Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

રૂપાણી સરકાર કોરોનાનો મૃતાંક છુપાવતી નથી : રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહનો દાવો

ર૦ર૦ના વર્ષની દર્શાવાયેલ આંકડાકીય વિગતોમાં ચોક્કસતા નથી

ગાંધીનગર,તા. ૧પ : ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રૂપાણી સરકાર કોરોનાનો મૃતાંક છુપાવતી નહીં હોવાનો દાવો કર્યો છે. તેમણે કોરોનાનો મૃત્યુઆંક છુપાવાઇ રહ્યાના આક્ષેપ અને અહેવાલોને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નકારી કાઢી મીડિયા પર લોકોમાં ભયનો માહોલ ફેલાવવાના આશયથી અહેવાલો પ્રસિદ્ધ કરવાનો આરોપ પણ મૂકી દીધો.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના એક અગ્રણી અખબારે 'ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકાર છૂપાવે છે, ૭૧ દિવસમાં ૧.૨૩ લાખ ડેથ સર્ટીફીકેટ ઇસ્યુ થયાં'શિર્ષક હેઠળ પ્રસિદ્ધ કરેલા સમાચારને હકીકતલક્ષી વિગતોથી તદ્દન જુદા અને આધારવિહીન ગણાવ્યા છે.

ગૃહ રાજ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ અહેવાલમાં ડેથ સર્ટીફીકેટને આધાર બનાવીને જે મૃત્યુની સંખ્યા ગણવામાં આવી છે તે યોગ્ય નથી તેમજ તેની સરખામણી કોવિડ-૧૯થી થયેલા મૃત્યુ સાથે કરવામાં આવી છે તે પણ અયોગ્ય છે.

મંત્રીએ  આ વિષયે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં જન્મ મરણ નોંધણી પ્રમાણપત્ર અને ડેથ સર્ટીફીકેટ ઓન લાઇન આપવાની પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલી છે.

ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, જયારે કોઇ પરિવાર-કુટુંબમાં મોભીનું કે સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેમનાડેથ સર્ટીની બેન્ક, ઇન્સ્યોરન્સ, એલ.આઇ.સી. જેવી વિવિધ બાબતો માટે જરૂર પડતી હોય છે. સ્વજનના મૃત્યુના દુૅંખદ સમયે ઘર-પરિવારને આ ઓનલાઇન પદ્ધતિથી ઘરે બેઠાં સરળતાથી પ્રમાણપત્ર મળી રહે તેવી સંવેદનાશીલતા સાથે આ પારદર્શી પદ્ધતિ વિકસાવવામાં આવેલ છે.

વિવિધ કામો માટે ડેથ સર્ટીફીકેટની જરૂર પડતી હોય તેવા સંજોગોમાં કોઇવાર એક જ મૃત્યુના કિસ્સામાં એક થી વધુ વખત રજીસ્ટ્રેશન થયું હોય તેવી શક્યતા નકારી શકાતી નથી. આના પરિણામે, ઇશ્યુ ડેથ સર્ટીફીકેટ અને થયેલ મૃત્યુની સંખ્યામાં તફાવત હોઇ શકે છે.

એટલું જ નહીં, પરિવારમાં થયેલ મૃત્યુથી શોકમગ્ન પરિવારો અન્ય વિધિઓ, રીત-રિવાજો વગેરેને કારણે મૃત્યુ થયાના સમયે જ મરણ નોંધણી પ્રમાણપત્ર માટે રજીસ્ટ્રેશન કરાવી ન જ શકે તે સ્વાભાવિક છે.

તેમણે ઉમેર્યું કે, આમ, મૃત્યુ સમય, રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર ઇશ્યુ થવું એ ત્રણેય બાબતો અલગ અલગ છે. તેને એકસાથે સાંકળીને આ અખબારી અહેવાલમાં જે સંખ્યા બતાવાઇ છે અને નિષ્કર્ષ-તારણ દર્શાવાયા છે તે બિલકુલ અનુચિત અને અયોગ્ય છે.

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે, આ અખબારી અહેવાલમાં ૨૦૨૦ના વર્ષની દર્શાવાયેલી આંકડાકીય વિગતોમાં એકયુરસી-ચોક્કસતા નથી.

