Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

જીએસટીના પ્રશ્નો મુદ્દે રાષ્ટ્રીય સ્તરની જોઇન્ટ એકશન કમિટિ

શહેરમાં ટેક્સ એડવોકેટ-પ્રેકટીશનર્સનું કોન્કલેવ : ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ટેક્સ એડવોકેટ્સને ઓડિટ અને સર્ટિફિકેશનની સત્તા આપવા માટેની જોરદાર માંગ થઇ

અમદાવાદ, તા.૧૫ : જીએસટીના અમલીકરણને એક વર્ષ વીત્યા બાદ પણ ઇન્વોઇસ મેચીંગ નહી થવાથી માંડી, અબજો રૂપિયાના અટવાયેલા રિફંડ સહિતની અનેક સમસ્યાઓ અને જીએસટી રિટર્નમાં વેપારીઓને પડતી હાલાકી સહિતની અનેક ફરિયાદોના મામલે હવે રાષ્ટ્રીય સ્તરની જોઇન્ટ એકશન કમીટીની રચના કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં દેશભરના ટેક્સ એડવોકેટ અને ટેક્સ પ્રેકટીશનર્સના યોજાયેલા બે દિવસીય કોન્કલેવમાં જીએસટીને લગતી સમસ્યાઓ અને પ્રશ્નોને લઇ ખૂબ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી અને ઘણા અગત્યના સૂચનો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ જોઇન્ટ એકશન કમીટી હવે તા.૨૧મી જૂલાઇના રોજ મળનારી જીએસટી કાઉન્સીલને પણ પોતાની મહત્વની રજૂઆત અને સૂચનો રજૂ કરશે. જીએસટી કાયદામાં ટેક્સ એડવોકેટ અને ટેક્સ પ્રેકટીશનર્સ માટે ઓડિટ અને સર્ટિફિકેશન કરવાના અધિકાર મેળવવા મામલે કેન્દ્ર સરકાર અને જીએસટી કાઉન્સીલ સમક્ષ પણ ખાસ રજૂઆત કરાશે એમ અત્રે ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના સભ્યો અને જીએસટી નિષ્ણાત અક્ષત વ્યાસ અને નિગમ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીએસટીના મુદ્દે શહેરમાં યોજાયેલા સફળ કોન્કલેવમાં દેશભરના ગુજરાત, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર સહિતના કુલ ૨૯ રાજયોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ટેક્સ એડવોકેટ અને ટેક્સ પ્રેકટીશનર્સ હાજર રહ્યા હતા. કોન્કલેવમાં દેશભરના ૯૦થી વધુ એસોસીએશનના ટેક્સ એડવોકેટ અને ટેક્સ પ્રેકટીશનર્સ દ્વારા જીએસટીમાં રહી ગયેલી ખામીઓ-ત્રુટિઓ નિવારવા ઉપરાંત તેને સરળ અને સાચા અર્થમાં અમલી બનાવવાના તેમ જ જીએસટીની ગૂંચવણો અને જટિલતા દૂર કરી વ્યવહારૂ અભિગમ સાથે અમલી બને તે માટેના અગત્યના સૂચનો અને સુધારા-વધારા સૂચવવામાં આવ્યા હતા. જીએસટી નિષ્ણાત અક્ષત વ્યાસ અને નિગમ શાહે વધુમાં જણાવ્યું હતું કે, જીએસટીના અમલને એક વર્ષ બાદ પણ હજુ પડી રહેલી તકલીફો અને હાલાકી અંગે  જીએસટીનું સરળ અમલીકરણ કરવા માટે જરૂરી ફોર્મેટ જ હજુ જીએસટી કાઉન્સીલ તૈયાર કરી શકી નથી. કાઉન્સીલે જીએસટીએન-૨ એ ની વ્યવસ્થા કરીને વેચાણ કરનાર તેની વિગતો અપલોડ કરે તેવી વ્યવસ્થા દાખલ કરી છે. જેમાં અપલોડ થયેલા જીએસટીઆર-૩ની વિગતો ખરીદનાર જોઇ શકે છે પરંતુ તેમાં કોઇ ક્ષતિ હોય તો વેચનારને કોમ્યુનિકેટ કરવાની કોઇ વ્યવસ્થા નહી હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાચી મેળવી છે કે કેમ તે ખબર જ પડતી નથી, જેથી વેપારીઓ અને ડિપાર્ટમેન્ટ બંને મંૂંઝવણમાં રહે છે. આ જ પ્રકારે જીએસટીઆર-૨ અને જીએસટીઆર-૩ તૈયાર થયા નહી હોવાથી સંખ્યાબંધ વેપારીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં ભારે હાલાકી પડી રહી છે. સમગ્ર સીસ્ટમમાં મુખ્ય રિટર્ન એવા જીએસટીઆર-૩ માટે સરળ ફોર્મેટ એસોસીએશને  કાઉન્સીલને તૈયાર કરીને આપ્યું છે, ઉપરાંત જીએસટીના સર્વર પર ઓછો લોડ આવે તે પ્રકારે વિગતો અપલોડ કરવા, દરેક ઇન્વોઇસનું યોગ્ય રીતે મેચીંગ કરવા સહિતના અનેક સૂચનો કરાયા છે પરંતુ હજુ સુધી તેનું સાચા અર્થમાં અમલીકરણ જ થયું નથી.

