Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સુરતના બુટલેગરોઅે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર પથ્થરમારો કર્યોઃ ઘાતક હૂમલામાં બે પોલીસમેન ઘાયલ

સુરત: એક તરફ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ખુલ્લેઆમ દારુ વેચાય અને પીવાય રહ્યો છે, અને જ્યારે પોલીસે આવા બુટલેગરો પર દરોડા પાડે છે, ત્યારે પોલીસ ઉપર બેફામ બનેલા બુટલેગરો અને તેમના માણસો હુમલાઓ કરે છે, ત્યારે સુરતમાં સોમવારે સાંજે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ કે રોડ રોડ ખાતે દરોડો પાડવા ગઈ હતી, તે સમયે તેમના પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની બે ખાનગી કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.

સ્ટેટ મોનીટરીંગ સેલને માહિતી મળી હતી કે શહેરની વચ્ચેથી પસાર થતી રેલ્વે લાઈનને અડીને આવેલા કતારગામ અને એ કે રોડ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે, જેને આધારે દરોડા પાડવા પોલીસ ટીમ અહીં પહોચી હતી. ઉત્કલનગર ઝુપડપટી રેલ્વે ટ્રેકની બાજુમા નીરંજન ઉર્ફે નીરૂ ગાંધીભાઈ પ્રધાન, હીતેશ ઉર્ફે હીતેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, શંકર ડાકુઆ રાઉત, નારાયણ ઉર્ફે સેન્ડો જૈના, હનુમાન વગેરે સાથે મળીને આયોજનબધ્ધ રીતે દીપક ઉર્ફે કાળીયો અશોક દેવરે જે નવસારીનો રહેવાસી તેની પાસે થી ભારતીય બનાવટનો વિદેશી દારૂ બહારથી મંગાવે છે.

તમામ લોકો વરાછા પોલીસ મથકની હદમાં આવેલા ઉત્કલ નગરના સામેના ભાગે રેલ્વે પાટા પાસે સાબુ ફેકટરીની નજીક હનુમાનજીના મંદીરની બાજુમા પતરાના સેડની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો વેચાણ કરે છે, જેથી સ્ટેટ મોનીટરીંગ સેલની બે કાર અહીં રેડ માટે પહોંચી હતી. રેડ કરી ત્યારે ત્રણ લોકોને પોલીસે પકડી લીધા હતા, અચાન પોલીસની રેડ પડી હોવાનું જાણ થતાં અચાનક 400 જેટલા લોકોનું ટોળું અહીં ભેગું થઇ ગયું હતું.

ટોળાએ પકડાયેલા લોકોને છોડાવવા પોલીસની કાર ઉપર પથ્થરમારો શરુ કર્યો હતો, જેમાં પોલીસની બંને કારના કાચનો ભુક્કો બોલાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનમાં બે પોલીસકર્મીઓની ઈજા થઇ હતી. પોલીસ પર હુમલો થયાનું જણાતા તાત્કાલિક વરાછા અને રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો અલગ અલગ બ્રાન્ડની 3123 બોટલો જપ્ત કરી હતી. જેની કુલ કિંમત રૂપિયા 3,60,750 થાય છે.

 સ્ટેટ મોનીટરીંગ સેલ પર હુમલાની ઘટનામાં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેમાં નીરંજન ઉર્ફે નીરૂ ગાંધીભાઈ પ્રધાન, હીતેશ ઉર્ફે હીતેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, દીપક ઉર્ફે કાળીયો અશોક દેવરે, શંકર ડાકુઆ રાઉત, નારાયણ ઉર્ફે સેન્ડો, હનુમાનને વોન્ટેડ જાહેર કર્યા હતા. આ સાથે જ પોલીસે પકડેલા ત્રણ વ્યક્તિઓને પણ ભગાડવામાં આવ્યા હતા, તેમને પણ વોન્ટેડ જાહેર કર્યા હતા, જેમાં બે વ્યક્તિ તો હાથમાં પહેરાવેલી પોલીસની હાથકડી લઈને ભાગી ગયા હતા, પોલીસેને હુમલા ખોરો પૈકી એકનો મોબાઈલ પણ હાથે લાગ્યો હતો. મોબાઇલના સીમ નંબર 7041861785 ને આધારે પોલીસે તપાસ શરુ કરી છે.

સુરતના ઉત્કલનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં વર્ષોથી દારૂ, જુગાર સહીત ગાંજાનો મોટે પાયે વેપાર થાય છે, પરતું પોલીસ ત્યાં કાર્યવાહી કરતા ગભરાય છે, કારણ કે અગાઉ પણ પોલીસ ઉપર હુમલાની ઘટનાઓ બની ચુકી છે, જોકે બીજી તરફ એવી પણ ચર્ચા છે કે સ્થાનિક પોલીસ સાથે બુટલેગરોનું સેટિંગ હોય છે, તેથી પણ દરોડા પાડવામાં આવતા નથી, તેવામાં સ્ટેટ મોનીટરીંગ સેલ જેવી ટીમો દરોડા પાડે ત્યારે હુમલાની ઘટના પણ બનતી હોય છે. ગુજરાત પોલીસમાં સ્વચ્છ અધિકારી તરીકે જાણીતી આઇપીએ અધિકારી હસમુખ પટેલ જયારે નશાબંધી અને રેલ્વે વિભાગા એસપી તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેમને ઉત્કલનગરમાં દરોડા પાડીને બુટલેગરોનો સફાયો કર્યો હતો, જોકે તેમની બદલી બાદ ફરી ધંધો શરુ કરવામાં આવ્યો હતો, જે આજે પણ ચાલી રહ્યો છે.

(5:55 pm IST)