Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

વડોદરામાં નોંધાયેલા લવ જેહાદના પ્રથમ કિસ્સામાં તમામ આરોપીઓને હાઇકોર્ટ દ્વારા જામીન મજૂર

વ જેહાદના આ કિસ્સામાં અત્યાર સુધી કુલ 7 આરોપીઓના જામીન હાઇકોર્ટે મંજુર કર્યા

વડોદરા :રાજ્યમાં નોંધાયેલ લવ જેહાદના પ્રથમ કિસ્સામાં ગુજરાત હાઇકોર્ટમાં થયેલ અરજીમાં મહત્વપૂર્ણ વાત સામે આવી છે. વડોદરામાં નોંધાયેલા લવ જેહાદના પ્રથમ કિસ્સામાં તમામ આરોપીઓને હાઇકોર્ટે રાહત આપતા જામીન મજૂર કર્યા છે. લવ જેહાદના આ કિસ્સામાં અત્યાર સુધી કુલ 7 આરોપીઓના જામીન હાઇકોર્ટે મંજુર કર્યા છે. આરોપીઓ સામે ફરિયાદીને ડરાવી, ધમકાવી લગ્ન કરાવીને ધર્મ પરિવર્તન કરાવ્યાનો આરોપ લાગ્યો હતો. આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદ રદ્દ કરવા ફરિયાદીએ હાઇકોર્ટમાં અરજી કરી છે. જેમાં આજે કોર્ટે જામીન મજૂર કર્યા છે.
ગુજરાત રાજ્યમાં 15 જૂનથી લવ જેહાદના કાયદાનો અમલ શરૂ થતાની સાથે જ વડોદરામાં 17 જૂને આ કાયદા અંતર્ગત પ્રથમ FIR(ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ) નોંધાઇ હતી. જો કે હવે આ FIRને રદ કરી પતિને જામીન મળે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. વડોદરામાં રહેતી એક યુવતીએ 17 જૂને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિએ તેની મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવી તેની સાથે સોશિયલ મીડિયા ઉપર મૈત્રી બાંધી હતી. પહેલા મિત્ર તરીકે તેની સાથે સંબંધ જોડી, બાદમાં લગ્ન કર્યા હતા. તેણે FIRમાં નોંધાવ્યું હતું કે, ગુજરાત ફ્રિડમ ઓફ રિલિજીયન એમન્ડમેન્ટ એક્ટ અંતર્ગત તેના પતિ, તેમના માતા-પિતા, કાઝી સહિત અન્ય બે સાક્ષીઓની નોંધણી કરવામાં આવી છે. 
યુવતીએ લવ જેહાદની ફરિયાદ કરી ત્યારે વડોદરાના ઝોન-2ના DCP જયવીરસિહ વાળાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રહેતા યુવકે માર્ટિન સેમ ધારણ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી હતી અને પોતે તેની સાથે લગ્ન કરશે, એવું જણાવી વિશ્વાસ કેળવીને યુવતી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ યુવાને યુવતી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. તેણે યુવતીની જાણબહાર તેના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા.

  ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ બહુચર્ચિત લવ-જેહાદ કાયદો 15મી જૂનથી અમલી બન્યો છે. આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ હવે કોઇપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મપરિવર્તન કરાવશે અને એ હેતુથી લગ્ન કરશે તેની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

  ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે લવ-જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયકને પણ મંજૂરી અપાઈ છે.

(12:13 pm IST)