Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ગુર્જર ગિરાને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા સૌ પ્રતિબદ્ધ થઇએ:કોરોના સંક્રમણ વચ્ચે પણ ગુજરાતની વિકાસ યાત્રા ‘‘ન રુકના હે- ન ઝૂકના હૈ’’ના ધ્યેય સાથે તેજ રફતારથી આગળ ધપાવી છે : વિજયભાઇ રૂપાણી

જિતશે ગુજરાત – હારશે કોરોના સાકાર કરવું છે : ચાર અક્ષરનો શબ્દ ‘ગુજરાત’ આજે વિકાસ શબ્દનો પર્યાય બની ગયો : ૭૪માં સ્વાતંત્ર્ય પર્વે મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૭૪માં સ્વાતંત્ર્ય પર્વે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગુર્જર ગિરાને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા પ્રતિબદ્ધ થવાનું આહવાન કર્યુ છે

મુખ્યમંત્રીએ ગુજરાતની વિકાસ યાત્રા કોરોના કાળમાં પણ સતત-અવિરત જારી રાખી ન રૂકના હૈ, ન ઝૂકના હૈ ચરિતાર્થ કર્યુ છે તેમ ગૌરવપૂર્વક જણાવ્યું છે
તેમણે પડકારોને તકમાં પરિવર્તીત કરી ગુજરાત સસ્ટીનેબલ ડેવલપમેન્ટ દ્વારા વિકાસ શબ્દનો પર્યાય બની ગયું છે તેમ જણાવતાં અંતરાયો-મુશ્કેલીઓ તકલીફો છતાં રાજ્યની વિકાસ યાત્રા તસુભાર પણ અટકવા નથી દેવી તેવો કોલ સ્વતંત્રતા પર્વના પ્રજાજોગ સંદેશમાં આપ્યો છે
મુખ્યમંત્રીશ્રીનો સ્વાતંત્ર્ય દિન પ્રજાજોગ સંદેશ અક્ષરશ: આ પ્રમાણે છે:-
ગુજરાતના મારાં વ્હાલા ભાઇઓ અને બહેનો. આઝાદી પર્વની આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ..સંપૂર્ણ દેશ ૭૪મું આઝાદી પર્વ ઉજવી રહ્યો છે. એ આઝાદીના મૂળિયા જેમણે સીંચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઓ, ક્રાંતિકારીઓ, અનેક નામી-અનામી એવા સૌ કોઈને આજના દિવસે પુણ્ય સ્મરણ કરીને, એ સૌને આજે વંદન કરીએ છીએ.
વર્ષોનાં વર્ષો અવિરત સંઘર્ષ કરીને, બ્રિટિશરોની લાઠીઓ ખાઈ-ખાઈને, ગોળીઓ ઝીલી-ઝીલીને ફાંસીના તખ્તા ઉપર ચઢીને આ મહામૂલી આઝાદી અપાવી છે.
ખુદીરામ બોઝ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, વીર સાવરકર, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ-એવા અનેક લોકોએ આઝાદીની લડતનું નેતૃત્વ કરીને બ્રિટિશરો સામે લડતાં-લડતાં આપણને આ આઝાદી અપાવી છે.
દેશ માટે મરી ફીટનાર, જાન કુરબાન કરનાર, સૌ કોઈને નમન કરવાનો- યાદ કરવાનો આ અવસર છે.
આઝાદી સંગ્રામવેળાએ પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજો સામે દેશવ્યાપી અહિંસક ચળવળ-સત્યાગ્રહનો જુવાળ જાગેલો. આજે કોરોનાની મહામારી સામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશવ્યાપી ચળવળ જાગી છે, જનજાગૃતિની અને સારી આદતોની, સ્વચ્છાગ્રહની આ ચળવળ જાગી છે. આપણે સૌ એક બની-નેક બની સારી આદતો કેળવીએ અને આ સંક્રમણને રોકવા માસ્કનો ઉપયોગ કરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, હાથને વારંવાર સેનિટાઇઝ કરવા- અને કોરોના સામેનો પણ સંગ્રામ જીતવાનો છે.
