Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સાપુતારા પાસે રાજકોટની ખાનગી બસ અને ભાવનગરની એસટી બસ અથડાતાં ત્રણ મોત, પાંચ ઘાયલ

મૃતકોમાં નાસિકની ૨૫ વર્ષિય યુવતિ, વાપીના ૨૫ વર્ષના યુવાન તથા અન્ય એક યુવાનના મોત

રાજકોટ, તા.૧૪:- સાપુતારાના આંબાપાડા પાસે ભાવનગરની એસટી અને રાજકોટની ખાનગી બસ અથડાતાં ત્રણના મોત થયા છે અને પાંચને ઇજા થઇ છે.

ડાંગ જિલ્લાના વઘઇ સામગહાન રાજય ધોરીમાર્ગ સ્થિત આંબાપાડા ગામ પાસે એસટી બસ અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત થતા એસ.ટી.બસના બે અને ખાનગી બસના એક મુસાફર મળી કુલ ત્રણ વ્યકિતના મોત નીપજયા છે. અને ગંભીર ઇજા પામેલા પાંચ મુસાફરોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા.

મળતી માહિતી અનુસાર વઘઇ સામગહાન માર્ગ પરના આંબાપાડા ગામ નજીક મંગળવારે મોડી રાત્રે બારેક વાગ્યે ભાવનગરથી શિરડી જતી એસ.ટી.બસ(નં. જીજે-૧૮ ઝેડ-૩૧૨૬)સાથે શિરડીથી સુરત જતી ખાનગી લકઝરી બસ(નં. જીજે-૩ બીડબ્લ્યુ-૮૦૮૦) અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અને બંને બસના મુસાફરોની ચિચિયારીથી વાતવરણ ગુંજી ઊઠયું હતું. અકસ્માતની જાણ સાપુતરા પોલીસને થતા તેઓ તત્કાલ ઘટના સ્થળે ધસી જઇ બચાવ કામગીરી હાથ ધરી હતી. બંને બસના ઇજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા વઘઇ સી.એચ.સી. ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જયાં (૧)નાનસીબેન એ. અંબાડે (ઉવ.૨૫ રહે. નાસિક અરૂ.)(૨)સુધિર પાંડે (રહે. વાપી)નું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જયારે પાંચ જેટલા મુસાફરોને ગંભીર ઇજા પહોચતા તેઓને વલસાડ સિવિલમાં ખસેડાયા હતા. જયાં ૨૩ વર્ષીય વિશાલ શાંતિલાલ ગોરખ્યાનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

દરમિયાન રાજકોટ એસટીના અધીકારી મિત્રોના ઉર્મેર્યા પ્રમાણે અને નોંધાવેલ FRI મુજબ, તા.૧૨ના રાત્રે ૧:૫૫ વાગ્યે આ અકસ્માત થયો હતો. ભાવનગર ડેપોની આ એસટી બસ હતી. ડાઇવરનું નામ દિવાનસિંહ કાળુસિંહ રાઠોડ, તથા બસ કંડકટરનું નામ પ્રકાશભાઇ પટેલ જાહેર થયું છે.

આ ઘટના અંગે વધઇ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થયેલ છે, ૫ વ્યકિતને નાની મોટી ઇજા થયાનું અને ત્રણના ઘટના સ્થળે જ મોત થયાનું રાજકોટ રીપોર્ટ કરનાર આહવા ડેપોના ડેપો મેનેજર પી.એમ.પટેલે ઉમેર્યુ હતું.

આ ઘટનામાં આંબાવાડા-આહેરડી વચ્ચે એસટીબસની ગામેથી આવતી લકઝરી બસ પલ્ટી મારવાથી એસટી બસ સાથે અથડાઇ પડયાનું ઉમેરાયું છે.

વધુમાં ઉમેરાયુ હતું કે ખાનગી લકઝરી બસ ફુલ સ્પીડમાં હતી અને એસટી બસનો ડ્રાઇવરનો આલ્કોહોલ ટેસ્ટ નેગેટીવ આવ્યાનું ઉમેરાયું હતું.આ ગોઝારા અકસ્માત સર્જીને ખાનગી લકઝરી બસનો ચાલક નાસી છુટયો હતો. ચાલક નાસી છુટયો હતો. બનાવ સંદર્ભે એસ.ટી.બસના ચાલક ડી.કે. રાઠોડે સાપુતારા પોલીસે લકઝરી બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

(3:27 pm IST)