Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

૧૦૪ હેલ્પલાઈન ઉપર હજુ સુધી ૭૧૭૮૫૧ કોલ આવ્યા

કોવિડ-૧૯ સંબંધિત ૧૦૩૮૧૫ કોલ મળ્યા : ૧૧૦૦ હેલ્પલાઈન ઉપર ૩૦મી માર્ચથી કુલ ૧૯૬૫૪ કોલ આવ્યા જે પૈકી કોવિડ-૧૯ના ૧૯૩૧ કોલ આવ્યા

અમદાવાદ,તા.૧૫ : સાહેબ, મને કોરોના થઇ ગયો હોય એવું સતત લાગ્યા કરે છે...સાહેબ, મને તાવ આવ્યો છે કે નહિં તે હું સતત ચેક કર્યા કરું છું...સાહેબ, કોરોના થઇ ગયો હોય અને તાવ-ખાંસી પણ ના આવે એવું બને ખરું ?... આવા તો કેટ કેટલા ફોન કૉલ હવે હેલ્પલાઇન નં.૧૦૪ ઉપર આવી રહ્યા છે. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે કોરોનાને લગતા પ્રશ્નો માટે શરુ કરેલી આ હેલ્પલાઇનમાં ચિંતા, હતાશા અને તણાવનો ભોગ બનેલા વ્યક્તિઓનાં પણ કૉલ આવી રહ્યા છે. જો કે તેના માટે અલગથી હેલ્પલાઇન નં.૧૧૦૦ શરુ કરાયેલી છે તેમ છતાં આ ૧૦૪ નંબર પર કૉલ કરી આવે તો તેમને પણ સંતોષકારક જવાબ આપી જરુર જણાય તો ડિપ્રેશનનો ભોગ બનેલા આવા નાગરિકોને કોન્ફ્રન્સ કૉલ મારફતે નિષ્ણાંતો દ્વારા સાયકૉલૉજિકલ કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યુ છે.

          ગુજરાતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ દર્દીઓની સંખ્યા વધતાની સાથે શરુ થયેલા નકારાત્મક સમાચારો અને સોશિયલ મિડિયાના બિહામણા મેસેજીસને કારણે ઘણાં નાગરિકો ચિંતા અને હતાશાનો ભોગ બન્યા છે. રાજ્ય સરકારને ધ્યાને આવેલી આ બાબતને ગંભીરતાથી લઇને ખાસ હેલ્પલાઇન નં.૧૧૦૦ શરુ કરવામાં આવેલી છે. કોરોનાને લગતી માહિતી અને મદદ માટે કાર્યરત મેડિકલ હેલ્પલાઇન ૧૦૪માં પણ આવા ઘણા કૉલ આવી રહ્યા છે ત્યારે તેમને સંપૂર્ણ સંવેદનાથી સાંભળી હતાશ થઇ ગયેલા આવા વ્યક્તિઓનું અહીથી પણ સાયકૉલૉજિકલ કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યુ છે. રાજ્ય સરકારની સુચનાથી GVK EMRI દ્વારા શરુ કરાયેલી આ ૧૦૪ હેલ્પલાઇન ખુબ જ અસરકારક સાબિત થઇ છે.

         માર્ચથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ ફોન કૉલ આ હેલ્પલાઇન ઉપર આવ્યા છે. હાલની સ્થિતીમાં જે રીતે ડૉક્ટર, ર્નસિંગ સ્ટાફ, સફાઈકર્મી, પોલીસ ખડેપગે રહીને કામ કરી રહ્યાં છે એ જ રીતે હેલ્પલાઇન નંબર ૧૦૪ના કર્મચારીઓ પણ અવિરત ૨૪*૭ કામ કરી રહ્યા છે. આ હેલ્પલાઇન દ્વારા કોરોનાને લગતી માહિતી અને સૂચન મેળવી શકાય છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા આ હેલ્પલાઇન પર કૉલ કરનારા લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. GVK EMRIનાં મેનેજરએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી રાજ્યમાં ફેલાઈ નહોતી ત્યારે ૧૦૪ હેલ્પલાઈન પર દરરોજના ૨૦૦૦ થી ૨૩૦૦ કૉલ આવતા હતા. હવે કોરોનાને લીધે એ સંખ્યા વધીને ૧૫ હજાર થી ૧૭ હજાર જેટલી થઈ ગઈ છે.

