Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

ટ્રાફિકના નવા નિયમોને લઇ જબરદસ્ત અંધાધૂધી ફેલાઇ

લાયસન્સ, પીયુસી માટે લોકોની લાંબી લાઇનો : નોટબંધી, જીએસટીના મરણતોલ ફટકા બાદ લોકો ટ્રાફિક નિયમો અને દંડના મારને સહન કરવા સંપૂર્ણપણે મજબૂર

અમદાવાદ, તા.૧૩ : કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નવા ટ્રાફિક નિયમો જાહેર કર્યા છે. જેનું કડકપણે અમલ કરવામાં આવી રહ્યું છે. નવા નિયમ પ્રમાણે આરસી બુક, ડ્રાઈવીંગ લાયસન્સ અને પીયુસી સહિતના ડોક્યુમેન્ટ સાથે રાખવા ફરજિયાત છે, જો આમાંથી એકપણ ડોક્યુમેન્ટ નહીં હોય તો નિયમ તોડવા બદલ ભારે ભરખમ અને આકરા દંડની જોગવાઈ કરાઇ છે. ગુજરાત સરકારે તેમાંથી આંશિક રાહત આપી છે પરંતુ નવી દંડની રકમ પણ સામાન્ય જનતાના ખિસ્સાને કોઇપણ સંજોગોમાં પોષાય એમ જ નથી. સરકારના આ તઘલખી ફરમાનને લઇ હાલ તો લોકો લાયસન્સ, પીયુસી, ઇન્શ્યોરન્સ, આરસી બુક માટે આરટીઓ કચેરી, પીયુસી સેન્ટર સહિતના સ્થળોએ લાંબી લાઇનો લગાવવા મજબૂર બન્યા છે. સરકારે સામાન્ય જનતાને લાયસન્સ, આરસીબુક, પીયુસી કે ઇન્શ્યોરન્સ સહિતના ડોકયુમેન્ટ્સની પરિપૂર્તતા માટે પૂરતો સમય આપ્યા વિના જ અચાનક અમલવારીની વાત ઉતાવળે કરી દેતાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં જાણે જબરદસ્ત અંધાધૂંધી અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. નોટબંધી, જીએસટીના મરણતોલ ફટકા બાદ લોકો હવે ટ્રાફિક નિયમો અને દંડનો માર સહન કરવા મજબૂર બન્યા છે, જેના કારણે લોકોમાં એક પ્રકારનો ભારેલા અગ્નિ જેવો જોરદાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે ખાસ કરીને મહિલાઓ, યુવતીઓ સરકાર પર ફિટકાર વરસાવી રહ્યા છે. અમદાવાદ મોટર ડ્રાઇવીંગ સ્કૂલ ઓનર્સ એસોસીએશનના મહામંત્રી રમેશભાઇ ગીડવાણીએ જણાવ્યું હતું કે, સરકાર ભલે નવા નિયમો લાગુ કરે પરંતુ તેની અમલવારી માટે ખાસ કરીને લાયસન્સ, પીયુસી, ઇન્શ્યોરન્સ, આરસી બુક સહિતના ડોકયુમેન્ટસની પરિપૂર્તતા માટે સરકારે નાગરિકોને પૂરતો સમય આપવો જોઇએ.

                 આ ડોકયુમેન્ટસની પરિપૂર્તિ બે-ચાર દિવસ કે અઠવાડિયામાં થઇ શકે તેમ નથી. નાગરિકોને સરકારે ખરેખર બે-ચાર મહિનાનો સમય આપવો જોઇએ કારણ કે, આ ડોકયુમેન્ટસ તૈયાર કરવામાં એટલો સમય તો જાય જ તેમ છે. કારણ કે, તંત્ર ખુદ તેને પહોંચી વળે તેમ નથી તે વાસ્તવિકતા છે. બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં એચએસઆરપી નંબર પ્લેટથી લઇને લાયસન્સ, આરસીબુક, ઇન્શ્યોરન્સ અને પીએયુસી માટે લોકો પોતાની નોકરી અને ધંધા-રોજગાર છોડી હાલ આ ડોકયુમેન્ટ્સ પરિપૂર્ણ કરવા માટે આરટીઓ કચેરી, પીયુસી સેન્ટર પર લાંબી લાઇનો લગાવવા મજબૂર બન્યા છે. નવા ટ્રાફિક નિયમોના કારણે લોકોમાં જે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે, તે ૨૦૧૬માં મોદી સરકારે જાહેર કરેલી નોટબંધીની યાદ અપાવી જાય છે. એ સમયે પણ ૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કરવામાં આવતા બેન્કમાં લાંબી કતારો જોવા મળી હતી. નવા ટ્રાફિક નિયમોને લઇ પોલીસવાળા પણ જાણે તેમને છૂટ્ટો દોર મળ્યો હોય એમ અત્યારથી જ ઉઘરાણાં શરૂ કરી દેતાં શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, યુવતીઓ સાથે પોલીસના ઘર્ષણના અને ઝપાઝપીના બનાવો સામે આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસના ઉધ્ધતાઇભર્યા વર્તનથી કંટાળેલી એક યુવતીએ તો એટલે સુધી આક્રોશ ઠાલવ્યો હતો કે, હવે આ દેશમાં રહેવા માટે કોણ જાણે શું શું કરવું પડશે..? અહીં રહેવું હવે જાણે ત્રાસદાયક બની રહ્યું છે.

             પોલીસવાળાએ પણ યુવતીને ડોકયુમેન્ટ્સ ના બતાવે ત્યાં સુધી આગળ જવા દેવાનો ઇન્કાર કર્યો હતો. આમ, શહેરમાં ટ્રાફિક પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણ, ઝપાઝપી અને મારામારીના બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે સરકારે સમગ્ર મામલે ગંભીરતાથી વિચાર કરવો જોઇએ અને ઉતાવળે નવા નિયમોની અમલવારીનો હઠાગ્રહ રાખવો જોઇએ નહી. કેટલાક જાગૃત નાગરિકોએ રોષ ઠાલવ્યો હતો કે, કાયદા ને નિયમો લોકોની સુખાકારી અને સાનુકૂળતા માટે હોય..લોકોને બિનજરૂરી હાલાકી કે હેરાન-પરેશાન કરવા અને તેમને ડરાવવા માટે નહી. સરકારે આ વાત સમજવાની જરૂર છે અને નવા નિયમોની અમલવારી માટે નાગરિકોને બે-ચાર મહિના જેટલો પૂરતો સમય આપવો જ પડે, એમ કંઇ બે-ચાર દિવસમાં આટલા મોટા રાષ્ટ્રવ્યાપી નિર્ણયની અમલવારી ઓછી થઇ શકે એવા ગંભીર સવાલો પણ લોકોએ ઉઠાવ્યા હતા.

(9:01 pm IST)