Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

ગણેશ મહોત્સવનો રંગેચંગે આરંભ : શ્રદ્ધાળુ ઉત્સાહિત

રૂપાણીએ વડોદારમાં બડા ગણેશના દર્શન કર્યા : રાજ્યના વિશાળ પંડાલ, શામિયાણામાં દાદાનું વિધિવત્ સ્થાપન કરાયું : દસ દિવસ પૂજા-અર્ચના માહોલ જામશે

અમદાવાદ,તા. ૧૩ : અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આજથી વિધ્નહર્તા દેવ ગણપતિદાદાના મહોત્સવનો ગણેશ ચતુર્થીના આજના પવિત્ર દિને ભારે હર્ષોલ્લાસ અને રંગેચંગે પ્રારંભ થયો હતો ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા શહેર સહિત રાજયભરમાં ગણેશ ભકતોમાં ગણપતિ દાદાની ભકિતનો માહોલ છવાયો છે. ગણેશ ભકતો દ્વારા આજે શહેર સહિત રાજયભરમાં ગણપતિ દાદાની અવનવી, આકર્ષક અને મનોહર મૂર્તિઓ ખરીદી ટાટા ૪૦૭, ટ્રેકટર, મીની ટ્રક, કાર, જીપ સહિતના વાહનોમાં લઇ જઇ તેમના શેરી, મહોલ્લા અને વિસ્તારમાં ઉભા કરાયેલા વિશાળ મંડપ, પંડાલ અને શામિયાણિામાં વિધિવત્ રીતે સ્થાપન કરાયું હતું. દાદાની ભારે ભકિતભાવ સાથે આરતી ઉતારી પૂજા કરી ભકતજનોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. શહેરમાં આ વખતે કેટલાક પંડાલ અને શામિયાણામાં તો અનોખા અને આકર્ષક ગણપતિ સ્વરૂપો જોવા મળી રહ્યા છે, જેને લઇ નગરજનોમાં ભઆરે ઉત્સાહ અને ભકિતનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજીબાજ,  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપણીએ ગણેશ ચતુર્થીના દિવસે વડોદરા શહેરના જાગનાથ મહાદેવ મંદિર ખાતે આવેલી બડા ગણેશની પ્રતિમાના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને ગણેશોત્સવ અને સંવત્સરીની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડોદરાની મુલાકાતે હતાં. જ્યાં તેઓએ આરસના પથ્થરમાંથી તૈયાર કરવામાં આવેલી દેશની સૌથી મોટી ગણેશની પ્રતિમાના દર્શન કર્યા હતા. શંકર-પાર્વતીના પુત્ર ગણેશ ભગવાન એ સદ્બુધ્ધી, ધન-વૈભવ અને સૌભાગ્યના અધિપતિ દેવતા કહેવાય છે અને સર્વ દેવોમાં તેમની સૌથી પહેલી પૂજા થાય છે ત્યારે ગણેશ મહોત્સવને લઇ શહેર સહિત રાજયભરના ગણેશભકતોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા યુવક મંડળો દ્વારા શહેરના ગુલબાઇ ટેકરા, બાપુનગર સહિતના વિસ્તારોમાંથી ગણેશ ભકતોએ દાદાની મૂર્તિઓ ખરીદી દુંદાળા દેવ ગણપતિજીની વાજતે-ગાજતે, ફટકડાની આતશબાજી અને અબીલગુલાલની છોળો વચ્ચે શાહી સવારી કાઢી પોતપોતાના વિસ્તારોના પંડાલ-શામિયાણામાં વિવિધ સ્વરૂપોની આકર્ષક મૂર્તિઓનું વિધિવત્ રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું. દાદાની વિશાળ રેલી, સરઘસ અને શાહી સવારી દરમ્યાન અબીલ-ગુલાલ અને રંગોની છોળો અને ડીજેના તાલ વચ્ચે ગણેશભકતો થીરકતા જોવા મળ્યા હતા. અમદાવાદ શહેરમાં આ વખતે સાડા ત્રણ હજારથી વધુ સ્થળોએ ગણપતિદાદાની મૂર્તિઓનું સ્થાપન કરાયું છે.

શહેરના મણિનગર વિસ્તારમાં સ્કૂલના બાળકોએ અનોખો રોબોટ બનાવ્યો છે, જે ગણેશજીને ફુલ અર્પણ કરી તેમની આરતી ઉતારી છે અને ભકતોને પ્રસાદ વિતરણ કરે છે, આ થીમે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. તો, ભદ્ર વસંતચોક વિસ્તારમાં ભદ્ર યુવક મંડળ દ્વારા મનમોહક ગણપતિ દાદા, ગુરૂકુળ રોડ પર મુંબઇના દગડુ શેઠના સ્વરૂપમાં ગુરૂકુળના મહારાજા, મેમનગર ગામમાં શિવ-પાર્વતીની પ્રદક્ષિણા કરતાં ગણપતિજી, મેમનગરમાં જ તરૂણનગર પાસેે દાદાની વિશાળ મૂર્તિ સહિતની નવા વાડજમાં ભીમજીપુરા ચાર રસ્તા પાસે, શાહપુર હલીમની ખડકી પાસે સદાશિવ મંદિર પાસે, સેટેલાઇટ, વસ્ત્રાપુર, નારણપુરા, નવરંગપુરા, મણિનગર, પાલડી, વાસણા, વેજલપુર, જોધપુર, સરસપુર, નરોડા, કુબેરનગર, બાપુનગર, મેૅઘાણીનગર, અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં દાદાના અવનવા અને આકર્ષક સ્વરૂપો સાથેની મૂર્તિઓ, ઝળહળતી લાઇટીંગ અને આકર્ષણોએ ગણેશ મહોત્સવની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા છે. દાદાના વિશાલ મંડપ, પંડાલ અને શામિયાણામાં હજારો શ્રધ્ધાળુઓએ દાદાના દર્શન અને આરતી માટે પડાપડી કરી હતી. દસ દિવસ સુધી ગણપતિદાદાનું ભકિતભાવ અને હર્ષોલ્લાસ સાથે પૂજન કરી દાદાનો મહોત્વસ રંગેચંગે મનાવાશે અને છેલ્લે અનંતચતુર્દશીના દિવસે દાદાની મૂર્તિઓનું ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લવકરિયા એટલે કે, દાદા આવતા વર્ષે વહેલા પધારજોના નારા સાથે વિસર્જન કરવામાં આવશે. રાત્રિના સમયે પણ શ્રધ્ધાળુ ભકતો અને નગરજનો દર્શન કરી શકે તે હેતુથી ઝળહળતી લાઇટો અને રંગબેરંગી રોશનીથી પંડાલ-શામિયાણાને સુશોભિત કરાયા છે, જેને લઇ ભારે આકર્ષણ અને જમાવટ થઇ છે.

(7:17 pm IST)