સ્વાભાવિક છે કે, આઝાદીના આ પર્વની ઉજવણીનો આનંદ-હરખ આપણને સૌને ખૂબ જ હોય. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સ્થિતિ થોડી અલગ છે.  ભીડ એકત્રિત ન થાય, મેળાવડો કે ઉત્સવો કરી નથી શકતા. તો કોરોનાના સંક્રમણની શકયતાઓ ભીડને કારણે વધી જાય અને વધુ લોકોના જાન જોખમમાં આવી જાય. એટલા માટે, આ વખતે ૭૪મું સ્વાતંત્ર્ય પર્વ મર્યાદિત સંખ્યામાં મર્યાદિત કાર્યક્રમ કરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવવાનું નક્કી કર્યુ છે.
સામાજિક અંતર-સોશિયલ ડિસ્ટન્સ જરૂર છે, પરંતુ દેશ આખો અંબાજીથી આસનસોલ, દ્વારકાથી દીબ્રૂગઢ, કચ્છથી ગુવાહાટી, કાશ્મીરથી કન્યાકુમારી સુધી સ્વતંત્રતાનું આ પર્વ સામાજિક એકતાની તાકાતથી ઉજવી રહ્યો છે.
બ્રિટિશરોને ગાંધીજીના નેતૃત્વમાં સૌએ ચળવળ ચલાવીને દેશવટો આપેલો. હવે આપણે સૌ સ્વતંત્ર તો થયા, પરંતુ હવે દેશને આઝાદી મળી, સ્વરાજ્ય મળ્યું, હવે સુરાજ્ય માટે આપણે આગળ વધવાનું છે. અને હવે આ કોરોનાને પણ દેશવટો આપવાનો છે. ‘હારશે કોરોના-જિતશે ગુજરાત’ એ મંત્ર સૌએ સાકાર કરવાનો છે.
આજથી સાત દાયકા પૂર્વે આઝાદીનો જંગ જીતીને સ્વરાજ્ય મળ્યું. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ સ્વરાજ્ય અપાવ્યું. હવે નરેન્દ્રભાઈ-અમિતભાઈએ તેમના નેતૃત્વમાં આજે દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે સુરાજ્યની દિશામાં વિકાસશીલ ભારત, આત્મનિર્ભર ભારત બનાવવા તરફ આપણે જઈ રહ્યા છીએ.
કોરોનાના સંક્રમણને કારણે આપણી વિકાસયાત્રા જરૂર ધીમી થોડીક પડી હશે, પરંતુ ‘ન રુકના હૈ... ન ઝૂકના હૈ... વિકાસ કી ઔર આગે હી આગે બઢના હૈ...’આપણો મંત્ર છે.
ભૂકંપની વિપદા હોય, પૂરનો પ્રકોપ હોય, અતિવૃષ્ટિ હોય કે અનાવૃષ્ટિ હોય- એવે વખતે ગુજરાત અને ગુજરાતીઓનું ખમીર, એને હંમેશાં આપત્તિને અવસરમાં પલટાવી છે. પડકારોને તકમાં પરિવર્તિત કર્યા છે.
કૃષિ હોય-ઉદ્યોગો હોય, સર્વિસ સેક્ટર હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય.. હોલિસ્ટિક ડેવલપમેન્ટ- સર્વગ્રાહી અને સર્વાંગી વિકાસની પરિભાષા ગુજરાતે હંમેશાં દેશ અને દુનિયાને દેખાડી છે.
કૃષિક્ષેત્રે હંમેશાં અગ્રેસર ગુજરાત રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતોને સરકારે જગતના તાત ગણીને હંમેશાં એમના હિતને પ્રાધાન્ય આપેલું છે. ૫૫ લાખથી વધુ કિસાનોને તાજેતરમાં જ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દ્વારા તમામ પાકોને આવરી લઇને ખેડૂતોને સંરક્ષિત કર્યા છે અને ખરીફ ઋતુના પાક કોઈ પણ કારણોસર નિષ્ફળ જાય તો સરકાર સહાય આપશે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદથી નુકસાન થશે, તો સરકાર ભલે આપણે આ વખતે પ્રિમિયમનો વીમા કંપનીને એક પૈસો નથી ભર્યો, પરંતુ સરકાર આ બધા ખેડૂતોની ચિંતા કરીને વળતર આપશે.
