Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ગુજરાતનું આદર્શ ગામઃગ્રામજનોની જાગૃતિના કારણે વડોદરાનું તાજપુર ગામ કોરોના મુકત

મારૂ ગામ કોરોના મુકત ગામ ''અભિયાન સાર્થક...''

વડોદરા, તા. ૧પ :  કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે જીવલેણ વાઈરસની બીજી લહેરમાં શહેરોની સાથે ગામડાઓમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાવાના કારણે સ્થિતિ ગંભીર બની છે. એવામાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકા મથકથી ૩ કિલોમીટર દૂર આવેલ તાજપુરા ગામે ગ્રામજનોની જાગૃતિના પગલે મારું ગામ-કોરોના મુકત ગામની ઉકિતને સાચા અર્થમાં સાર્થક કરી છે.

આ અંગે સરપંચ ધ્રુવિત પટેલે ગામને કોરોના સંક્રમણથી બચાવવા માટે ગ્રામજનોને પુરો શ્રેય આપતા કહ્યું કે, કોરોનાથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય? આ મટો સમયાંતરે સરકારની ગાઈડલાઈન્સનું સખ્તીથી પાલન કરવામાં ગ્રામજનોનો સાથ સહકાર મળવાના કારણે ગામ કોરોનાથી મુકત રહી શક્યું છે.

અમારા ગામમાં કોવિડ સમિતિનું ગઠન તો બહૂ પહેલા જ કરવામાં આવ્યું હતું. આ કોવિડ સમિતિએ ગ્રામજનો પર કોરોના અંગેના આકરા પ્રતિબંધો લગાવ્યા અને ગ્રામજનો પણ સતર્ક હતા.

કોરોનાની બીજી ભયાનક લહેરમાં પણ ગામમાં કોરોનાના ખૂબ જ ઓછા કેસો સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારીની શરૂઆત બાદથી ગામમાં કોવિડ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. ગામમાં કોઈ સંક્રમિત ના થાય તે માટે એક રણનીતિ બનાવવામાં આવી અને તેને લાગૂ કરવામાં આવી. જેમાં ગામના દરેક વિસ્તારને સમયાંતરે સ્વચ્છ કરવામાં આવ્યા. જ્યારે ગ્રામ પંચાયત તરફથી દરેક વ્યકિતને સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.સરપંચે વધુમાં જણાવ્યું કે, ગામમાં વસતા લોકોના સબંધીઓને પણ ગામમાં પ્રવેશવાની મંજૂરી નથી. ગામના સાર્વજનિક સ્થળો, દુકાનો અને ફળિયા બહાર માસ્ક વિના પ્રવેશ નહી ના બોર્ડ લગાવવામાં આવ્યાં છે. ગામના ચબતરે તેમજ અન્ય સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે.

કોરોના મહામારી વચ્ચે કોવિડ પ્રોટોકૉલ મુજબ ગામમાં ૭ લગ્નો પણ થયા છે. સરપંચે કહ્યું કે, તાજપુરા ગામના લોકોની જાગૃતિના કારણે જ ગામ કોરોનાની બીજી લહેરમાં સંક્રમણથી બચી શક્યું છે. ગામમાં કોરોના વાઈરસના સામાન્ય લક્ષણો વાળા કેસો પણ નહિવત છે.

કોરોના વૅકિસન અંગે લોકોની ગેરમાન્યતા દૂર કરવા માટે પંચાયતના સભ્યોએ વોર્ડના લોકોમાં જાગૃતિ લાવી છે. જેના કારણે ૯૫ ટકા લોકોએ કોવિડ વૅકિસનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.

(4:13 pm IST)