Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

કાશ્મીર અંતે કલમ ૩૭૦ની હથકડીમાંથી આઝાદ થયું છે

રાષ્ટ્રીય પ્રવાહમાં જમ્મુ કાશ્મીર જોડાઈ ગયું છે : કાલે ભાજપ પ્રદેશ કાર્યાલયમાં જીતુ વાઘાણી હસ્તે ધ્વજવંદન

અમદાવાદ,તા.૧૪ : ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ મીડિયાના મિત્રોને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ભાજપા પ્રદેશ મહામંત્રીઓ તથા મુખ્ય અગ્રણીઓની પ્રદેશકક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપાના સંગઠન પર્વ અંતર્ગત આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ ના સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની  રાષ્ટ્રપ્રથમની વિચારધારા અને વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાઇને જનસેવાના ભાવથી દરેક ક્ષેત્ર, દરેક વર્ગ તથા દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે ત્યારે ઓગષ્ટના અંત સુધી આ અભિયાન ચાલુ રહેશે. સાથે સાથે સક્રિય સભ્ય બનાવવાના કાર્યો પણ ચાલુ રહેશે. જેમાં સક્રિય સભ્ય બનવા માટે કાર્યકર્તાએ ૨૫ પ્રાથમિક સદસ્યો બનાવવાના રહેશે. પંડ્યાએ જણાવ્યુ હતુ કે, સંગઠન પર્વ-સદસ્યતા વૃધ્ધિ અભિયાન અંતર્ગત ભાજપાના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા આપવામાં આવેલ સમયપત્રક અંગે અને આગામી કાર્યક્રમો અંગે આજની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં પ્રાથમિક સભ્યો તથા સક્રિય સભ્યો બનાવવાના રહેશે. તે અંતર્ગત આગામી         સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રની સૂચના મુજબ તાલુકા/મંડલ સ્તરે પ્રમુખ સહિત મંડલ સમિતિ/બૂથ સમિતિની રચના કરવામાં આવશે. ત્યારબાદ આગામી ઓક્ટોબર મહિનામાં જીલ્લા પ્રમુખ અને જીલ્લા સમિતિની રચના કરવામાં આવશે અને આગામી નવેમ્બર મહિનામાં પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ સમિતિની રચના કરવામાં આવશે. પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રદેશના ચૂંટણી અધિકારી તરીકે પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને સહચૂંટણી અધિકારી તરીકે સાંસદ મોહન કુંડારીયાની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે, આગામી સમયમાં જીલ્લાસઃ ચૂંટણી અધિકારી તેમજ સહચૂંટણી અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. આવતીકાલે ૧૫મી ઓગષ્ટના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સવારે ૮.૩૦ કલાકે ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી તેમના વરદ્હસ્તે ધ્વજવંદન કરશે, આ પ્રસંગે ભાજપા સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા સહિત ભાજપા પ્રદેશ મહામંત્રીઓ, પ્રદેશ અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ૧૫મી ઓગષ્ટના રોજ ગુજરાતના તમામ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. ૭૦ વર્ષ પછી કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવાના નિર્ણય અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળની ભાજપાની કેન્દ્ર સરકારે જનહિત અને દેશહિતમાં જે ઐતિહાસિક નિર્ણય લીધો છે તે અંગેનો અભિનંદન પ્રસ્તાવ સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં પસાર કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. પંડ્યાએ જણાવ્યુ હતુ કે, મોદી-શાહની જોડીએ કાશ્મીરને કલમ-૩૭૦ની હથકડીમાંથી મુક્ત કરાવ્યું છે ત્યારે હવે કાશ્મીર પણ સંપૂર્ણપણે રાષ્ટ્રીયપ્રવાહ અને વિકાસના પ્રવાહમાં જોડાવા જઇ રહ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સરકારે આ ઐતિહાસિક નિર્ણય લઇ સરદાર વલ્લભભાઇ પટેલ અને ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીનું સ્વપ્ન સાકાર કરી દેશની એકતા-અંડિતતાને વધુ મજબૂત બનાવી છે.

(9:19 am IST)