Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી કેન્યામાં ઉત્તરાયણ પર્વે ભૂલકાંઓએ પતંગોત્સવ માણ્યો

'ઉર્ધ્વગમનનો ઉત્સવ ઉત્તરાયણ.. અનેરો ઉત્સવ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : પૃથ્વીથી એક લાખ જોજન દૂર આવેલા સૂર્યદેવની પ્રદક્ષિણા પૃથ્વી, ચંદ્ર આદિ સઘળા ગ્રહો કરે છે. બાર મહિનામાં સૂર્યનારાયણ બારેય રાશિઓમાં પ્રવેશ કરે છે. “संक्राम्यति इति संक्रमण: ” ઉત્તરાયણ અને દક્ષિનાયણ એમ બે ભાગમાં સૂર્યની સંક્રાંતિને વહેચવામાં આવી છે

  સમગ્ર ભારતવર્ષમાં ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને જ્યોતિષની દ્રષ્ટીએ મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્યનારાયણ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડા ઉત્તર તરફ વળે છે.

“સ્કંદપુરાણમાં” જણાવ્યા મુજબ મકરસંક્રાંતિના દિવસે તાલ, ફળ, ઘી, ગોળ, અનાજ, વસ્ત્રો, લક્ષ્મી અને સુવર્ણના દાનનો મહિમા અપરંપાર છે. આવા પ્રકારનાં ગુપ્તદાન આપનાર દાતા ઉપર ભગવાન અનેકાનેક ગણું કરીને આપે છે. શ્રીમદ ભગવદગીતામાં આઠમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ઉત્તરાયણમાં મૃત્યુ પામેલા જીવો બ્રહ્મજ્ઞાન અને બ્રહ્મપદને પામે છે. તેથી જ મહાભારતના યુદ્ધ દરમિયાન બાણોથી વિંધાયેલા ભીષ્મપિતામહે દેહની પીડાને ગણકાર્યા વિના મકરસંક્રાંતિના દિવસે જ દેહ્ત્યાગની પસંદગી કરી હતી. આવા અતિપાવન ઉત્તરાયણ - પતંગ પર્વને પણ શ્રીજી મહારાજે વરતાલના ચોથા વચનામૃતમાં ઉલ્લેખ કર્યો છે.

  આવા અતિ પાવન પર્વને સંતો-ભક્તોએ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની પ્રસન્નતા માટે દાન, દક્ષિણા, પ્રાર્થના, ભજનથી ઉજવ્યો હતો.

  મકરસંક્રાંતિ – ઉત્તરાયણ પર્વને નાઈરોબી, કેન્યામાં પરમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યું હતું. મંદિરમાં સિંહાસન, મંદિર ગર્ભગૃહ વગેરેને વિધ વિધ પતંગોથી સજાવવામાં આવ્યું હતું. તો યુવા તેમજ નાના નાના ભુલકાઓએ પણ પરમ ઉમંગોલ્લાસભેર પતંગોત્સવની મોજ માણી હતી. વળી, શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં આ પાવનકારી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

બહુ આસાન છે પતંગ બની ઉડવું,અઘરું છે દોરો બની સાથ આપવો!!!

(4:58 pm IST)