Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ધોરણ-૧૦ અને ૧૨માંથી OMR સિસ્ટમ દુર થશે

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયો નિર્ણય

અમદાવાદ, તા.૧૫: ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ (GSHSEB)એ જાહેરાત કરી છે કે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે પરીક્ષાનું નવું માળખું તૈયાર કરાશે. ૨૦૧૯-૨૦ના શૈક્ષણિક વર્ષથી જ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે નવું માળખું જાહેર કરાશે.

પહેલાના ફોર્મેટમાં બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૦ માકર્સના  OMR (ઓપ્ટિકલ માકર્સ રીડર) આવતા હતા, જેમાં વિદ્યાર્થીઓને મલ્ટિપલ ચોઈસ કવેશ્યન પૂછાતા હતા. આ શૈક્ષણિક વર્ષથી જ હવે OMR સિસ્ટમ બંધ કરી દેવાશે.નવા પરીક્ષાના માળખા પ્રમાણે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧૬ માકર્સની ખાલી જગ્યાઓ પૂછાશે, જયારે ૩૬ માકર્સના ટૂંકા સવાલ, ૧૯ માકર્સના મુદ્દાસર જવાબના સવાલ અને છ માકર્સના નિબંધ ટાઈપ જવાબના સવાલ પૂછાશે. પરીક્ષાનું નવું ફોર્મેટ ધોરણ ૧૦થી આઠ વિષયોમાં અને ધોરણ ૧૨ (વિજ્ઞાન) ના સાત વિષયોમાં લાગુ કરાશે તેમ બોર્ડના અધિકારીઓએ જણાવ્યું. બોર્ડના અધિકારીઓએ કહ્યું કે પહેલાની OMR સિસ્ટમમાં વિદ્યાર્થીઓ માસ કોપી સરળતાથી કરી લેતા હતા. OMR સિસ્ટમથી વિદ્યાર્થીઓ લાંબા જવાબ લખવામાં ઉત્સાહ દર્શાવતા નહોતા સાથે જ તેના કારણે તેમની લૈખન શૈલી પણ વિકસતી નહોતી.

(11:50 am IST)