Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

તિલકવાડા ખાતે દીપડાની હત્યામાં દીપડાના ચાર પગ કાપી પંજા ગાયબ થતાં તાંત્રિક વિધિ ની આશંકા

વન વિભાગે દીપડાનો મૃતદેહ કબજે કરી પીએમ કરી નદી કિનારે અગ્નિસંસ્કાર કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તિલકવાડા ખાતે આવેલ રેલવે બ્રિજ નીચેથી મૃત દીપડો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ મૃતદેહ ત્રણ ચાર દિવસ પહેલાનો હોય સાવ સડી ગયો હતો. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે મૃત દીપડાના કોઈએ ચાર પગ કાપી મૃતદેહને ફેંકી દેવામાં આવતા દીપડાનું મોત ક્યાં કારણસર થયું છે. તે તપાસનો વિષય બન્યો છે. દીપડાની લાશને ચાર પાંચ દિવસ થયા હોવાથી લાશ ડી કંપોઝ થઈ ગઈ હતી તેથી ડોકટર દ્વારા સ્થળ પર પી. એમ કરી નદી કિનારે મોડી રાત્રે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં વન્ય પ્રાણીઓ જેવાકે રિછ, દીપડા આંધણી ચાકરણ, ઘુવડ, તેતર સહિત અનેક પ્રાણીઓ છે કે જેની પૂજા વિધિ કરી ને તાંત્રિક વિદ્યા કરવામાં આવે છે.અને જેના લાખો રૂપિયા ભાવ બોલાય છે. આ દીપડાના નખ માટે જ પંજા કપાયા હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે દીપડાનું મોત ક્યાં કારણસર થયું છે. કોઈએ હત્યા કરી છે. કે અકસ્માત મોત થયું છે. કે  કોઈએ મૃતદેહ જોઈ પંજા કાપી લીધા છે અથવા તો તિલકવાડા માં દીપડાની સંખ્યા વધુ હોય કોઈ શિકારીએ દીપડાના નખ માટે દીપડાની હત્યા કરી છે. આ સમગ્ર બાબતની વન વિભાગ દ્વારા તપાસ ચાલુ  કરી દેવામાં આવી છે.

 

(10:58 pm IST)