ખેડૂતભાઈઓ રાત્રે ઉજાગરા કરીને ખેતરમાં પાણી વાળવા જવું ન પડે, એટલા માટે એમને દિવસ દરમિયાન વીજળી આપવા દિનકર યોજનાની પણ અમલવારી ગુજરાતમાં આપણે શરૂ કરી દીધી છે.  રાજ્યનો પિયત વિસ્તાર ૩૮ લાખ હેક્ટરથી વધારીને ૬૮ લાખ હેક્ટર થયો છે. પ્રત્યક્ષ અને પરોક્ષ સિંચાઈમાં ૩૧ ટકા જે હતો વિસ્તાર, તે વધારીને ૫૫ ટકા ઉપર પહોંચ્યો છે.
છેલ્લાં ચાર વર્ષમાં ૧૫ હજાર કરોડથી વધુ રકમની ખેતપેદાશોની ટેકાના ભાવથી ખરીદી કરીને, ખેડૂતને ઝીરો ટકે ધિરાણ આપીને, સમયસર ખાતર, બિયારણ અને વીજળી પૂરા પાડ્યા છે.
આપણા ધરતીપુત્રના બાવડાઓમાં બળ છે અને જો પૂરતું પાણી-વીજળી મળે, તો આખી દુનિયાની ભૂખ ભાંગવાની ક્ષમતા મારા ખેડૂતના ખભામાં-બાવડામાં પડેલી છે અને એટલા માટે નર્મદાના નીર, હજારો ક્યુસેક પાણી, યોજના મોડી થઈ, અનેક કારણો હતાં. ગુજરાત વિરોધીઓએ ખૂબ માથાઝીંકો કરી હતી, પરંતુ અંતે એ યોજના નરેન્દ્રભાઈના પ્રયત્નથી, દેશના વડાપ્રધાને ગુજરાતને મદદ કરી અને આપણી યોજના પૂરી કરી અને આપણે હજારો ક્યુસેક પાણી જે દરિયામાં વહી જતું હતું, એને બચાવીને કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં છેવાડાનાં ગામડાઓ સુધી પહોંચાડ્યા. રૂ. ૫૩૦૦ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજનાનો પણ આપણે કાર્યક્રમ શરૂ કરી દીધો છે. ૨૧ હજાર મિલિયન ઘનફૂટ નર્મદાનાં મીઠાં પાણીનો સંગ્રહ કરીને ભરૂચ જિલ્લાની કાયાપલટ કરવા ખારોપાટ મીઠો અને ફળદ્રુપ બનાવવા માટે આ યોજનાનો પ્રારંભ કરી દીધો છે.
૧૯૬૧થી ૨૦૦૦ સુધી ૪૦ વર્ષમાં માત્ર ૧૮ હજાર ૩૫૬ ચેકડેમ બન્યા હતા અને ૨૦૦૦ થી ૨૦૨૦ સુધીમાં નવા એક લાખ એકાવન હજાર ત્રેપન ચેકડેમ બનાવ્યા છે. સિંચાઈ યોજનાઓના પાણીની મૂળ સંગ્રહશક્તિ જળવાય-વધે એટલા માટે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનથી ૪૨ હજાર લાખ ઘનફૂટમાં મહેનત કરીને, પરસેવો પાડીને આપણે પાણીનો સંગ્રહ વધારવા સુજલામ્ સુફલામ્ આપણે યોજનામાં ગુજરાતે ઇતિહાસ રચ્યો છે.
પાણી, વિકાસનો આધાર છે, તો ઊર્જા પણ વિકાસનો ઉજાસ છે. રાજ્યના તમામ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત વીજળી આપવા માટે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ખેડૂતોને તેમની જરૂરિયાત અનુસાર વીજ કનેક્શન સમયમર્યાદામાં મળે તેવું સુદૃઢ આયોજન આપણે કર્યું છે.
