Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

શ્રાવણ માસમાં પોલીસના 'બે રૂપ' : મોટી લાંચના કિસ્સા સાથે માનવતાભર્યા ચહેરાઓ પણ લોકોને જોવા મળ્યા

વડોદરા 'શીરમોર': માતાની હત્યા અને પિતા જેલમાં માસુમ બાળકને રહેવા-જમવા-અભ્યાસની જવાબદારી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે ચર્ચા કરી એસીપી પાટીલે સંભાળીઃ એસીપીના પત્ની બાળકને દત્તક લેવા પણ તૈયારઃ કરડાકીભર્યા ચહેરા ભલે રહયા પણ દિલમાં માનવતા છલોછલ

રાજકોટ, તા., ૧૪: શ્રાવણ માસના પ્રારંભે જ રાજય પોલીસ તંત્રના બેરૂપો લોકોને જોવા મળ્યા, આ માસના પ્રારંભથી જ પોલીસ પર જાણે રાહુ મંડરાયો હોય તેમ  પોલીસમેનથી લઇ ડીવાયએસપી સુધીના અધિકારીઓ મોટી રકમની લાંચના છટકામાં ઝડપાયા અને આરોપીઓની માફક લાપત્તા બનવાના પ્રસંગો બન્યા, આની સાથોસાથ ગુજરાતમાં મેઘમહેરને બદલે ેમેઘકહેર જેવું વાતાવરણ સર્જાતા ધસમસતા પુરમાં સપડાયેલા લોકોને જાનના જોખમે બચાવવાના  સંખ્યાબંધ પ્રસંગો બન્યા અને એ સાબીત થયું કે હજુ પોલીસમાં માનવતા ભારોભાર  ધબકી રહી છે.

વડોદરાની વાત કરીએ તો પુરમાં ફસાયેલા બાળકને પીએસઆઇએ વાસુદેવ બની ટોપલીમાં માસુમ બાળકને લઇ કિનારા સુધી લાવ્યા. આજ રીતે વડોદરામાં કુદરતી આફત દરમિયાન એક હોસ્પીટલમાં આઇસીયુ યુનીટમાં રહેલા નવજાત શીશુઓને બચાવવા  વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પીઆઇ ડોડીયા  ટીમે ટ્રક ડુબી જાય તેટલા પાણીમાં જઇ સાપ-મગર વિગેરે અવરોધો હટાવી ૧૦ થી વધુ બાળકોને બીજી હોસ્પીટલમાં શીફટ કરાવતા એ નવજાત શીશુઓના પરિવારને  દેવદુતના દર્શન થયા.

આ બધા કિસ્સા વચ્ચે વડોદરાના વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. આ કિસ્સો સાબીત કરે છે કે કરડાકીભર્યા ચહેરા પાછળ એક સંવેદનશીલ હ્ય્દય પણ ધબકી રહયું છે. બન્યુ છે એવું કે, માતા-પિતાના ઝઘડામાં પિતા ભરત દેવીપુજકે પોતાની પત્નીની હત્યા કરી નાખી. માતાનું મૃત્યુ અને પિતા જેલમાં જતા ૧૩ વર્ષનો બાળક ભાવેશની સારસંભાળ લેવાવાળુ કોઇ રહયું નહિ. સગા-વ્હાલાઓ પણ હાથ ઉંચા કરી દીધા.

આવા સંજોગોમાં એસીપી પાટીલે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે ચર્ચા કરી બાળકને પોલીસ સ્ટેશનના એક રૂમમાં રહેવા માટેની વ્યવસ્થા કરવા સાથે તેને ખાવા-પિવા તથા અભ્યાસ માટેનો ખર્ચ પણ ઉપાડી લીધો. એસીપી પાટીલના પત્ની તો ઇ માસુમ બાળકને દત્તક લેવા પણ તૈયાર થઇ ગયા છે. આમ પોલીસનું એક નવું રૂપ પણ બહાર આવ્યું.

આજ રીતે કચ્છ-ભુજના એસપી સૌરભ તોલંબીયાએ હાજીપીરમાં એક ફેકટરીમાં ફસાયેલા શ્રમીક પરિવારોના ૩૦૦ થી વધુ શખ્સોને જાતે બોટમાં જઇ અને હેલીકોપ્ટર મારફત રેસ્કયુ કરી મોતના મુખમાંથી બચાવી  લીધા હતા.

નવાઇની વાત એ છે કે જે ફેકટરીમાં શ્રમીકો ફરજ બજાવતા હતા તે ફેકટરી પાસેથી શ્રમીકોની સાચી સંખ્યા મેળવવામાં પણ એસપી સૌરભ તોલંબીયાએ મહત્વની ભૂમિકા ભજવી સમયસર આખુ પ્લાનીંગ ગોઠવ્યું ન હોત તો જીવ બચવો મુશ્કેલ હતો.  એ શ્રમીકોએ પોતાના દેવદુત સમા એસપી સૌરભ તોલંબીયા સાથે સેલ્ફી ખેંચાવી હતી.

મોરબીના ટંકારા પંથકના પૃથ્વીસંહ જાડેજા નામના પોલીસમેને ધસમસતા પુરમાં ઝંપલાવી માસુમ બાળકોને જે રીતે ઉગાર્યા તેને કારણે પોલીસ તંત્રની આબરૂને ચાર ચાંદ લાગ્યા અને ખુદ મુખ્યમંત્રી-ગૃહમંત્રી-ડીઆઇજી અને એસપીએ તેમની અભિનંદન પાઠવી પીઠ થાબડી હતી.

(12:28 pm IST)