જીએસટીઆર-૩માં વેચાણ અને ખરીદીની બિઝનેસ ટુ બિઝનેસની યાદી એટલે કે, બિલની યાદી એટેચ કરવાની સીસ્ટમ ઇન્ટ્રોડયુસ કરવાની ભલામણ કરાઇ છે પરંતુ તેને હજુ સુધી કાઉન્સીલ દ્વારા ફોડ પડાયો નથી. જેને પગલે વેપારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ વિના હેરાન થઇ રહ્યા છે. જીએસટી નિષ્ણાત દિવ્યેશ મહેતા અને વારીસ ઇશાનીએ ઉમેર્યું હતું કે, એક્સપોર્ટના રિફંડની સમસ્યા આજે પણ બહુ મોટી છે. એક્સપોર્ટ ફોર્મ -૧ ભરીને રિફંડ માટે ઓનલાઇન અરજી કરાય તે પછી દરેક અધિકારીઓ પોતાની સૂઝબૂઝ પ્રમાણે તે ક્લિયર કરવા અલગ અલગ દસ્તાવેજો માંગે છે. જેને લઇ સમગ્ર પ્રક્રિયામાં એકસૂત્રતા કે વિશ્વસનીયતા જળવાતી નથી અને તેથી રિફંડનો મામલો અટવાયા જ કરે છે. સામાન્ય રીતે ઇન્ટીગ્રેટેડ જીએસટીનું રિફંડ પંદર દિવસમાં આપી દેવાનો નિયમ છે પરંતુ કેન્દ્રના અધિકારીઓએ આ અંગે ઝુંબેશ ચલાવ્યા પછી અને ઓનલાઇન કામ થતુ નહી હોવાથી મેન્યુઅલી કરાવ્યા પછીય આજે અબજો રૂપિયાના રિફંડ અટવાયેલા પડયા છે. આ સહિતના અનેકવિધ મુદ્દાઓ પરત્વે કોન્કલેવમાં ચર્ચા વિચારણા હાથ ધરાઇ છે અને હવે દેશભરના પ્રતિનિધિઓ તરફથી રજૂ થયેલા સૂચનો અને સુધારાવધારાના મુસદ્દાને જીએસટી કાઉન્સીલમાં રજૂ કરાશે.