રિન્યુએબલ એનર્જી- એ ક્ષેત્રમાં આપણે પણ ઐતિહાસિક પગલાં ભર્યાં છે અને સોલાર વીજળીના આધાર ઉપર, સૂર્યશક્તિના આધાર ઉપર રૂફટોપ પૈકી આખા ભારતમાં એકલા ૬૪ ટકા ગુજરાતમાં રૂફટોપ આપણે બનાવ્યાં છે. સોલારપાર્ક,  વિન્ડપાર્ક - એના દ્વારા ૩૦ હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાના સંકલ્પ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ.
બિનપરંપરાગત ઊર્જાના ઉત્પાદન અને તેના ઉદ્યોગોમાં વપરાશ માટે પણ સરકારે મોટાપાયે લોકોને પ્રેરિત કર્યા છે.
ગુજરાતના સર્વગ્રાહી, વિશ્વવિકાસમાં ઉદ્યોગો અને ખાસ કરીને MSME- લઘુ  ઉદ્યોગો એ બેકબોન–કરોડરજ્જુ સમાન છે. ‘પહેલા પ્રોડક્શન, પછી પરમિશન’ની નવી નવતર નીતિના પરિણામે ગુજરાતમાં લઘુ, કુટિર, નાના ઉદ્યોગોને જબરદસ્ત પ્રોત્સાહન આપ્યું છે અને એના પરિણામે રોજગારી અને સ્વરોજગારની અનેક દિશાઓ ખુલ્લી મૂકી છે.
ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, આત્મનિર્ભર ગુજરાતના નિર્માણની દિશામાં તાજેતરમાં જ આપણે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-2020 ગુજરાતનું એક વધુ નવું આગવું કદમ છે. ગુજરાતમાં ૪૯ બિલિયન યુ.એસ. ડોલરના IEM સાથે સમગ્ર દેશમાં કુલ IEMના ૫૧ ટકા હિસ્સો ધરાવતું એકમાત્ર ગુજરાત રાજ્ય છે.
ભારતમાં ૨૦૧૯ દરમિયાન પ્રપોઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ, એમાં પણ ૪૮ ટકાનો વધારો થયો, તેની સામે ગુજરાતમાં ગત વર્ષની સરખામણીમાં ૩૩૩ ટકાનો વધારો નોંધાયો છે. એટલે કે, સમગ્ર દેશના વધારા કરતાં ગુજરાતનો વધારો અનેક ગણો વધુ છે.
ગુજરાતે પાછલા વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં FDIના ઇનફ્લોમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ૨૪૦ ટકાનું સૌથી વધુ નેશનલ ઇન્ક્રિમેન્ટ મેળવ્યું છે.
ભારત સરકારની નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ દ્વારા જાહેર થયેલા સરવે રિપોર્ટ પ્રમાણે, સમગ્ર દેશમાં ગુજરાતમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે. બીજાં રાજ્યોમાં ૨૦ ટકા, ૨૫ ટકા જ્યારે ગુજરાતમાં ઓછામાં ઓછો ૩.૪ ટકા છે. દેશના ૪૩ ટકાથી વધુ સ્ટાર્ટઅપ એકલા ગુજરાતમાં છે. આમ, ગુજરાતમાં હોલિસ્ટિક ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ- સસ્ટેનેબલ રોલમોડેલ બન્યું છે.
મિત્રો, આપણે નવી ઉદ્યોગનીતિમાં કલસ્ટર ડેવલપમેન્ટની નેમની સાથે ઔદ્યોગિક પછાત વિસ્તારોમાં પણ સર્વગ્રાહી ઔદ્યોગિક વિકાસની દિશા અપનાવી છે. એટલું જ નહિ, સંતુલિત પ્રાદેશિક વિકાસને વેગ આપવા ૫૦ વર્ષ સુધી લાંબાગાળાની લીઝ ઉપર ‘સરકારી જમીન’ આપવામાં આપણે ઉદ્યોગોને સગવડરૂપ બન્યા છીએ. બેન્કમાંથી લોન માટે આ જમીન ઉદ્યોગોને મોર્ગેજ પણ કરી શકાશે. કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિમાં આર્થિક નુકસાન વેઠવું પડ્યું. તેને બેઠા કરવા માટે પણ ૧૩૭૦ કરોડ રૂપિયા એટ વન ક્લિક આપણે MSMEને સીધા એમના ખાતામાં આપ્યા છે.
