Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

સુરત-ઉધના રેલ્વે સ્ટેશને રાજસ્થાની પરિવાર બીજી ટ્રેનમાં ચડી ગયા બાદ ઉતરતી વખતે અકસ્માતઃ બેના મોત

સુરત: સુરત-ઉધના રેલ્વે સ્ટેશન ખાડી પાસે ફરી એકવાર ટ્રેનની અડફેટે આવી જતા બે લોકોના કરુણમોત નિપજતા રેલ્વે તંત્ર દોડતુ થયુ હતું. રાજસ્થાની પરિવાર ભૂલથી બીજી ટ્રેનમાં ચઢી જતા ટ્રેનમાંથી ઉતરી ગયો હતો. બાદમાં સુરત રેલ્વે સ્ટેશન તરફ જતા કર્ણાવતી ટ્રેનની અડફેટે છ પૈકી ત્રણ લોકો આવી ગયા હતા.

મળતી માહિતી મુજબ રાજસ્થાની પરિવારના છ યુવાનો વલસાડની એક હોટલમાં નોકરી કરવા માટે ટ્રેનમાં નીકળ્યા હતા. પરંતુ જે ટ્રેનમાં તેઓ બેઠા હતા તે સુરત રેલ્વે સ્ટેશન સુધી જ હતી. જેથી તેઓ સુરત રેલ્વે સ્ટેશન પર ઉતરી અન્ય ટ્રેનમાં ચઢયા હતા. જો કે ટ્રેન સુરત-ઉધના રેલ્વે સ્ટેશનની વચ્ચે આવી ત્યારે તેઓને જાણ થઇ હતી કે તેઓ ભૂલથી બીજી ટ્રેનમાં ચઢ્યા છે. આથી તેઓ ટ્રેન ઉધના રેલ્વે સ્ટેશને પહોંચતા બધા ઉતરી ગયા હતા અને ત્યાંથી પગપાળા ટ્રેક મારફતે ફરી સુરત રેલ્વે સ્ટેશન તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ઉધના ખાડી બ્રિજ પર પહોંચ્યા ત્યારે કર્ણાવતી ટ્રેન સામેથી આવી રહી હતી. ખાડીની સાઇડ પરથી જવાનો ક્યાય રસ્તો તેમને નહિં મળતા આખરે છ પૈકી 3 લોકો કર્ણાવતી ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

આ ઘટનામાં ત્રણ પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને અન્ય બે ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં નવી સીવીલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એકનું મોત નીપજતા મૃત્યુ આંક બે પર પહોંચ્યો હતો. હાલ આ બનાવમાં રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

(4:39 pm IST)