Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કુલ ૪.૭૦ લાખ પરપ્રાંતિય મજુરોને વતન જવાના કરાયા

રાજ્યમાંથી હજુ સુધી ૩૪૯ ટ્રેન દોડાવાઈ : દેશના અન્ય રાજ્યોમાંથી પોતાના વતને પરત ફરેલા નવ લાખ ૮૫ હજાર શ્રમિક પૈકી ૪૦ ટકા ગુજરાતમાંથી રવાના

અમદાવાદ, તા. ૧૪ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાનિર્દેશનમાં રાજ્ય સરકારના વહિવટી તંત્રએ ભારત સરકાર સાથેના સંકલન દ્વારા અત્યાર સુધીમાં ૩૪૯ વિશેષ ટ્રેન દ્વારા કુલ ૪ લાખ ૭૦ હજાર જેટલા અન્ય રાજ્યોના શ્રમિકો-કામદારોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતા પૂર્વક વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનિકુમારે આ અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર દેશમાંથી ૯ લાખ ૮૫ હજાર જેટલા શ્રમિકો પોતાના વતન રાજ્યમાં પહોંચ્યા છે તેમાં ૩ લાખ ૯૫ હજાર એટલે કે દેશના કુલ શ્રમિકોના ૪૦ ટકા ગુજરાતમાંથી જનારા શ્રમિકો છે. આજે વધુ ૪૭ સ્પેશિયલ ટ્રેનના માધ્યમથી ૭૫,૨૦૦ જેટલા પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને અન્ય રાજ્યોમાં પહોંચાડવામાં આવશે, એમ તેમણે ઉમેર્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગઇકાલ બુધવાર રાત્રી સુધીમાં ગુજરાતમાંથી ૩૦૨  ટ્રેનો રવાના કરવામાં આવી છે.

                 જે સાથે કુલ ૩.૯૫  લાખ પરપ્રાંતીયો શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં કોઈ પણ અડચણ કે મુશ્કેલી વગર પહોંચાડવામાં આવ્યા છે. જે ૩૦ર ટ્રેન ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ગઇ છે તેમાં ઉત્તરપ્રદેશ માટે ર૦૪, બિહાર માટે ૩૪, ઓડિશા માટે ૩૦, મધ્યપ્રદેશ માટે ર૦, ઝારખંડ માટે ૮, છત્તીસગઢ માટે ૩ અને ઉત્તરાખંડ માટે ર શ્રમિક સ્પેશ્યલ ટ્રેનનો સમાવેશ થાય છે. આજે ગુરુવારે  અન્ય ૪૭ ટ્રેન ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી રવાના થશે. જેમાં ઉત્તરપ્રદેશ માટે ૩૭, બિહાર માટે ૦૪  ટ્રેન, ઓરિસ્સા માટે  ૦૨ ટ્રેન અને મધ્યપ્રદેશ-છત્તીસગઢ- ઝારખંડ - ઉત્તરાખંડ  માટે ૧-૧ ટ્રેન દોડશે. અમદાવાદથી ૧૧ ટ્રેન, સુરતથી ૧૫ ટ્રેન, રાજકોટથી ૦૫ ટ્રેન, ભરૂચ - ગાંધીધામ - વાપીથી ૨-૨  ટ્રેન તથા અન્ય જિલ્લાઓમાંથી ૧-૧ મળીને આજે રાત સુધીમાં રવાના થનાર ૪૭ ટ્રેનમાં વધુ ૭૫,૨૦૦  પરપ્રાંતીયો - શ્રમિકોને પોતાના વતન રાજ્યમાં પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીના સચિવશ્રીએ આ વિશેષ ટ્રેનો મારફતે ગુજરાતમાંથી જે શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા તેની વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો મજૂરો, શ્રમિકો ખુબ સારી વ્યવસ્થા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્પેશ્યલ શ્રમિક ટ્રેનમાં તેમના વતન રાજ્યમાં જે શ્રમિકો પહોંચ્યા છે  અને આવી ટ્રેન મારફતે પહોંચી રહ્યા છે તેનો આજે તા.૧૪ મે ની મધ્યરાત્રિ સુધીમાં કુલ આંક ૪ લાખ ૭૦ હજાર જેટલો થવા જાય છે.

(9:40 pm IST)