેમની એક દહાડથી દુશ્મન કાંપી ઉઠે છે, તેવા છે આપણા ભારતીય સેનાના જવાન. સરહદ ઉપર ૨૪ કલાક રણના રણબંકા જવાનો પોતાની માતૃભૂમિની રક્ષા કરતા કરતા રણના ખતરનાક સાપ અને વીંછીઓની પરવાહ કર્યા વગર પેદલ બોર્ડર ઉપર ગસ્ત લગાવે છે.

દુશ્મન જયારે પાકિસ્તાન જેવો નાપાક દેશ હોય ત્યારે ભારત-પાકિસ્તાની સીમા ઉપર તૈનાત જવાનોની જવાબદારી ખૂબ જ વધી જાય છે. દુશ્મન દેશની દરેક નાપાક ચાલ ઉપર આપણા બીએસએફના જવાનો હાથમાં બંદૂક લઈને આંખનો પલકારો કર્યા વગર બાજ નજરથી પાકિસ્તાનની સરહદ ઉપર નજર રાખી રહ્યા છે. કેમ કે દુશ્મન કોઈ પણ સમયે, કોઈ પણ સૂરતમાં આવી શકે છે.

નડાબેટમાં પાકિસ્તાનને અડીને આવેલી ભારત-પાકિસ્તાનની સરહદ રણ વિસ્તારમાં કેટલાય કિલોમીટર સુધી ફેલાયેલી છે. જયાં જવાનો તપતા રેગીસ્તાનમાં કોઈ ફોન વગર લાઈટ વગર પોતાના પરિવારથી દૂર રહીને વતનની રક્ષા કરી રહ્યાં છે. તેમના માટે તેમના પરિવાર કરતાં વતન માટેનું કર્તવ્ય સૌથી પહેલુ છે. બીએસએફના જવાનો સીમા ઉપર સરહદની નિગરાની બંકરો અને વોચ ટાવરમાં રહીને કરે છે. બાયનોકયુલર અને મોનોકયુલર નાઈટ વિઝન ડિવાઇસથી લેસ થઈને બીએસએફના જવાનો પાસે દેશની રક્ષા કરવા માટે અત્યાધુનિક ઈકવીપમેન્ટ અને હથિયારો છે. જે દુશ્મન દેશ ઉપર કાળની જેમ ત્રાટકવા ગમે તેવી પરિસ્થિતિમાં તૈયાર હોય છે. દેશની રક્ષા કરતા બીએસએફના જવાનોને અત્યાર સુધી ૧૦૯૪થી વધારે વીરતા પુરસ્કાર, ૧ મહાવીર ચક્ર, ૧૧ વીર ચક્ર, ૧૨ શોર્ય ચક્ર, ૪ કીર્તિ ચક્ર મળી ચૂકયા છે.

નડાબેટ બોર્ડર ઉપર આમતો અલગ-અલગ બીએસએફની બટાલિયનો તૈનાત છે, ત્યારે આજે ૧૫મી ઓગસ્ટના દિવસે બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર તૈનાત બીએસએફની ૬૩ બટાલિયનના જવાનોએ જણાવેલ કે, અમને ગર્વ છે કે અમે બોર્ડર ઉપર દેશની સુરક્ષા કરીયે છીએ. અહીં આઝાદીનો આનંદ માનવીએ છીએ. ભલે અમે પરિવારથી દૂર રહ્યા, પણ અમને ગર્વ છે કે અમે અમારી માતભૂમિમાં છીએ.

(3:31 pm IST)