Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

વડોદરાના દુષ્‍કર્મ કેસના આરોપી પ્રશાંત ઉપાધ્યાયનો પોલીસથી બચવા માટે ઉંઘની ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ

વડોદરા: વડોદરામાં બગલામુખી મંદિરના પાખંડી તાંત્રિક અને દુષ્કર્મ કેસના આરોપી પ્રશાંત ઉપાધ્યાય હાલ જામીન પર છુટ્યો છે. જો કે હાલમાં તેના જામીન પુર્ણ થતા હોય પોલીસથી બચવા માટે ઉંઘની ગોળીઓ ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગે જાણ થતા પરિવાર દ્વારા તેને શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા બગલામુખી મંદિરના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય પર છેતરપિંડી અને દુષ્કર્મ જેવા અનેક ગુના હતા. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેને 14 દિવસના જામીન મળ્યા હતા. જે આજે પુર્ણ થતા હોવાથી તેણે ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી. હાલ તો વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઠગાઇનાં કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાખંડી પ્રશાંત સામે તેની જ પૂર્વ અનુયાયી મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરાવાઇ હતી. જેમાં તેના પર દુષ્કર્મ અને છેતરપીંડી જેવા અનેક દાવા કરવામાં આવ્યો હતો. પારિવારિક મુશ્કેલીઓથી ત્રાસેલી મહિલાઓને પ્રશાંત પોતાની જાળમાં ફસાવતો હતો. આવી મહિલાઓ સાથે પોતે તેને દૈવી સ્વરૂપ આપશે જેવા અલગ અલગ બહાના હેઠળ દુષ્કર્મ આચરતો હતો. અથવા તો તેની પાસેથી પૈસા પડાવતો હતો.

(5:18 pm IST)