Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

હવે અમદાવાદીઓને દવાખાને જતા પોલીસ રોકી શકશે નહીં

જરૂરિયાત મંદો માટે ભોજનની વ્યવસ્થા કરાશે : પોલીસે તબીબી સારવારની જરૂર હોય તેવા વ્યક્તિને ક્લિનિક, ડોક્ટર સુધી પહોંચતા અટકાવવા જોઈએ નહીં

અમદાવાદ, તા. ૧૫ : સૂત્રો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલ સુઓ મોટો પિટિશનના જવાબમાં રાજ્ય સરકારે ગુરુવારે હાઈકોર્ટમાં કહ્યું કે, અમદાવાદમાં કોરોના સંક્રમણને રોકવા અને લોકડાઉન પાલન માટે ફરજ બજાવતા પોલીસ જવાનોને શહેરના પોલીસ કમિશનર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી કે જે લોકોને મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તેઓ લોકડાઉન દરમિયાન દવાખાને, લેબ્સ અને મેડિકલ સ્ટોર પર પહોંચી શકે તે બાબત સુનિશ્ચિત કરવામાં આવે. સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ આઈ. જે. વોરાની બેન્ચ સમક્ષ જવાબ આપતા જણાવ્યું કે, લોકડાઉન દરમિયાન ફરજ પરના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન પણ જરૂરિયાતમંદ વ્યક્તિ દવાખાના, મેડિકલ અને લેબ સુધી પહોંચી શકે.

               આ માટે તેમને અટકાવવામાં આવે નહીં. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આમાં આરોગ્યસંભાળ સુવિધાઓ, તમામ જાહેર અને ખાનગી તબીબી સંસ્થાઓ, દવાખાનાઓ, દવાની દુકાનો, લેબ્સ, ક્લિનિક્સ, નર્સિંગ હોમ્સ, એમ્બ્યુલન્સ સેવાઓ, તબીબી કર્મચારીઓની અવરજવર, નર્સાે, પેરામેડિક્સ અને તબીબી સહાય સેવાઓનું પરિવહન સામેલ છે. અગાઉ પોલીસે આ મુદ્દે ત્રણ સૂચનાઓ જાહેર કરી હતી. શહેર પોલીસ કમિશને પોલીસ અધિકારીઓને પત્ર લખીને તે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન બીમાર વ્યક્તિઓને તકલીફ ન પડે તે બાબતનું ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત રાજ્ય સરકારે અદાલતને ખાતરી પણ આપી હતી કે, જરૂરિયાતમંદો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. એલિસબ્રિજ નજીક ભૂખ્યા ઝૂંપડવાસીઓની દુર્દશાને ખુલ્લી પાડતા ૧૧ મે ના રોજ પ્રકાશિત થયેલા એક સમાચાર અહેવાલના જવાબમાં સરકારે આ નિવેદન બહાર પાડ્યું છે. આ મામલો હાઈકોર્ટ સુઓ મોટો દ્વારા ઉઠાવ્યો હતો. જે અંગે સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, અમે કોર્ટમાં ખાતરી આપી છે કે દરેક જરૂરિયાતમંદ ભૂખ્યા માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે અને અમે આ માટે વ્યવસ્થા પણ કરી છે. ઉલ્લેખનીય છે કે લોકોની ફરિયાદ હતી કે પોલીસ લોકડાઉન હોવાનું કહીને તેમને ડોક્ટર પાસે પણ નથી જવા દેતા તેમજ શહેરમાં ઘરવિહોણા રસ્તા પર રહેતા લોકો ભૂખ્યા હોવા અંગેની જાણકારી બહાર આવી હતી.

હાઈકોર્ટે કહ્યું કે, એક અન્ય બાબત છે જેના પર અમે ધ્યાન દોરવા માગીએ છીએ. જો કોઈ વ્યક્તિ બીમાર છે અને તેને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોય તો પોલીસે આવા વ્યક્તિને ખાનગી ક્લિનિક અથવા તો ડૉક્ટર સુધી પહોંચતા અટકાવવા જોઈએ નહીં. પોલીસે આ બાબતે પોતાની વિવેકબુદ્ધિને કુશળતાપૂર્વક વાપરવી જોઈએ અને વ્યવહારિક અભિગમ અપનાવવો જોઈએ. હાઈકોર્ટ દ્વારા પોતાના આદેશમાં ન્યુઝ પેપરના અહેવાલોને ખૂબ જ વિક્ષેપ કરનારા, દુઃખદ અને હૃદયસ્પર્શી જણાવ્યા હતાં. કોર્ટે નોંધ્યું હતું કે, કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે સંપૂર્ણ લોકડાઉનમાં ઘણા વ્યક્તિઓને આ સમય દરમિયાન પ્રાથમિક મેડિકલ જરૂરિયાતો માટે પણ ખૂબ મુશ્કેલી સહન કરવી પડી રહી છે.

(8:39 pm IST)