Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

યુનિવર્સિટી સ્થાપના દિવસની ઉજવણીની જોરદાર તૈયારીઓ

૨૩મી નવેમ્બરને ગૌરવ દિવસ તરીકે ઉજવાશે : યુનિવર્સિટી ગીતનું સમૂહ ગાન થશે : જુદા જુદા કાર્યક્રમનું આયોજન થશે : યુનિવર્સિટી ટાવરની રંગોળી બનાવાશે

અમદાવાદ,તા.૧૪  : ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ૨૩ નવેમ્બર ૧૯૪૯ના રોજ થઈ હતી. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો સિંહફાળો રહેલો છે. મહાત્મા ગાંધીના આશિવાદ પ્રાપ્ત થયા છે. ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીનો ૨૩ નવેમ્બરના રોજ સ્થાપના દિવસ છે. સામાન્ય રીતે સ્થાપના દિવસે યુનિવર્સિટી કાર્યાલય અને અનુસ્નાતક ભવનોમાં રજા રહેતી હોય છે. ૨૩ નવેમ્બરના રોજ આ વખતે યુનિવર્સિટી કાર્યાલય અને ભવનો કાર્યરત રહેશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હીમાંશુ પંડ્યાએ સ્થાપના દિવસને ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. ગુજરાત યુનિવર્સિટીના ૭૧માં સ્થાપના દિવસ પ્રસંગે યોજાનાર કાર્યક્રમની વિગતો અંગે ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસારને પુછતા તેઓએ સ્થાપના દિવસે ગૌરવ દિવસ તરીકે જુદા જુદા કાર્યક્રમો કરીને ઉજવવાનું જણાવ્યું હતું.

                        સ્થાપના દિવસની યાદમાં ૨૫૦થી વધારે વૃક્ષો વાવીને સ્મૃતિ વન બનાવવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના એનઆરએસ હોલ સામેના ભાગમાં સવારે ૧૧.૩૦ કલાકે વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, અધ્યાપકઓ, યુનિવર્સિટીના પૂર્વ કર્મચારી, અધ્યાપકઓ એકત થશે અને ગુજરાત યુનિવર્સિટીની રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વમાં રહેલી ભૂમિકાને વ્યક્ત કરતું યુનિવર્સિટી ગીતનું સમુહગાન કરશે. ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ભવન પર વિશિષ્ટ રોશની આ દિવસની ઉજવણીના પ્રસંગે કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના ઓળખ અને ગૌરવ સમાન ટાવરને ચિત્રસ્પર્ધા યોજી વિદ્યાર્થીઓને ભવન કક્ષાએ અને યુનિવર્સિટી કક્ષાએદોરવામાં આવશે. દરેક ભવનમાં યુનિવર્સિટી ટાવરની રંગોળી દોરવામાં આવશે.  ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસારે અંતમાં જણાવ્યું હતું કે, ગૌરવ દિવસ ઉજવણી પ્રસંગે દરેક ભવનોમાં વર્ષ દરમિયાન થયેલી વિશિષ્ટ પ્રવૃતિ અને સિધ્ધીઓના સંદર્ભમાં ગૌરવ સંમેલન યોજવામાં આવશે. પીએચડી એમફિલ થયેલા વિદ્યાર્થી, ભવનમાં પ્રથમ નંબરે આવેલા વિદ્યાર્થીનું સન્માન તેમજ પૂર્વ અધ્યાપક સાથે વાર્તાલાપ યોજાશે. ગુજરાત યુનિવર્સિટી તરફથી ગુજરાત યુનિવર્સિટી ટાવર, ગુજરાત યુનિવર્સિટીનું ગીત, ૨૦૨૦નું કેલેન્ડર સાથેનું કાર્ડ યુનિવર્સિટી ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કાર્યરત કર્મચારીઓને અપાશે.

(8:41 pm IST)