Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

ભગવાનનો નિજમંદિર ગર્ભ ગૃહમાં પ્રવેશ : આરતી-પૂજા

જય જગન્નાથજીના નારાથી મંદિર પરિસર ગુંજ્યું : રાત રથમાં કર્યા બાદ મહંત દિલીપદાસજીએ ભગવાનની નજર ઉતારી વૈધિક વિધિ વચ્ચે ગર્ભગૃહમાં પ્રવેશ કરાવ્યો

અમદાવાદ, તા.૧૫ : ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ નગરની પરિક્રમા કરી નિજમંદિરે પરત ફર્યા બાદ આજે વહેલી સવારે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે ભગવાનની નજર ઉતાર્યા બાદ સૌ સાધુ-સંત અને શ્રધ્ધાળુ ભકતોની ઉપસ્થિતિમાં મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાવ્યો હતો અને વૈદિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ, ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની ત્રણેય કાષ્ઠ મૂર્તિઓનું મૂળ સ્થાને પ્રતિષ્ઠાપન કરાયું હતું. મહંત દિલીપદાસજી મહારાજે ભગવાનની આરતી ઉતારી એ વખતે નિજમંદિર ફરી એકવાર જય જગન્નાથ, જય રણછોડ-માખણચોરના નારાઓથી ગુંજી ઉઠયું હતું અને સુંદર ભકિતવિભોર માહોલ છવાઇ ગયો હતો. વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો જગન્નાથ મંદિરે દર્શનાર્થે ઉમટયા હતા.ગઇકાલે મોડી સાંજે ૮-૩૮ મિનિટે ભગવાન જગન્નાથજી અને, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના રથ નિજમંદિરે પરત ફર્યા ત્યારબાદ મહંત દિલીપદાસજી દ્વારા ભગવાનની રથમાં જ શયનઆરતી ઉતારવામાં આવી હતી તે પ્રસંગે હજારો શ્રધ્ધાળુ ભકતો ભકિતરસમાં ભાવવિભોર બન્યા હતા. જો કે, ભગવાને રાતભર મંદિર પ્રાંગણમાં રથમાં જ રાતવાસો ગુજાર્યો હતો. તેની પાછળની પૌરાણિક પ્રચલિત લોકવાયકા એવી છે કે, લક્ષ્મીજીને પૂછયા વિના ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને  ભાઇ બલભદ્રને લઇને નગરચર્યાએ નીકળી જાય છે, તેથી લક્ષ્મીજી ભગવાનથી નારાજ થઇ જાય છે અને તેથી રાતભર તેઓ ભગવાન માટે દરવાજો ખોલતા નથી.  જેના પરિણામે ભગવાનને આખી રાત રથમાં જ પસાર કરવી પડે છે. બીજા દિવસે વહેલી સવારે ભગવાન બહુ વિનંતી કરી લક્ષ્મીજીને મનાવવામાં સફળ થઇ જાય છે અને તેમને પ્રવેશની મંજૂરી આપે છે.     જેથી ભગવાને આખી રાત રથમાં જ પસાર કર્યા બાદ વહેલી સવારે મહંત દિલીપદાસજી મહારાજે ભગવાનની નજર ઉતારી તેઓને પોંખ્યા હતા અને સૌ સાધુ-સંતો, મહંતો અને શ્રધ્ધાળુ ભકતોની હાજરીમાં ભારે કાળજીપૂર્વક ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની કાષ્ઠની મૂર્તિઓને ફરી નિજમંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાવી વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ, તેનું પ્રતિષ્ઠાપન કરાયું હતું. એ પછી ભગવાનની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. નિજમંદિરમાં પરંપરા મુજબ, ફરી ભગવાનની પૂજા અને આરતીનો પ્રારંભ જોઇ ભાવિકભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. સૌકોઇ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા.

આરતીમાં રાજ્યવર્ધન રાઠોડની ખાસ હાજરી

        અમદાવાદ, તા.૧૫ : અષાઢ સુદ ત્રીજના ત્રીજા દિવસે ભગવાન જગન્નાથજીની મંદિર સંકુલમાં રથમાં નજર ઉતારવામાં આવ્યા બાદ મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે વિશેષ આરતી કરી હતી. તેમના પત્નિ પણ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ગઇકાલે નગર પરિક્રમા ઉપર નિકળ્યા હતા. એક દિવસ બાદ આજે મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી. વિશેષ આરતી પણ કરવામાં આવી હતી.

(9:15 pm IST)