         વચ્ચે થોડા સમય માટે તો આ કોલ્સનો આંક વધીને ૨૦ હજાર ઉપર પહોંચ્યો હતો. રાજ્ય સરકારની ૧૦૪ હેલ્પલાઇન ઉપર તા.૫ મી માર્ચથી તા.૧૪ મે ૨૦૨૦ સુધી કુલ ૭,૧૭,૮૫૧ કૉલ આવ્યા છે જે પૈકી કોવિડ-૧૯ સંબંધિત ૧,૦૩,૮૧૫ કૉલ આવ્યા છે. જેમાંથી કોરોનાનાં સંભવિત લક્ષણો ધરાવતા હોય એવા કોલ્સ ૭૬૧૩ જેટલા આવ્યા છે. હાલમાં પ્રતિ દિન એવરેજ કોવિડ-૧૯ સંબંધિત કોલ્સ ૧૫૦૦થી વધુ આવે છે. તેવી જ રીતે ૧૧૦૦ હેલ્પલાઇન ઉપર તા. ૩૦ મી માર્ચથી તા. ૧૪મી મે સુધી કુલ ૧૯,૬૫૪ કૉલ આવ્યા છે જે પૈકી કોવિડ-૧૯ સંબંધિત ૧૯૩૧ કૉલ આવ્યા છે. જેમાં ૩૩૧ને કાઉન્સિલિંગ અને ૪૪૯૩ને મેડિકલ એડ્વાઇઝ આપવામાં આવી છે. ૧૦૪ હેલ્પાઇનમાં કામ કરતાં કર્મચારીઓ પૈકી પ્રત્યેક કર્મચારી દરરોજના ૨૦૦ થી ૨૫૦ ફોનકૉલ એટેન્ડ કરે છે.

         કૉલમાં લોકો કોરોના વાઇરસનાં લક્ષણો વિશે પૂછે છે. ચેપ કેવી રીતે ફેલાય છે?,  તકેદારી શું રાખવી જોઈએ જેવા સવાલો પૂછે છે અને અને હવે ડિપ્રેશનને કારણે હતાશ થઇ ગયેલા લોકોના પણ કૉલ આવે છે. કોઈ બિમાર હોય અને ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દો એવી માગણી કરે તો તેવા કિસ્સામાં કૉલરની વિગત મેળવવામાં આવે છે કે તેમને કઈ પ્રકારની તકલીફ છે? તેમની ટ્રાવેલ હિસ્ટ્રી શું છે? એ જાણવા પ્રયાસ કરી જરૂર જણાય તો તેમનું રજિસ્ટ્રેશન કરીને આરોગ્ય વિભાગમાં એ વિગતો મોકલી આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ દવા અંગે સૂચન માગે તો તેમને હેલ્પલાઈન નંબર ૧૧૦૦ પર કૉલ કરવા સમજ આપવામાં આવે છે. ૧૧૦૦ એ ટેલિમેડિસિન, ટેલિકાઉન્સિલિંગ (પરામર્શ) તેમજ ટેલિએડવાઇઝ (સલાહ) હેલ્પલાઇન છે. નિષ્ણાંત ડૉક્ટરોની પૅનલ અહીં તેમને માર્ગદર્શન આપે છે. આ ૧૦૪ હેલ્પલાઇનનું મૂળ  કાર્ય આરોગ્યવિષયક જાણકારી આપવાનું છે. જરૂર જણાય તો દવાખાને જવા સલાહ આપવામાં આવે છે અને દવાની વિગત માગે તો તેમને ૧૧૦૦ ઉપર કૉલ કરવા જણાવવામાં આવે છે.

(9:49 pm IST)