Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

મારો ટાર્ગેટ ગુજરાતના 16 હજાર ગામડા ફરવાનો અને વેદનાને વાંચા આપવાનોઃ 2022માં કોંગ્રેસની સરકાર બનશેઃ હાર્દિક પટેલની સટાસટી

અમદાવાદ: પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાના આગામી આયોજન અંગે સીધી વાત કરતા જણાવ્યું હતું કે, મારો ટાર્ગેટ ગુજરાતના ૧૬ હજાર ગામડા ફરવાનો છે. તેમના પ્રશ્નો અને વેદનાને વાચા આપવાનો છે. કોઇ પણ વ્યક્તિની સફરની શરૂઆત સામાજિક અને રાજકીય હોય, હું એ જ કાર્યની શરૂઆત કરુ છું. જેમાં મને સફળતા મળે. આંદોલનની શરૂઆત કરી અને એમાં અમને સફળતા પણ મળી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સતત તેનો વિરોધ કરી રહ્યા હતા. અમારો પ્રયાસ ગુજરાતના તમામ ગામડાઓને સમૃધ્ધ કરવાનો છે. માત્ર અમદાવાદ કે ગાંધીનગર નહિ, મારે કોગ્રેસ પાર્ટીમાં આવી લોકોની સેવા કરવી હોય તો કરી શકાય.

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપાએ લોકો સાથે અન્યાય ન કર્યો હોત તો મારે વિરોધ ન કરવો પડ્યો હોત. લોકોને કોંગ્રેસ સાથે જોડવા મુશ્કેલ છે, પણ અશક્ય નથી. લોકો આજે સરકાર સામે અવાજ નથી ઉઠાવી શકતા. કેમકે લોકોને જેલમાં જવાનો ડર છે. સરકાર લોકતંત્રની વિરોધમાં કાર્ય કરે છે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે લોકો વિરોધ કરી શકતા હતા. કોઇને જેલમાં પૂરવામાં આવતા ન હતા. હું કોઇ જૂથનો વ્યક્તિ નથી, હુ જનતાના જૂથનો વ્યક્તિ છું. જુથવાદ પરિવાર સહિત તમામ જગ્યાએ હોય છે. એમાં તાલમેલ કરવો જરૂરી છે. કોગ્રેસનુ એક જ જુથ છે. રાજ્યની ૬ કરોડ જનતાએ કોંગ્રેસનું જૂથ છે, અમારામાં કોઈ જૂથવાદ નથી.

ખામ થિયરીમાં પટેલનો ઉલ્લેખ ન હતો તે અંગે પ્રશ્ન પૂછતા હાર્દિકે જવાબ આપ્યો કે, ખામ થીયરી માત્ર ચુટંણી લક્ષી મુદ્દો હતો. જેને ખોટી રીતે આરએસએસએ મુદ્દો બનાવી લોકોની સામે મૂક્યો હતો. માધવસિંહ સોલંકીની સરકારમાં અનેક પાટીદાર મંત્રી હતા. ભારતીય જનતા પાર્ટી પણ ચુટંણી વખતે કાશ્મીર અને પાકિસ્તાનની વાત કરે છે. કોંગ્રેય તમામ ધર્મ અને લોકોને સાથે લઇને ચાલશે. અમને જુઠ્ઠું બોલતાં નથી આવડતું. ભાજપાએ 50 લાખ મકાન અને 2 કરોડ નોકરીની વાત કરી હતી, જે હજુ નથી થયું. મે એ વાયદા કરીશુ જે પુરા કરી શકાય. ખેડૂતોને ટેકાના ભાવ, મોંઘવારી વગેરે અમે લોકોને સુખી અને સમૃધ્ધ કરવાનું વચન આપીશું. આ કોઇ શોભાના ગાંઠિયાનું પદ નથી. આઠ પેટા ચુટંણી જીતવી એ મુખ્ય લક્ષ્યાંક છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સાચવી મહાનગર પાલિકામાં ઉત્તમ પ્રદર્શન કરવાનું છે. વર્ષ 2022માં ર/૩ બહુમતી સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.

(4:43 pm IST)