Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઑક્સિજનના અભાવે દર્દીનું મોત થયું નથી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો દાવો

આવનારા દિવસોમાં 300 ટન ઑક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર વધુ ઑક્સિજન પ્લાન્ટ ઉભા કરાશે

પાલનપુર: જીવલેણ કોરોના વાઈરસની બીજી લહેરે સમગ્ર દેશમાં તબાહી મચાવી છે, ત્યારે વૅન્ટિલેટર્સની અછત, ઑક્સિજનનો અભાવ અને દવાઓની તંગીના કારણે અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યાં હોવાના કિસ્સાઓ છાશવારે છાપાઓમાં ચમકી રહ્યાં છે. એવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ દાવો કર્યો છે કે, ગુજરાતની એકપણ હોસ્પિટલમાં ઑક્સિજનના અભાવે દર્દીનું મોત થયું નથી

 અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કોરોનાથી પ્રભાવિત રાજ્યના મોટા શહેરો અને જિલ્લાઓમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને તેના ઝડપી નિયંત્રણ માટે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કોર ગ્રુ વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈને રૂબરૂ સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન અને સૂચનો કરે છે. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીની અધ્યક્ષતામાં આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કોર કમિટીની બેઠક યોજાઈ હતી.

આ બેઠક બાદ પત્રકાર પરિષદ સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંદર્ભે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે અંતર્ગત કોઈપણ ગામમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવે, તો તેણે ફરજિયાત કોવિડ કેર સેન્ટરમાં સારવાર લેવાની રહે છે. જો દર્દીને ઘરે સારવાર લેવી હોય, તો અધિકારીની ચકાસણી બાદ જ મંજૂરી મેળવવી જરૂરી રહેશે.

ઑક્સિજન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બનાસકાંઠામાં 10 મેટ્રિક ટન ઑક્સિજનનો પ્લાન્ટ બનાવવામાં આવશે. અહીં બનાસ ડેરીમાં ઑક્સિજન માટે સારી કામગીરી થઈ રહી છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં ઑક્સિજનની ઘટ ના વર્તાય તેવા સતત પ્રયત્નો કરી રહી છે.

આ સાથે જ મુખ્યમંત્રીએ દાવા સાથે કહ્યું હતું કે, રાજ્યની એકપણ હોસ્પિટલમાં ઑક્સિજનની અછતથી કોઈ દર્દીનું મોત થયું નથી. આવનારા દિવસોમાં 300 ટન ઑક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર વધુ ઑક્સિજન પ્લાન્ટ ઉભા કરવાની યોજના બનાવી રહી છે.

(6:44 pm IST)