Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

૧૦મી મેથી શરૂ થશે ધો. ૧૦-૧૨ની પરીક્ષા

શું CBSEના રસ્તે ચાલશે ગુજરાત બોર્ડ ?

અમદાવાદ તા. ૧૫ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE)એ બુધવારે ધોરણ ૧૦ની પરીક્ષા રદ્દ કરી અને ધોરણ ૧૨ની પરીક્ષા મોકૂફ રાખી છે. ૧ જૂનના રોજ કોવિડ મહામારીની સ્થિતિનું અવલોકન થશે અને ત્યારબાદ ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે, તેમ CBSEના અધિકારીઓએ જણાવ્યું. વિદ્યાર્થીઓને તૈયારીઓ માટે ઓછામાં ઓછા ૧૫ દિવસ પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ૪ મેથી CBSEની પરીક્ષા શરૂ થવાની હતી.

CBSEની આ જાહેરાત બાદ સૌ GSHSEB (ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ) પર મીટ માંડીને બેઠા છે. ૧૦ મેથી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ પરીક્ષા મોકૂફ રાખવાની માગ કરી રહ્યા છે.

ગુજરાત બોર્ડ સંલગ્ન સ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ ૧૨ના વિદ્યાર્થીના મમ્મી મીરા ધરમશીએ કહ્યું, આ કપરા કાળમાં વાલીઓ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે છતાં પણ પરીક્ષા મોકૂફ રાખવી તે યોગ્ય વિકલ્પ નથી. 'વિદ્યાર્થીઓ તૈયારી કરીને કંટાળી ગયા છે. માર્ચ મહિનાથી પાછી ઠેલાઈને પરીક્ષા મે મહિના પર પહોંચી છે. જો ફરીથી પાછળ ઠેલાશે તો વિદ્યાર્થીઓની એકાગ્રતા પર અસર પડશે અને છેવટે તેમના પર્ફોર્મન્સ પર. બોર્ડે પરીક્ષાના કેન્દ્રો વધારી દેવા જોઈએ અને એક રૂમમાં ૫-૬ વિદ્યાર્થીઓને બેસાડવા જોઈએ. ઉપરાંત બે પરીક્ષા વચ્ચે એક દિવસ રજા આપવી જોઈએે, તેમ તેમણે ઉમેર્યું.'

રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોરોના સંક્રમિત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે બોર્ડની પરીક્ષાની મહત્વની જાહેરાત અંગે સૌની નજર GSEBના ચેરમેન એ.જે. શાહ પર ટકેલી છે.

'કોવિડના વધી રહેલા કેસને જોતાં CBSEએ સમયસર અને સુસંગત નિર્ણય લીધો છે. મને ખાતરી છે કે, સેન્ટ્રલ બોર્ડે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને આ પરીક્ષા માટે તેમણે કરેલી મહેનતને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો હશે. ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ આ સમયનો ઉપયોગ પુનરાવર્તન માટે કરી શકે છેે, તેમ બોપલ સ્થિત DPSના આચાર્ય સુરેન્દ્ર સચદેવાએ કહ્યું.

(10:28 am IST)