Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

અસ્વસ્થ જીવનશૈલીને કારણે ૪૦ વર્ષથી નીચેની ઉંમરના લોકો પણ 'સ્ટ્રોક'નો શિકાર

ગુજરાતમાં પ્રતિ ૧ લાખની વસ્તીએ ૧૩૦ લોકો લકવાનો ભોગ બને છેઃ લોકો હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવે એ જરૂરી : ડોકટરો

અમદાવાદ તા. ૧૪ : અસ્વસ્થ જીવનશૈલીને લીધે હવે ૪૦ વર્ષથી નીચેની ઉંમરના લોકો પણ સ્ટ્રોક (લકવા)નો શિકાર બની રહ્યા છે.

અસ્વસ્થ જીવનશૈલીના લીધે સ્વાસ્થ્ય પર પડતી આડઅસર વિશે ડોકટર્સ દ્વારા લોકોને ઘણીવાર સાવધાન કરવામાં આવતા હોય છે. આ કારણે નાની ઉંમરમાં જ યુવાનોમાં ગંભીર રોગો તથા તેનાથી મૃત્યુની સંખ્યા વધી રહી છે. ત્યારે વધુ એક ડોકટર્સની ટીમે આવી જીવનશૈલી જીવતા લોકો માટે ખતરાની વોર્નિંગ આપી છે. ન્યૂરોલોજિસ્ટ્સની ટીમ દ્વારા જણાવ્યા મુજબ, અસ્વસ્થ જીવનશૈલી જેમ કે એકસરસાઈઝ ન કરવી અને અપૂરતી ઊંઘ સાથે અપ્રમાણિત ડાયેટની ટેવના કારણે ૪૦થી નીચેની ઉંમરના લોકોમાં લકવાનું પ્રમાણ વધ્યું છે.

ઈન્ડિયન નેશનલ સ્ટ્રોક કોન્ફરન્સ (INSC) ૨૦૧૯માં વાત કરતા ડોકટર્સે જણાવ્યું કે ગુજરાતમાં પ્રતિ લાખ લોકોએ ૧૩૦ લોકો લકવાનો શિકાર બને છે અને તેમાંથી ૨૦ ટકા ૪૦ વર્ષથી નીચેની ઉંમરના હોય છે.

INSC ૨૦૧૯ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. અરવિન્દ શર્માએ કહ્યું, ખાવા-પીવાની અસ્વસ્થ આદતો, એકસરસાઈઝ ન કરવી અને સ્મોકિંગના કારણે ૪૦થી નીચેની વયના લોકો સ્ટ્રોકનો શિકાર બને છે. ગુજરાતમાં ડાયાબિટિસના દર્દીઓની સંખ્યા પણ વધારે છે, જે ચિંતાનો વિષય છે. સમય પર ટ્રીટમેન્ટ અને લકવાને રોકવા માટે વજન ઘટાડવા જેવી બાબતો પર લોકોને જાગૃત કરવા જરૂરી છે.

જયારે તંદુરસ્ત જીવનશૈલી અપવનાવાનો વ્યકિતગત પ્રયાસ નિર્ણાયક છે. કેનેડાની કલગરી યુનિવર્સિટી સાથે જોડાયેલા ન્યૂરોલોજિસ્ટ ડો. સિમરપ્રીત બાલે કહ્યું કે, લોકોને હેલ્થી લાઈફ અપનાવવા માટે કોર્પોરેટ અને સિવિક અધિકારીઓ બંને તરફથી પ્રયાસ કરી શકાય છે. અઠવાડિયામાં અમુક ચોક્કસ વર્કીંગ અવર્સ દ્વારા પણ આ કરી શકાય છે.

વિદેશની કંપનીઓમાં આ પહેલાથી શરૂ પણ થઈ ગયું છે કારણ કે કામના કલાકો વધવાથી જીવનમાં નિરાશા જન્મે છે. જયારે કર્મચારીઓનું રેગ્યુલર ચેક-અપ થાય તે પણ કંપનીએ જોવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, સિવિક ઓથોરિટી દ્વારા નાગરિકોની જીવનશૈલી અને તેની સ્વાસ્થ્ય પર ગંભીર અસર વિશે જાગૃતતા ફેલાવવા પ્રયાસ કરવો જોઈએ.

(10:26 am IST)