કૃષિ, ઉદ્યોગ, વેપાર-રોજગાર કોઈ પણ ક્ષેત્રની વિકાસગાથાનો પાયો શિક્ષણ છે અને ગુજરાતનું દરેક બાળક શિક્ષિત બને-દિક્ષિત બને અને વિશ્વના પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવીને ચાલે એવી આ સરકારની પ્રતિબદ્ધતા છે. મેડિકલ, એન્જિનિયરિંગ, ઉચ્ચ શિક્ષણની બેઠકોમાં પણ છેલ્લાં ત્રણ વર્ષમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સાત નવી મેડિકલ કૉલેજો આપણે શરૂ કરી. ૧૯૭૦ જેટલી તબીબી બેઠકમાં વધારો આપણે કરી શક્યા છીએ. લગભગ બે હજાર બેઠકનો વધારો થયો. નવા ડોક્ટરો બનશે. વનબંધુ વિસ્તારોમાં પણ મેડિકલ કૉલેજો શરૂ કરી. આદિજાતિના યુવાન પણ ડૉક્ટર બને અને ઘરઆંગણે સેવા કરવાની તક આપી છે.
શિક્ષણક્ષેત્રે ટેક્નોલૉજીનો સમુચિત ઉપયોગ કરી ‘જ્ઞાનકુંજ પ્રોજેક્ટ’ અંતર્ગત સરકારી શાળામાં 15 હજાર ડિજિટલ ક્લાસરૂમ આપણે ઊભા કર્યા છે.
લર્નિંગ વિથ અર્નિંગ કન્સેપ્ટ સાથે યુવાનોના હિતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજનાનો લાભ આપ્યો છે. રાજ્યના નવ લાખ યુવાનોને નમો ઈ-ટેબ્લેટ આપી તેમને આંગળીના ટેરવે વિશ્વ સમસ્તના સીમાડાઓ આપણે ખોલી દીધા છે.
આ સરકાર વંચિત, પીડિત, શોષિત, ગરીબ, દલિત – એના હિતને વરેલી આ સરકાર છે. ભાઈઓ-બહેનો, કૃષિ, ઉદ્યોગ, ઊર્જા કે શિક્ષણ, વિકાસની ઊડાન ભરી છે આ ગુજરાતે. છેવાડાનો માણસ, પીડિત માણસ, વંચિત માણસને – સૌને વિકાસના અવસર આપ્યા છે. સબ સમાજ કો લિએ સાથ મેં આગે હૈ બઢતે જાના. એનો મંત્ર લઈને ચલો જલાએ દીપ વહાઁ, જહાઁ અભી ભી અંધેરા હૈ... વિકાસની રાજનીતિના માર્ગને આગળ વધી રહી છે.
અંબાજીથી ઉમરગામ – આદિજાતિ પટ્ટીના ૧૪ જિલ્લામાં એકાણું હજાર ચારસો વનવાસીને એક લાખ ઓગણપચાસ હજાર જમીન ફાળવીને, જંગલ ખેડે એને જમીનના માલિક બનાવ્યા છે. પેસા એક્ટ દ્વારા આદિવાસી બાંધવોને તેમના ગામના વિકાસમાં સ્વયં નિર્ણય લેતા કર્યા છે અને સરકાર ત્યાં તમારા હાથમાં, સત્તા તમારા હાથમાં અને તમે પોતે તમારા વનની જે ઉપજ છે, એની માલિકી તમારી, ખનીજની માલિકી તમારી અને તમે વહીવટ કરો પેસા એક્ટનો અમલ કર્યો છે. રાજ્યના વંચિતોને જમીન સાથણી સ્વરૂપે આપવાના નિર્ણાયક પગલામાં સાથણીના કબ્જા અપાવવાનું પણ વ્યાપક કામ કરીને સરકારે ન્યાય અપાવ્યો છે.
ઉજ્જ્વલા યોજના અંતર્ગત ૪ વર્ષમાં ૨૮ લાખથી વધુ વંચિત પરિવારોને ગેસના કનેક્શન આપ્યાં છે.
