Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ડૂબી જવાથી મોત કે હૃદય બંધ પડતા મૃત્યુ ? :રાધનપુર રેફરલ હોસ્પિટલ કહે છે કે ડૂબવાથી મોત: તાલુકા પંચાયતે નનૈયો ભણ્યો

તાલુકા પંચાયતે પોતાના રિપોર્ટમાં અતિવૃષ્ટીમાં સહાયપાત્ર ન હોવાનો ઉલ્લેખ કરતા પરિવાર મૂંઝવણમાં મુકાયા

રાધનપુર પંથકમાં વર્ષ 2017ના પૂર દરમિયાન થયેલી જાનમાલની હાનિ સામે સરકારી રાહત મળી હતી. જેમાં તાલુકાના ઠાકોર શખ્શનું મોત પણ પૂર દરમિયાન થયું હોવા સામે વિવાદો ઉભા થયા છે. રેફરલ હોસ્પિટલે મોતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૂબવાથી શ્વાસ રૂંધાઈ જતા મૃત્યુ થયાનું જણાવ્યું છે. જ્યારે તાલુકા પંચાયતે પોતાના રિપોર્ટમાં અતિવૃષ્ટીમાં સહાયપાત્ર ન હોવાનો ઉલ્લેખ કરતા પરિવાર મૂંઝવણમાં મુકાયા છે.

  ઉત્તર ગુજરાતમાં વર્ષ 2017 દરમિયાન અતિવૃષ્ટિને પગલે જાનહાનિના કેસો સામે આવ્યા હતા. જેની સામે રાજ્ય સરકારે પૂરમાં મોત થયેલ પરિવારોને સહાય જાહેર કરી હતી. જેમાં રાધનપુર તાલુકાના અમીરપુરા ગામના સ્વ.ઠાકોર હેમચંદભાઈનું મોત પણ અતિવૃષ્ટિમાં થયું હોવાની રજૂઆત થઈ હતી. જેની સામે તાલુકા પંચાયતે પોતાના રિપોર્ટમાં સહાય ચુકવવાની જોગવાઈઓ પરિપૂર્ણ થતી ન હોવાથી કેસ નામંજૂર કરવાનો ઠરાવ કર્યો હતો.

  સમગ્ર મામલે પરિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે રાધનપુરની સરકારી રેફરલ હોસ્પિટલ પાસે વિગતો મંગાવતા મોટો ઘટસ્ફોટ થયો છે. રેફરલ હોસ્પિટલના અધિક્ષકે પ્રમાણપત્ર આપી યુવકનું પાણીમાં ડૂબી જવાથી શ્વાસ રૂંધાઈ જવાને કારણે હ્યદય બંધ પડતા મોત થયાનું જણાવ્યું છે. જેનાથી રાધનપુર તાલુકા પંચાયતના ઠરાવ સામે સવાલો અને આશંકાઓ બની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂરમાં રાહત આપવા દરમિયાન તાલુકા પંચાયતે જે કેસોની વિગતો સરપંચ-તલાટી મારફત જિલ્લા પંચાયતને આપી હતી. તેમાં આવા કેટલાક કેસો અધ્ધરતાલ રહ્યા છે. જેનાથી પાટણ જિલ્લા પંચાયત હેઠળની બે કચેરીઓના પ્રમાણપત્ર અને ઠરાવ વિરોધાભાસી બની ગયા છે.

(8:39 pm IST)