Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

આણંદ નજીક બાકરોલમાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ 80 હજારની મતા ચોરી

આણંદ: નજીક આવેલા બાકરોલ-વડતાલ રોડ ઉપરની તુલસી આંગન સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને તાળા તોડી તિજોરીમાંથી ૮૦ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે વિદ્યાનગર પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર તુલસી આંગનના મકાન નંબર ૫૮માં રહેતા મનિષભાઈ કનુભાઈ પટેલ ગત ૭મી તારીખના રોજ રાત્રીના સુમારે પરિવાર સાથે મકાનને તાળુ મારીને રાજસ્થાનના ઉદેપુર ખાતે ફરવા માટે જવા નીકળ્યા હતા. દરમ્યાન કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને તાળા તોડીને અંદર પ્રવેશ કરી તિજોરીમાંથી રોકડા ૩૯ હજાર, સોનાનો અઢી તોલાનો સેટ, ચાંદીના વાસણો જેમાં ગ્લાસ, વાટકા, ગણપતિ અને શંકર ભગવાનની મૂર્તિઓ, ચાંદીની કંકાવટ, ચાંદીના છડા, સીક્કા વગેરે મળીને કુલ ૭૯૫૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 
બીજા દિવસે ઉદેપુર પહોંચેલા મનિષભાઈને તેમના પડોશીએ ચોરી થયાની જાણ કરતાં જ તેઓ પરત ફર્યા હતા અને તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. જેથી તેઓએ વિદ્યાનગર પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.

(4:42 pm IST)