સાથે-સાથે સરકારે સર્વે ભવન્તુ સુખિન:નો ધ્યેય, કલ્યાણ રાજ્યની વિભાવનાની હરેક વર્ગ, સમાજ, જાતિના સર્વગ્રાહી વિકાસથી સાકાર કર્યો છે. સાથોસાથ સર્વે સન્તુ નિરામયા: એટલે કે જન-જનના આરોગ્યની ચિંતા પણ કરી છે.
ખાસ કરીને, કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારે સંપૂર્ણ સમર્પણ અને તાકાતથી જન-જનના આરોગ્યની સુરક્ષા માટે દિવસરાત એક કરીને કાર્યરત્ રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ આયુષ્માન ભારત યોજના એટલે રાજ્ય સરકારની મા અમૃતમ્ અને મા વાત્સલ્ય યોજના, આપણે ગરીબોને ઘરમાં કોઈ પણ લોકોને તકલીફ પડે, ઑપરેશન કરાવવાનાં હોય, તો હાથ લાંબો ન કરવો પડે. ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આજે ૬૦ લાખ પરિવારોને આનો લાભ આપણે આપી રહ્યા છીએ.
ગુજરાતમાં ૧૯મી માર્ચના રોજ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી પરિસ્થિતિને પામી જઈને ત્વરિત કામગીરી શરૂ કરી. ગણતરીના દિવસોમાં તો ચાર મહાનગરોમાં તો ૨૨૦૦ બેડની ક્ષમતાવાળી કોવિડ-19 ડેડિકેટેડ હોસ્પિટલ ઊભી કરવામાં આવી. સાથે-સાથે પ્રત્યેક જિલ્લામાં પણ ૧૦૦ બેડની ક્ષમતાવાળી કોવિડ હોસ્પિટલો કાર્યરત્ કરી દેવામાં આવી.
ટૂંકાગાળામાં રાજ્યમાં ૫૦ હજારથી વધુ પથારીની ક્ષમતા ધરાવતી સ્પેશિયલ કોવિડ હોસ્પિટલો, કોવિડ હાઈ સેન્ટરો, કોવિડ કેર સેન્ટરો કાર્યરત્ કરી દીધાં. સૌના પ્રયત્નોથી આજે જે મૃત્યુદર ગુજરાતમાં વધ્યો હતો, એને ઘટાડીને ૨.૧ ટકા જેટલો લાવીને આપણે મૃત્યુદરને કાબૂ કરી શક્યા છીએ.
ગુજરાતમાં કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થાય, પોતાના ઘરે પાછા જાય. ગુજરાતનો રિકવરી રેટ ૭૭ ટકા સુધી પહોંચાડ્યો છે. રાજ્ય સરકારની કોરોના સામેની કામગીરીની સકારાત્મક નોંધ સુપ્રીમ કોર્ટ, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન, આઈઆઈએમના લોકોએ પણ લીધી છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને કોરોનાના હોટસ્પોટ હોય તેવા ગુજરાતના વિસ્તારોમાં સેવા આપતા ૧૧૦૦થી વધુ ધન્વંન્તરિ રથો-મોબાઇલ ડિસ્પેન્સરીની કામગીરીને બિરદાવી છે. એક મહિનામાં બાવન લાખ લોકોને આ રથના માધ્યમથી ઘરેબેઠા ઓપીડીની સેવાઓ પૂરી પાડી છે. સીએમ ડેશબોર્ડના માધ્યમથી રાજ્યના ખૂણેખૂણે સંપર્ક જાળવીને કોરોના વૉરિયર્સને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
કોરોનાના ડરને દૂર કરવા ‘હું પણ કોરોના વૉરિયર છું’ એ અભિયાનમાં ગુજરાતી બાંધવો પણ હૃદયપૂર્વક જોડાયા છે.
લોકડાઉન બાદ રાજ્યની આર્થિક પ્રગતિને પુન: ચેતનવંતી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ૧૪ હજાર કરોડ ઐતિહાસિક આત્મનિર્ભર ગુજરાત સહાય પૅકેજ પણ આપણે આપ્યું છે. એના પરિણામે, નાના વેપારી, કારીગરો, ખેડૂતો, પરંપરાગત કામ કરનારા લોકો, સાગરખેડૂઓ, આદિવાસી બાંધવો, પશુપાલકો તમામ શ્રમિકોનું આર્થિક સશક્તીકરણ કરવામાં આવ્યું છે.