આ અહેવાલમાં માર્ચ અને એપ્રિલ-૨૦૨૦માં કુલ મરણ પ્રમાણપત્ર ઇશ્યુ થવાની સંખ્યા ૪૪,૯૪૩ બતાવવામાં આવી છે અને હકીકતે ડેટા જોઇએ તો ૬૧,૫૦૫ છે એટલે કે,૧૬,૫૬૨ ઓછા બતાવ્યા છે. જે ૩૦ ટકા ઓછા છે. આમ અંડર રીપોર્ટીંગ છે. તેના કોઇ ચોક્કસ આધાર નથી.

તદ્દઉપરાંત, જયારે મૃત્યુના આંકડાની ટકાવારીની સરખામણી પાછલા કે અગાઉના વર્ષો સાથે કરવામાં આવે ત્યારે જનસંખ્યામાં થયેલ વૃદ્ધિ તેમજ કુદરતી મૃત્યુ-નેચરલ ડેથના આંકડા પણ ધ્યાને લેવાવા જોઇએ જે આ અહેવાલમાં ધ્યાનમાં લીધા વિના જ તૂલના કરવામાં આવેલી છે, તેમ જાડેજાએ જણાવ્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એમ પણ કહ્યું કે, આ અહેવાલમાં ૨૦૨૦ અને ૨૦૨૧ના વર્ષના મરણ પ્રમાણપત્રના આંકડાઓની તુલના કરવામાં આવી છે. અહેવાલમાં જે સમયગાળા દરમિયાનની તુલના કરાઇ છે.

૨૦૨૦ના વર્ષમાં લોકડાઉનનો સમય હોવાથી રાજ્ય સરકારે આ સમયમાં થયેલ મૃત્યુના મરણ પ્રમાણપત્ર એક વર્ષ એટલે કે ૩૧ જુલાઇ, ૨૦૨૧ સુધી લેઇટ ફી કે એફીડેવીટ વિના આપવાનો નિર્ણય કરેલો છે. તે પણ ધ્યાનમાં લેવાવું જોઇએ એમ તેમણે જણાવ્યું હતું. આમ, સમગ્રતયા આ અખબારી અહેવાલમાં કરવામાં આવેલ વિશ્લેષણ પદ્ધતિ અને આંકડા ધ્યાને લઇએ તો રાજ્ય સરકાર દ્વારા મોતના જે આંકડા છૂપાવવાની વાત કરવામાં આવી છે તે યોગ્ય નથી.

 પ્રદીપસિંહ જાડેજાએ એમ પણ જણાવ્યું કે, કોવિડ-૧૯થી થતા મૃત્યુની સંખ્યા માટે જે ચોક્કસ પ્રસ્થાપિત પદ્ધતિ કોરોના ડેથ -ોટોકોલ અન્વયે અપનાવવામાં આવી છે તેનું રાજ્ય સરકાર યોગ્ય પાલન કરે છે અને કોવિડ-૧૯ના મૃત્યુની સંખ્યાનું પણ ચોક્કસ રીર્પોટિંગ કરવામાં આવે છે. કેટલીક વાર પોસ્ટ કોવિડ રીકવરીના કિસ્સામાં પણ મૃત્યુ થાય છે તેને કોવિડ ડેથ તરીકે અખબારી અહેવાલમાં ગણવા તે પણ યોગ્ય નથી.

મંત્રી જાડેજાએ કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સંશોધનો, આરોગ્ય કર્મીઓ, તબીબો, -જાજનો સૌ કોરોના સંક્રમણ સામે જંગ આદરીને કોરોના મહામારી પર વિજય મેળવવા એક જૂથ થયા છે અને પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના સંક્રમણથી લોકોના જીવન બચાવવાના અને ઓછામાં ઓછા મૃત્યુ થાય તેને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આવા સમયે લોકશાહીના ચોથા સ્થંભ ગણાતા પ્રચાર માધ્યમોના આવા આધારવિહીન અને સત્યથી વેગળા અહેવાલોથી લોકોમાં બિનજરૂરી પેનિક ભય-ડરનો માહોલ ઉભો થવાની શકયતાઓ રહેલી છે.હકીકતે કોરોના સંક્રમણ નિયંત્રણ માટેના રાજ્ય સરકાર, લોકો અને સંગઠનોના પ્રયાસોમાં સહયોગ આપી જનહિતમાં સમાજ દાયિત્વ પ્રચાર માધ્યમોએ નિભાવવું જોઇએ, તેવી અપીલ પણ ગૃહ રાજ્યમંત્રીએ કરી છે.

(4:12 pm IST)