Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

પાણીની કરકસર કરવા ગુજરાત હવે રાજસ્‍થાન મોડેલ અપનાવશેઃ પાણી પુરવઠા મંત્રી અભ્‍યાસ માટે પ્રવાસે ગયા

ગાંધીનગર: રાજ્યમાં જળ સંકટની સ્થિતિને જોઇને સરકાર પાણીના વપરાશ અને વેડફાટ પર અંકુશ લાવવા વિચારી રહી છે. રાજસ્થાન મોડેલ ગુજરાતમાં અમલમાં મુકવા માટે સરકાર પાણીની લાઇન પર મીટર લગાવવાનું વિચારણા કરી રહી છે. પાણી પુરવઠા મંત્રી અને તેમની એક ટીમ બે દિવસ રાજસ્થાનના પ્રવાસે જશે અને ત્યાંની પદ્ધતિનો અભ્યાસ કરશે. ત્યારબાદ આ પદ્ધતિને ગુજરાતમાં કઇ રીતે અમલમાં લાવવી તેનો એક્શન પ્લાન તૈયાર કરશે.

આ અગાઉ પણ સરકાર દ્વારા પાણીના મીટરો લગાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ લોક વિરોધના ભયથી સરકારે તેને પડતી મૂકી હતી. ત્યારે હેવ રાજ્યમાં પાણીની ઉભી થતી અછકને રોકવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ફરી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને લઇન સરકાર પાણી વેડફાટને અટકાવવા માટે મીટર લગાવવાનું વિચારી રહી છે.

આ અંગે કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, પાણીના કરકસરયુક્ત વપરાશ માટે મીટર લગાવવું જરૂરી બન્યું છે. રાજસ્થાનના જોધપુરના કેટલાક ઝોનમાં મીટર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાણીના મીટર લગાવ્યા બાદ ત્યાં કેવી અસર જોવા મળી રહી છે. કેટલી સફળતા મળી છે. કેવી પદ્ધતિથી પાણી પુરવઠો આપવામાં આવે છે અને કેવી રીતે તેની વસૂલાત કરવામાં આવે છે. આ તમામ બાબતોનો ત્યાં જઇ અભ્યાસ કરીશું અને ત્યારબાદ ગુજરાતમાં તેને કઇ રીતે અમલમાં લાવવી તે અંગે એક્શન પ્લાન તૈયાર કરીશું.

રાજ્યના 8 મહાનગરો, 250થી વધુ નગરપાલિકાઓ અને 18 હજાર જેટલા ગામમાં મીટર લગાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ શહેર અને ગામમાં ઘરે ઘરે મીટર લગાવવાનો નિર્ણય જે તે મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતનો રહેશે. પાણીનો જથ્થો મળ્યો નથી તેવી રજૂઆત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા કરવામાં આવતી હોય છે જેના કારણે વિવાદો સર્જાય છે. મીટર મૂકવાથી આ વિવાદોનો પણ અંત આવશે.

(5:59 pm IST)