Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

આણંદ: જનતા ચોકડી નજીક ગાડી ધીમી ચલાવવાનું ક્હેતા ત્રણ શખ્સોએ લાઇનબોયને ચપ્પુના ઘા ઝીક્યાં

આણંદ: નજીક આવેલી જનતા ચોકડી પાસે ગઈકાલે રાત્રીના સુમારે લાઈનબોયને સ્વીફ્ટ કારમાં સવાર ત્રણ શખ્સોએ ગાડી ધીમી ચલાવવાનું કહેવાની બાબતે લાઈનબોય સાથે ઝઘડો કરીને ચપ્પુ તથા લાકડાના ડંડાથી માર મારતાં આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરની બોરસદ ચોકડીએ આવેલી પોલીસ લાઈનમાં રહેતા અરશીલ મહંમદયુનુસ વ્હોરા તથા મિત્રો બાઈકો લઈને ગઈકાલે રાત્રીના સુમારે વિદ્યાનગરમાં ચા-નાસ્તો કરવા માટે ગયા હતા. ત્યાંથી રાત્રીના બારેક વાગ્યાના સુમારે પરત ફરતા હતા ત્યારે જનતા ચોકડી પાસે એક સ્વીફ્ટ કાર નંબર જીજે-૨૩, બીએલ-૨૨૩૪એ ઉપર નાંખતા અરશીલે ગાડી ધીમે ચલાવવાનું કહ્યું હતુ. દરમ્યાન તેઓ નજીકમાં આવેલી જય દ્વારકાધીશ હોટલે ચા પીવા માટે ગયા હતા ત્યારે સ્વીફ્ટ કારવાળો શખ્સ તેના બે મિત્રો સાથે આવી ચઢ્યો હતો અને અરશીલને હુ લાલો છુ, મારી ગાડી કોઈ રોકતુ નથી, તુ મને કહેવાવાળો કોણ તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલવાનું ચાલુ કરતા જ અરશીલે ગાળો બોલવાની ના પાડી હતી જેથી લાલાએ પોતાની પાસેનું ચપ્પુ કાઢ્યું હતુ અને મારવા જતાં અરશીલે જમણો હાથ આગળ કરી દેતાં વચલી આંગણી ઉપર ચપ્પુ વાગત લોહીલુહાણ થઈ જવા પામ્યો હતો. 
લાલાની સાથે આવેલા બે શખ્સોએ પણ ગાડીમાંથી લાકડાના ડંડા કાઢીને માર માર્યો હતો. દરમ્યાન બીજા લોકો એકત્ર થઈ જતાં ત્રણેય જણાં ફરી જો ગાડી રોકી છે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપીને ત્યાંથી જતા રહ્યા હતા. વિદ્યાનગર પોલીસે લાઈનબોયની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:42 pm IST)