રોજનું કમાઈને રોજનું ખાનારા વર્ગો, નાના વેપારી, સ્વરોજગારકારો- એ બધાને બેઠા કરવા માટે રૂપિયા બે-પાંચ હજાર નહીં, એક લાખ રૂપિયા સુધીની લોન, પણ માત્ર વાર્ષિક બે ટકાના વ્યાજે આપીને એક નવો ઇતિહાસ સર્જ્યો છે.
આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ કોરોનાની સ્થિતિમાંથી દેશને આગળ વધારવા, આવનારા સમયમાં આત્મનિર્ભર બનાવવાનો કૉલ આપ્યો છે. આત્મનિર્ભર ભારત માટે કિસાનો, યુવાનો, એમએસએમઈ, નાના સ્ટ્રીટ વેન્ડર્સને નવાં-નવાં પૅકેજ આપ્યાં છે. બાવીસ લાખ કરોડ રૂપિયા એમણે જાહેર કર્યા છે. ગુજરાત પણ આત્મનિર્ભર ગુજરાત પૅકેજ દ્વારા પ્રધાનમંત્રીશ્રીના કૉલને સાકાર કરવા ખભેખભા મિલાવી રહ્યું છે.
ભારતમાતાને જગતજનની, વિશ્વગુરુ બનાવવાની સાથે આપણી ગુર્જરગિરાને પણ ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની છે આપણે. ચાર અક્ષરનો શબ્દ ગુજરાત વિકાસ શબ્દનો પર્યાય બની ગયો છે. વિકાસ એ જ ગુજરાતની ઓળખ છે.
અંતરાયો, તકલીફો, મુશ્કેલી તો આવે અને જાય, પણ આપણે ગુજરાતના વિકાસને તસુભાર પણ વિકાસ અટકે નહીં, એ સંકલ્પ કર્યો છે. વિકાસની રાહ પર આવતાં અંતરાયો અને મુશ્કેલીઓ હસ્તા મોઢે આપણે પાર કરવાનાં છે.
શ્રદ્ધેય અટલજીની પંક્તિઓ છે, ‘બાધાએ આતી હૈ તો આયે, ઘિરેં પ્રલયકી ઘોર ઘટાએ, પાંવો કે નીચે અંગારે, સિર પર બરસેં યદિ જ્વાલાએ, નિજ હાથોં મેં હંસતે-હંસતે, આગ લગાકર જલના હોગા, કદમ મિલાકર ચલના હોગા...’
આવો, સ્વાતંત્ર પર્વના પાવન અવસરે આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા, સ્વાતંત્રવીરોએ આપેલા બલિદાનો ને સપનાઓ કે જગતજનની બને ભારતમાતા, એને આપણે પ્રાગટ્ય કરાવીએ.
નિષ્ઠાથી આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે ભારતમાતાને જગતજનની બનાવીશું. પોતાના જીવની પરવા કર્યા વગર કોરોનાની મહામારીના કપરાકાળમાં જે તબીબો, પેરા મેડિકલ સ્ટાફ, સુરક્ષાકર્મીઓ, સફાઈકર્મીઓ જવાંમર્દીપૂર્વક બીજાના માટે લડ્યા અને લડાઈમાં પોતાના જાનને ન્યોછાવર કરનાર- આ સૌ કોરોના વૉરિયર્સને આજના સ્વાતંત્રદિનના પર્વ નિમિત્તે શું શત્ શત્ નમન કરું છું.
સ્વરાજ્ય અપાવનારા સ્વાતંત્રવીરો, શહીદો અને સ્વસ્થ અને તંદુરસ્ત ગુજરાતના પહેરેગીરો એવા કોરોના વૉરિયર્સ, મા ભારતીની સુરક્ષા કરતાં જવાનો, બંધુ-ભગિનીઓ બાળકોને-સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ-શુભેચ્છાઓ...
જય જય ગરવી ગુજરાત... ભારત માતા કી જય..

(3:08 pm IST)