Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મારા દીકરાને ફોનના વળગણથી બચાવો સાહેબ! મહિનાથી નથી નાહ્યો, નથી વાત કરતો

ભણવા માટે પણ ફોનનો ઉપયોગ નુકસાનકારક : રીયલ લાઇફથી દૂર થઇ રહ્યા છે બાળકો

અમદાવાદ તા. ૧૫ : રાજયમાં મહિલાઓ અને ગર્લ્‍સને મદદરુપ થવા માટે અભયમ હેલ્‍પ લાઇન ૧૮૧ શરૂ કરવામાં આવી છે. જોકે આજકાલ આ હેલ્‍પલાઇન પર મહિલાઓ અને ગર્લ્‍સ કરતા પોતાના બાળકોને સ્‍માર્ટફોનના એડિક્‍શન છોડાવવા માટે મદદ માગતા ફોન બહુ આવી રહ્યા છે.

તાજેતરમાં શહેરના ગોતા વિસ્‍તારમાં રહેતો અને ધો.૧૨માં અભ્‍યાસ કરતો એક ૧૭ વર્ષીય ટીનેજરના પેરેન્‍ટ્‍સે પણ આ માટે જ હેલ્‍પ લાઇન નંબર પર કોલ કર્યો હતો. જેમાં તેમણે ૧૮૧ હેલ્‍પ લાઇનના કાઉન્‍સેલરને પોતાના બાળકને સ્‍માર્ટફોનના એડિક્‍શનમાંથી બહાર કાઢવા માટે મદદ માગી હતી.

તેમણે ૧૮૧ના સ્‍ટાફને જણાવ્‍યું કે, ‘પાછલા એક મહિનાથી તો મારો છોકરો અમારી સાથે વાત પણ નથી કરતો બસ એકલો એકલો રહ્યા કરે છે. તેનો એક જ સાથી છે તે છે તેનો સ્‍માર્ટફોન. પાછલા એક મહિનાથી તો તેને નાહ્યું પણ નથી અને પોતાના મિત્રો સાથે પણ વાત નથી કરતો. '

જે બાદ હેલ્‍પલાઇના કાઉન્‍સેલરો દ્વારા કિશોરનો સંપર્ક સાધવામાં આવ્‍યો હતો જેમાં તેણે જણાવ્‍યું કે પોતાના માતા-પિતા વચ્‍ચે ચાલતા સતત ઝગડાથી પોતે કંટાળી ગયો હતો. જેથી માઇન્‍ડ ડાઈવર્ટ કરવા માટે તે વધુને વધુ સમય સ્‍માર્ટફોન પર રહેવા લાગ્‍યો જે આગળ જતા તેનું એડિક્‍શન બની ગયું હતું. જેમાંથી તેને છોડાવા માટે હવે અભયમના કાઉન્‍સેલર્સ તેનું કાઉન્‍સેલિંગ કરી રહ્યા છે.

તો આવો જ એક ફોન બુધવારે પણ આવ્‍યો હતો જેમાં એક ગર્લ્‍સના પેરેન્‍ટ્‍સની આ જ ફરિયાદ હતી કે ધો. ૧૦માં ભણતી તેમની દીકરીને સ્‍માર્ટફોનનું એટલું તો વળગણ છે કે આખો દિવસ ફોનમાં જ કાઢે છે અને તેના મમ્‍મી-પાપા સાથે પણ બોલવાનું બંધ કરી દીધું છે. આ કેસમાં જયારે કાઉન્‍સેલરે તેનો સંપર્ક કર્યો તો ખબર પડી કે તે કોઈ બીજી સાઇટ જોતી નથી. તેણે કહયું કે તે ફોન દ્વારા ભણે છે.

જોકે કાઉન્‍સેલરે તેને સમજાવી હતી કે ભણતર સીવાય પણ લાઇફ હોય છે અને ભણવા માટે પણ માતા-પિતા અને ફ્રેન્‍ડ્‍સ જેવા રીયલ લાઇફ પાત્રોની જરૂર પડે છે. જે બાદ બોડકદેવ વિસ્‍તારમાં રહેતી આ ગર્લ ફોનનો ઓછો ઉપયોગ કરવા માટે સહમત થઈ હતી. ૧૮૧ના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ફાલ્‍ગુની પટેલે કહ્યું કે હા, આવા કેસ હમણા હમણા ઘણા સામે આવી રહ્યા છે. અમે દર સપ્તાહમાં આવો એક કેસ તો સાંભળીએ જ છીએ.'

જાણિતા સાઇકિયાટ્રિસ્‍ટ ડો. હિમાંશુ દેસાઈએ અમારા સહયોગી ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘જયારે આજના જમાનામાં બધુ સ્‍માર્ટફોન બેઝ્‍ડ થઈ રહ્યું છે ત્‍યારે સ્‍માર્ટફોનનું વળગણ પણ વધી રહ્યું છે. આવા સમયે સૌથી મોટી જવાબાદારી તેમના વાલીની છે. તેમણે એવી લાઇફ સ્‍ટાઇલ અપનાવવી જોઈએ જેનાથી વધુને વધુ સમય પરિવારમાં ફાળવી શકાય અને આ રીતે પોતાના બાળકોને રિયલ લાઇફ ટચમાં પણ આનંદ હોવાનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય છે.'

શું કરવું જોઈએ અને શું નહીં

*  પેરેન્‍ટ્‍સે પહેલા તો પોતાના જ ફોનના ઉપયોગને ઓછો કરવો જોઈએ.

*  પરિવારમાં એક નિયમ હોવો જોઈએ કે જમવા સમયે અને રાતના સૂવા સમયે ફોનને પણ ફરજીયાતપણે સ્‍લીપ મોડમાં મુકી દેવો.

*  જયારે પોતે કલાકો ફોનમાં ગાળતા હોય ત્‍યારે બાળકને લેક્‍ચર દેવાથી બચવું જોઈએ.

*  તાજેતરમાં પેરેન્‍ટ્‍સ બન્‍યા હોય તેવા લોકોએ પોતાના નાના બેબીને ખવડાવવા માટે કે પછી રડતા બાળકને શાંત કરવા માટે મોબાઇલ ફોન આપવો જોઈએ નહીં.

*   નર્સરીના બાળકોને આંકડા અને આલ્‍ફાબેટ મોબાઈલમાં શીખડાવવા જોઈએ નહીં.

(3:01 pm IST)