જીએસટી પ્રેક્ટિસનર્સમાં ૭૩ ટકા ટેક્સ એડવોકેટ

       અમદાવાદ,તા. ૧૫ : દેશભરમાંથી એકત્ર થયેલા ટેક્સ એડવોકેટ અને પ્રેકટીશનર્સના કોન્કલેવમાં એ મહત્વના મુદ્દે ખાસ ચર્ચા થઇ હતી કે, જીએસટીના નવા કાયદા હેઠળ જીએસટી ઓડિટમાં     માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કોસ્ટ એકાઉન્ટન્ટને જ સત્તા આપવામાં આવી છે. પરંતુ ટેક્સ એડવોકેટ અને ટેક્સ કન્સલ્સ્ટન્ટસ પાસે આડકતરા વેરાની પધ્ધતિમાં ઓડિટ કરવાનો બહાળો અનુભવ હોવાછતાં તેઓને કેમ જીએસટીનું ઓડિટ અને સર્ટિફિકેશન કરવાની સત્તા આપવામાં આવી નથી તેવો સવાલ કોન્કલેવમાં ઉઠાવાયો હતો. જો ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ટેક્સ પ્રેકટીશનર્સને રિટર્ન ફાણલ કરવાની સત્તા અને કોઇપણ અધિકારી કે પંચ સમક્ષ ઉપસ્થિત થવાની સત્તા બક્ષાઇ છે ત્યારે તેઓને જીએસટી કાયદા હેઠળ ઓડિટ અને સર્ટિફિકેશન કરવાની સત્તાથી વંચિત રાખવાનું કોઇ કારણ નથી. નોંધનીય છે કે, દેશભરમાં ચાર લાખથી વધુ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને તેનાથી પણ વધુ ટેક્સ એડવોકેટ છે. આજની તારીખે જીએસટીએન નેટવર્ક પર રજિસ્ટર્ડ થયેલા ૩૮,૮૦૮ પ્રેકટીશનર્સમાં ૨૩,૦૦૦ જેટલા ટેક્સ એડવોકેટ્સ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સ છે. આમ જીએસટી પ્રેકટીશનર્સમાં ૭૩ ટકા ટેક્સ એડવોકેટ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સ છે. આ સંજોગોમાં દેશભરના ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ટેક્સ એડવોકેટ્સને ઓડિટ અને સર્ટિફિકેશનનો અધિકાર મળવો જ જોઇએ.

કોન્કલેવમાં ઉઠેલી માંગ

*   જુલાઈના પ્રથમ બે સપ્તાહમાં એફપીઆઈ દ્વારા ૧૨૦૦ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કેટમાંથી ખેંચી લેવાયા

*   ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ટેક્સ એડવોકેટ્સને ઓડિટ અને સર્ટિફિકેશનની સત્તા આપો

*   જીએસટી કાયદા હેઠળ પત્રકોનું સરળીકરણ કરવું

*   પત્રકના અમેન્ડમેન્ટ માટે પણ માંગણી કરાઇ

*   જીએસટીએન નેટવર્કના લોગઇનમાં હજુ ઘણી ખામીઓ

*   લોગઇન થવા છતાં વેપારીઓની પ્રક્રિયા પૂર્ણ ન થતા દંડાય છે

*   વેપારીઓને ખોટી રીતે દંડવાની નીતિ રદ કરો

*   જીએસટી પોર્ટલની કનેકટીવીટીમાં ઘણા રાજયોમાં પ્રોબ્લેમ

*   જીએસટીના અધિકારીઓને જ નવા કાયદાનું પૂરતું જ્ઞાન નથી

*   આવા અધિકારીઓને જીએસટી કાયદાની ટ્રેનીંગ આપો

*   પૂરતી જાણકારીના અભાવે વેપારીઓ અને વાણિજિયિક વર્ગ હાલાકીનો ભોગ બને છે

*   જીએસટીના અમલીકરણમાં જે ક્ષતિઓ અને ત્રુટિઓ છે, તેનું તાકીદે નિવારણ કરો

(9:18 pm IST)