Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ગુજરાતના મોટા ગજાના સંખ્યાબંધ ડોકટરો-કલાકારો ભાજપમાં જોડાયા....

પ્રદ્મશ્રી ડો. તેજસ પટેલ, પ્રદ્મશ્રી ડો. સુધીર શાહ, ઉર્વશીબેન રાદડીયા સહિત ૪૦ ડોકટરો-મહાનુભાવોએ ભાજપ સદસ્યતા અભિયાનને દિપાવ્યું: ભારત આજે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વિકાસના નવા આયામો સર કરી રહેલ છેઃ ડો. સુધીર શાહઃ ૭૦ વર્ષ જુના કાશ્મીર પ્રશ્નનું નિરાકરણ આવ્યું તે નરેન્દ્રભાઇ-અમિતભાઇની રાજકીય સુઝ બુઝ -દુરંદેશી દર્શાવે છેઃ દેશને નિર્ણાયક નેતૃત્વ પુરૂ પાડી રહયા છેઃ ડો. તેજસ પટેલઃ મોદી-શાહના નેતૃત્વમાં મા ભારતી પરમ વૈભવના શિખરે બિરાજમાનઃ જીતુભાઇ વાઘાણી

રાજકોટઃ હાલ દેશભરમાં ભાજપના સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે ભાજપ પ્રદેશ કાર્યાલય 'કમલમ'ખાતે પદ્મશ્રી ડો. તેજસ પટેલ, પદ્મશ્રી ડો. સુધીર શાહ, ડો. નાગપાલ સહિત ૪૦ થી વધુ વિખ્યાત તબીબો ભાજપમાં જોડાયા હતા.

 આ સિવાય ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ લોકસાહિત્યકાર ઘનશ્યામભાઇ લાખાણી, લોકગાયિકા ઉર્વશીબેન રાદડીયા, કિરણબેન ગજેરા, દેવાંગીબેન પટેલ, હાસ્ય કલાકારો હિતેશભાઇ અંટાળા, સંજયભાઇ સોજીત્રા તથા સ્કાયવિઝન ઇવેન્ટ્સ(યુ.એસ.એ.)ના અલ્પેશભાઇ પટેલને ભાજપાનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યા અને આઈ.કે. જાડેજા સહિત અનેક પ્રદેશ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 આ પ્રસંગે પદ્મશ્રી અને વિશ્વવિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના સંઘર્ષ સમયે ગુજરાતની ધરતીના સપૂત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની જોડીએ સમગ્ર દેશને નેતૃત્વ પુરું પાડ્યું હતું અને દેશને આઝાદી અપાવી હતી. આજે ગુજરાતના પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દેશને નિર્ણાયક નેતૃત્વ પુરું પાડી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ૭૦ વર્ષ જુના પ્રશ્નનું નિરાકરણ સચોટ રાજકીય સુઝબુઝથી અતિ સરળતાથી ગુજરાતની મોદી-શાહની જોડી લાવી છે.

 જયારે પદ્મશ્રી ન્યૂરોલોજીસ્ટ ડો. સુધીર શાહે જણાવ્યું હતું કે, દેશની સંસ્કૃતિ-શાલિનતા-સાર્વભૌમત્વ-સહિષ્ણુંતાના રક્ષણની વિચારધારા સાથે કાર્ય કરતી ભાજપનો ખેસ પહેરી હું અત્યંત ગૌરવની લાગણી અનુભવું છું. દ્યર્મ-આધ્યાત્મ-સંસ્કૃતિની ધરોહર એવો ભારત દેશ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે તે ખૂબજ આનંદ અને ગૌરવની વાત છે.

 આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં ભાજપાના સંગઠન પર્વ-૨૦૧૯ અંતર્ગત સદસ્યતા વૃધ્ધિ અભિયાન ઉજવાઇ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ  મોદી તથા ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર માં ભારતીને પરમ વૈભવના શિખરે બિરાજમાન કરવાના સપનાને યથાર્થ કરતાં દેશહિતના અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો લઇ રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સફળ નેતૃત્વ તથા અમિતભાઇ શાહની કુશળ સંગઠનશકિત તથા ભાજપની રાષ્ટ્ર પ્રથમની વિચારધારા તથા જનકલ્યાણકારી અને વિકાસકાર્યોથી પ્રભાવિત થઇ જનસેવાના ભાવથી વિવિધ ક્ષેત્રોના લોકો ભાજપમાં જોડાઇ રહ્યા છે.

તસ્વીરમાં ડોકટરો- કલાકારો-મહાનુભાવોને આવકારી રહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, દિગ્ગજ નેતા શ્રી આઇ.કે. જાડેજા નજરે પડે છે.

(12:05 pm IST)